- ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો.
- દાણીલીમડા અને વાસણાને જોડે છે.
- શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?
દેવલિપી ન્યૂઝનો એક્સલુસિવ ગ્રાઉન્ડ રિપોર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હજુ ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદમાં નવા બનેલ 5 બ્રિજનું નામકરણ થયુ છે. પરંતુ શંકા એ છે કે નવા બ્રિજ બનાવ્યા પછી, નામકરણ કર્યા પછી એની સારસંભાળ રાખી શકશે AMC ?
આ પ્રશ્ન એટલે પૂછવો પડે છે કે આ 5 બ્રિજ પહેલાથી જે બ્રિજ અમદાવાદમાં બનાવેલ છે એમની સારસંભાળમાં AMC ઉણી ઉતરથી નથી દેખાઈ રહી.
જુઓ, દેવલિપી ન્યૂઝનો એક્સક્લુસિવ રિપોર્ટ.
ડૉ. આંબેડકર બ્રિજ

દાણીલીમડા અને વાસણાને જોડતા બ્રિજને 2011 માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને નામકરણ કરવામાં આવ્યું હતું “ડૉ. આંબેડકર બ્રિજ”.
આ બ્રિજના ઉદ્ઘાટન પછી અમદાવાદ પૂર્વ થી પશ્ચિમ અને પશ્ચિમ થી પૂર્વમાં અવરજવર કરવી ખુબ જ સરળ બની ગઈ હતી. આ પહેલા બધો ટ્રાફિક માત્ર સરદાર બ્રિજ તરફ જતો.
AMC ભૂલી ગઈ છે ડૉ આંબેડકર બ્રિજ ?
આ બ્રિજ પરથી પસાર થતાં દેવલીપી ન્યૂઝની ટીમને AMC ની ગંભીર બેદરકારી ધ્યાને આવી જે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી દુઃખદ ઘટનામાં પરિણમી શકે એમ છે.
બ્રિજ પર બંને બાજુ બનેલ ફૂટપાથ પર અપાર ગંદકી છે અને ફૂટપાથ ચાલવા લાયક રહ્યો જ નથી. અને સૌથી ગંભીર બાબત એ છે કે આખા બ્રિજની લંબાઈ સુધી આ બન્ને બાજુના ફૂટપાથ પર જંગલની જેમ વૃક્ષો અને છોડવાઓ ફુટી નીકળ્યા છે.
બ્રિજ પર 5 – 5 ફૂટના વૃક્ષો
ચોમાસામાં દરેક જગ્યાએ ઘાસ ઉગી નીકળવું એ સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે અમે ડૉ. આંબેડકર બ્રિજનું નિરીક્ષણ કર્યું તો જોઈને દંગ રહી ગયા છે બંને બાજુના ફૂટપાથ છોડવાઓ અને વૃક્ષોથી ભરાઈ ગયો છે અને નાગરિકોને ચાલવાની જગ્યા પણ નહીં રહી.
અને ઘણી જગ્યાએ આ વૃક્ષો 5 – 5 ફૂટ ઊંચા થઈ ગયા છે. અને આટલા મોટા થવામાં એમને મહિનાઓ લાગ્યા હશે એ સ્વાભાવિક છે. એટલે કે મહિનાઓથી ડૉ. આંબેડકર બ્રિજની સંભાળ AMC દ્વારા નથી લેવાઈ.
અને ગંદકી એટલી છે કે એની પાસેથી નીકળવુ પણ અશક્ય થઈ જાય છે. સ્વચ્છતાના નામે શૂન્ય ગણી શકાય આ બ્રિજની હાલત.
નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
2011 માં એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું હતુ અને એ વખતે મુખ્ય અતિથિ હતા આનંદીબહેન પટેલ.
થોડાં દિવસ પહેલા જ નવી ટેક્સનીતિની જાહેરાત વખતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરદાતાઓને ખૂબ વધાવ્યા હતા. એમણે કહ્યું હતું કે ઈમાનદાર કરદાતાઓ જ રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રવિકાસમાં ખુબ મોટો ભાગ ભજવે છે.
તો એ જ કરદાતાઓના ટેક્સના પૈસામાંથી બનેલ આ ડૉ આંબેડકર બ્રિજની આવી અવગણના કેમ ? બ્રીજની સાફસફાઈ અને સુરક્ષામાં આવી ઘોર બેદરકારી કેમ ?
કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?
આ ગંભીર બેદરકારીના કારણે જો બ્રિજને કંઈક નુકશાન થશે અને એના કારણે રાહદારીઓના જીવ જોખમમાં મુકાશે તો એનું જવાબદાર કોણ ?
શુ પછી દોષનો ટોપલો કોઈ કોન્ટ્રાકટ પરના કર્મચારી પર નાખીને AMC ત્યારે પણ છટકી જશે ?