- સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનશે નવું સંસદ ભવન
- સરકારના બધા જ મંત્રીઓ એક જ ભવનમાં બેસશે
- 21 મહિનામાં નવા સંસદ ભવનનું નિર્માણ પુરૂ કરવાનું આયોજન
નવા સંસદ ભવનનું ભૂમિપૂજન 10મી ડિસેમ્બરે
93 વર્ષ જુનુ સંસદ ભવન પણ આવનારા 21 મહિના બાદ જુનું થઈ જશે સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Central Vista Redevelopment Project) હેઠળ નિર્માણ કરવામાં આવશે નવું સંસદ ભવન. નવા સંસદ ભવનના (Parliament House) નિર્માણની પ્રક્રિયાના ભાગરૂપે આગામી 10મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ (Om Birla) આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નિવાસસ્થાને જઈને આમંત્રણ આપ્યું હતું.
સ્વતંત્રતાના 75મા વર્ષથી સેશન નવા સંસદ ભવનમાં યોજાશે
નવુ સંસદ ભવન 21 મહિનામાં બનીને તૈયાર થઈ જશે. દેશની સ્વતંત્રતાના 75 મા વર્ષે નવા બનેલા સંસદ ભવનમાં સંસદનું સત્ર આયોજિત કરવામાં આવશે. નવા સંસદ ભવનમાં સાંસદો માટે અલગ-અલગ કાર્યાલય હશે. ઉપરાંત સંસદસભ્યો માટે આધુનિક અનેક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે જેવી કે લાયબ્રેરી, લોંજ, સમિતિ કક્ષ, ભોજન ભવન હશે. સંસદને પેપરલેસ બનાવવાના નિર્ધાર સાથે સંસદસભ્યોને માટે ડિજીટલ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
બધા જ મંત્રીઓ એક જ ઈમારતમાં બેસશે
નવા સંસદ ભવનમાં (New Parliament House) દરેક મંત્રી એક બિલ્ડિંગમાં બેસશે જે હાલની વ્યવસ્થા મુજબ જુદા જુદા બિલ્ડિંગમાં બેસે છે. બધા મંત્રીઓ એક જ ઈમારતમાં બેસે એવી સુવિધા કરવાથી તેમને આવવા જવાના સમયની બચત થશે તથા ઈંધણ અને ખર્ચમાં બચત થશે. નવા સંસદ ભવનમાં લોકસભા તથા રાજ્યસભા કક્ષ ઉપરાંત એક ભવ્ય સંવિધાન કક્ષ બનાવવામાં આવશે જેમાં ભારતીય બંધારણની મુળ પ્રત, ડિજિટલ ડિસ્પ્લે તથા ભારતના લોકશાહી વારસાને દર્શાવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવશે. ભારતના પ્રવાસે આવનારા વિદેશી મહાનુભાવોને આ કક્ષની મુલાકાતે લઈ જવામાં આવશે જેથી તેઓ ભારતની સંસદીય લોકશાહી વિશે જાણકારી મેળવી શકે.
કેવું હશે ભારતનું નવું સંસદ ભવન
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Central Vista Redevelopment Project) અંતર્ગત તૈયાર કરવામાં આવનાર નવું સંસદ ભવન (New Parliament House) વર્તમાન સંસદ ભવનની બાજુમાં જ હશે. આ પ્રોજેક્ટ હેઠળ નવું ત્રિકોણાકાર સંસદ ભવન, એક સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથના નિર્માણનું આયોજન છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે નવા સંસદ ભવનમાં (New Parliament House) ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ન થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન સંસદ ભવનની તથા પ્રશાસનિક કાર્યવાહીમાં અવરોધ ઊભો ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.