Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 8


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…


દર સોમવાર, બુધવાર તથા શુક્રવારે https://devlipinews.com/ પર પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે લખાયેલી શ્રેણી ભારતના ભાગલાની ભીતરમાં


આજે વાંચો લેખમાળાનું પ્રકરણ 8


શરુઆતમાં કોન્ગ્રેસના અધિવેશનોમાં અંગ્રેજ શાસનની ભરપૂર પ્રશંસા થતી.


એલન ઓક્ટેવિયન હ્યુમ બહુ વિચક્ષણ અંગ્રેજ અધિકારી હતો. એનો ઉદ્દેશ કોઇપણ ભોગે પ્રજામાં સળગી રહેલા લાવાને ટાઢો પાડવાનો હતો. દેશભરમાં પથરાયેલા તીસ હજારથી પણ વધુ માહિતી મોકલનારાઓ પાસેથી હ્યૂમને એક સૌથી મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. હ્યૂમને એ માહિતીના કારણે પાકી ખાતરી હતી કે સામાન્ય પ્રજાની આર્થિક હાડમારીઓ અને બુદ્ધિજીવીઓની ઉપેક્ષાને કારણે નજીકના ભવિષ્યમાં એક ભયંકર વિસ્ફોટોનું જોખમ પેદા થયું છે.


એ ભયંકર વિસ્ફોટ કેવો હશે એ વિશે એ. ઓ. હ્યૂમના જીવનચરિત્રમાં વિલિયમ વેડરબર્નએ લખ્યું છે– ‘અનેક ગુપ્ત માહિતીઓથી ધ્યાનમાં આવે છે કે ખાનગી રીતે જૂની તલવારો, ભાલાઓ અને બંદૂકો ભેગી કરવામાં આવી રહી છે કે જે જરૂર પડ્યે તરત કામમાં આવશે. એમ કહેવાય છે કે અચાનક હિંસા ભડકશે, ચારેબાજુ ગુનાખોરીનું બજાર ગરમ થશે, નગમતી હોય એવી વ્યક્તિઓની હત્યા થશે, મહાજનો અને બજારો ધોળે દહાડે લૂંટવામાં આવશે. સામાન્ય લોકો તો આ સમયે આમ પણ અર્ધ ભૂખ્યા, અર્ધ નગ્ન છે જ. આવી સ્થિતિમાં લાગે છે કે પ્રારંભિક કેટલાક ગુનાઓ એવા સેંકડો ગુનાઓના સંકેત માત્ર હશે. શક્ય છે કે અરાજકતા ફેલાય અને અધિકારીઓ તેમજ ભદ્ર વર્ગોનું જીવન મુશ્કેલ બની જાય. શિક્ષિત વર્ગોનો એક નાનકડો વર્ગ, જે અત્યારે કદાચ કોઇપણ કારણ વિના સરકારનો ઘોર વિરોધી છે, એ પણ આંદોલનમાં ભાગ લેશે, જ્યાં ત્યાં નેતૃત્વ સંભાળશે, આંદોલનનું સંકલન કરશે અને રાષ્ટ્રીય વિદ્રોહના સ્વરૂપમાં એનું સંચાલન કરશે.” (વેડરબર્ન : લાઇફ હિસ્ટ્રી ઑફ એ. ઓ. હ્યૂમ, પૃ. 80-81)


હ્યૂમને હવે સંપૂર્ણ ખાતરી થવા માંડી હતી કે વધતી જતી બદનામી ઓછી કરવા માટે તત્કાળ એક નક્કર કાર્યક્રમની જરૂર છે.


ચોંકાવી મૂકે એવાં તથ્યોથી ભરપૂર હ્યૂમના જીવનચરિત્રમાં વેડરબર્નએ કહ્યું છે, ‘લોર્ડ લિટનના આધિપત્ય હેઠળ પ્રતિક્રિયા રુપે અપયશ અપાવે તેવા ઉપાયો અને દમન માટે પોલીસની રૂસી ભેદી ચાલોને કારણે ભારત ક્રાંતિકારી આંદોલનની ટોચે પહોંચી ગયું છે. અને સમય જતાં હ્યૂમ અને એના ભારતીય સલાહકારોને હસ્તક્ષેપ કરવાની બુદ્ધિ સૂઝી છે.’ હ્યૂમે સ્પષ્ટ કહ્યું છે કે કૉંગ્રેસની સ્થાપના કરવા પાછળ એનો હેતુ શો હતો : ‘પોતાના કાર્યના પરિણામ સ્વરૂપે જે વિશાળ શક્તિઓ પેદા થઇ રહી છે એનાથી છુટકારો મેળવવા માટે કોઇ રક્ષણાત્મક ઉપાય યોજવાની તાત્કાલિક જરુર છે. અને આપણા કૉંગ્રેસ આંદોલનથી વધુ સારો અન્ય કોઇ પ્રભાવી રક્ષણાત્મક ઉપાય હોઇ શકે છે’ (વેડરબર્ન : લાઇફ હિસ્ટ્રી ઑફ એ. ઓ. હ્યૂમ, પૃ. 80-81)


ડૉ. પટ્ટાભિ સીતારામૈય્યાએ ‘ઇંડિયન નેશનલ કૉંગ્રેસ’નો જે અધિકૃત ઇતિહાસ લખ્યો છે, એમાં પણ કૉંગ્રેસની સ્થાપનાની પૃષ્ઠભૂમિની પુષ્ટિ કરવામાં આવી છે. ‘શ્રી હ્યૂમ પાસે સચોટ સાબિતી હતી કે રાજકીય અસંતોષ અંદરને અંદર સળગી રહ્યો હતો… એના આધારે હ્યૂમે નિશ્ચય કર્યો કે આ અસંતોષને સુરક્ષિત બહાર કાઢવા માટે કોઇ દ્વાર તૈયાર કરવું જોઇએ અને કૉંગ્રેસ એવું જ સુરક્ષા-દ્વાર બની શકે છે. (પટ્ટાભિ સીતારામૈય્યા : ધ હિસ્ટ્રી ઑફ ધ ઇંડિયન નેશનલ કૉંગ્રેસ, પૃ. 11) ટૂંકમાં ભારતીય પ્રજામાં સ્વતંત્રતા થવાનો જે લાવા સળગી રહ્યો હતો એમાંથી અંગ્રેજ સલ્તનતને બચાવવા માટે કોન્ગ્રેસરુપી લાયબંબો તૈયાર કરવામાં આવ્યો. એક રીતે કોન્ગ્રેસ અંગ્રેજો માટે સેફ્ટીવાલ્વ હતો.


નિવૃત્ત થતા ગવર્નર જનરલ રિપને પોતાના અનુગામી ડફરિનને સલાહ આપી હતી કે તે દેશની તત્કાલીન સ્થિતિ બાબતે હ્યૂમ સાથે વિચારવિમર્શ કરે, તે એમના માટે અત્યંત લાભદાયી સિદ્ધ થશે. એમને ખબર પડશે કે વધતા જતા પડકારોનો સામનો કરવા માટેનો સર્વોત્તમ ઉપાય કયો હોઇ શકે છે. ડફરિને એ પછી હ્યૂમને બોલાવીને એમની સાથે કૉંગ્રેસની સ્થાપના માટે પોતાની યોજના અંગે ચર્ચા કરી. શરુઆતમાં કૉંગ્રેસને રાજકીય મોરચે લાવવાનો હ્યૂમનો કોઇ વિચાર જ નો’તો, તેને માત્ર સમાજ-સુધારણાના આંદોલનનું સ્વરૂપ આપવાનું પૂરતું હતું. ડફરિને જ હ્યુમને સલાહ આપી કે, કૉંગ્રેસને રાજકીય સંસ્થા બનાવવી જોઇએ.


ડફરિને હ્યૂમને કહ્યું, ‘આપણે ત્યાં ઇગ્લેન્ડમાં વિરોધપક્ષ મહામહિમનો વિરોધ કરે છે એમ આ દેશમાં પણ એવી વ્યક્તિઓની જરાય ખોટ નથી, એ કોઇપણ કાર્યો માટે તૈયાર જ છે. એમના હિતમાં તથા પ્રજાના હિતમાં પણ એ જરુરી હશે કે ભારતીય રાજનીતિજ્ઞો દરેક વર્ષે મીટિંગ કરે અને સરકારને જણાવે કે વહીવટમાં ક્યાં ક્યાં શું ખામીઓ છે અને તેમાં કેવી રીતે સુધારો કરી શકાય એમ છે. લોર્ડ ડફરિને હ્યૂમ સામે એવી શરત મૂકી હતી કે જ્યાં સુધી તેઓ દેશમાં છે ત્યાં સુધી એમના નામની ખબર પડવી જોઇએ નહિ.’ (આર. સી. મજૂમદાર : હિસ્ટ્રી ઑફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇંડિયા, ખંડ 1, પૃ. 316)


શરુઆતમાં તો કૉંગ્રેસનાં વાર્ષિક અધિવેશન સંપૂર્ણ રીતે એના સ્થાપકોની ઇચ્છા પ્રમાણે જ ભરાયાં. જે કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા અને જે નેતા સામે લાવવામાં આવ્યા, એનો હેતુ રાષ્ટ્રીય સ્તરે એક નવી નેતાગીરી આણવાનો હતો. એમની પ્રથમ લાયકાત એ હોય કે તેઓ આંખ મીંચીને બ્રિટિશ રાજ્યસત્તા પ્રત્યે નિષ્ઠાવાન રહે. કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન 1885માં મુંબઈમાં થયું, બીજું કલકત્તામાં અને ત્રીજું મદ્રાસમાં થયું. દરેક અધિવેશનમાં કૉંગ્રેસ પ્રતિનિધિઓની વખાણ અંગ્રેજ ગવર્નરોએ કર્યા હતા. ખરેખર તો સૌ પ્રથમ એવુંય નક્કી કરવામાં આવ્યું હતું કે મુંબઈના ગવર્નર ખુદ પ્રથમ અધિવેશનનું પ્રમુખ પદ સંભાળે, પરંતુ ત્યાર પછી એ વિચાર છોડી દેવામાં આવ્યો. કારણ કે એમ કરવાથી તો એના હેતુઓ અને ગુપ્ત એજન્ડાના ઉઘાડે છોગ ઢોલ વાગ્યો હોત. છેલ્લી ઘડીએ કોન્ગ્રેસ અધિવેશનના પ્રમુખપદે ડબલ્યુ સી. બેનરજીને બેસાડવામાં આવ્યા. અપેક્ષા પ્રમાણે જ અધ્યક્ષીય ભાષણમાં ‘અંગ્રેજ-રાજની કૃપામય શીતળ છાયા હેઠળ દેશને અનેક લાભ પ્રાપ્ત થયા.’ એમ કહી અંગ્રેજ શાસનની ભરપૂર પ્રશંસા કરવામાં આવી. અધિવેશનનો પ્રારંભ જ ઇંગ્લેન્ડની મહારાણી દીર્ઘાયુ થાય અને સ્વસ્થ રહે, એવી પ્રાર્થના સાથે થયો. કૉંગ્રેસના બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજીએ વિનમ્રતા અને ગર્વથી કહ્યું કે તેઓ બ્રિટિશ સામ્રાજ્ય-ભવનનો બીજો પાયો રચી રહ્યા છે. સુરેન્દ્રનાથ બેનરજીએ 1895ના કૉંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ પદેથી કામના કરી કે બ્રિટિશ સામ્રાજ્ય અમર રહે. 1902માં એમણે ફરી કહ્યું કે ભારતીયોની સર્વોપરી ઇચ્છા હતી કે એમને સ્વાયત્ત દેશોના એ મહાસંઘમાં સ્થાન મળે, જેની મહિમામયી માતા ઇંગ્લેન્ડ હતું.


અહીં વાતનો ઉલ્લેખ જરુરી છે કે દાદાભાઇ નવરોજી અને સુરેન્દ્રનાથ બેનરજી એ સમયના સર્વોચ્ચ રાષ્ટ્રવાદીઓ પૈકીના હતા. તેઓ વિલક્ષણ પ્રતિભાના ધની હતા. આવા દિગ્ગજ રાષ્ટ્રવાદીઓ પણ બ્રિટિશ રાજની કૃપાની મોહજાળથી મુક્ત થઇ શક્યા ન હતા. એ જ બતાવે છે કે કેટલી હદ સુધી અંગ્રેજી શિક્ષણનો જાદુ એમના માથે સવાર હતો.


પરંતુ સમયના વહેણ સાથે કૉંગ્રેસના સ્વરૂપમાં પરિવર્તન આવવા માંડ્યું. પ્રજામાં ધધકતા રાષ્ટ્રીયતાના જ્વાળામુખીની અવગણના કોન્ગ્રેસ કરી શકે તેમ નહોતી, નહીંતર પ્રજાલાવા એને ય ભસ્મિભૂત કરી નાખત. રાષ્ટ્રના માનસમાં સંઘરાયેલ સ્વાતંત્ર્યની અદમ્ય ભાવનાનું જ આ ફળ હતું, જેણે એક મહાન ચમત્કાર કરી બતાવ્યો. લોઢાએ લોઢાને કાપ્યું. લોકમાન્ય ટિળક જેવા પ્રખર રાષ્ટ્ર્ભક્તો જેવા કોન્ગ્રેસમાં આવ્યા એ સાથે જ એમાં ચમત્કાર થયો. ટિળક અને ગાંધીજીના ગતિશીલ નેતૃત્વમાં કૉંગ્રેસનો આ કાયાકલ્પ થયો. અંગ્રેજ સલ્તનતના ગુણગાન ગાનારૌ રાજકારણીઓનો મંચ રાષ્ટ્રીય કૉંગ્રેસ હવે લોક-આંદોલનનો મંચ બની ગઇ. તે પ્રજાના પ્રતિકાર, અસહકાર અને આખરે સત્યાગ્રહનો મંચ બની ગઇ. જૂન 1906માં લોકમાન્ય ટિળકે વિદેશી માલના બહિષ્કારનો નારો આપી સિંહગર્જના કરી કે પ્રાર્થનાઓ, આવેદનપત્રો અને વિરોધ-સભાઓના દિવસ હવે પૂર્ણ થયા.


આમ ટૂંકમાં બતાવવામાં આવ્યું છે કે આ ત્રિકોણિયા સંઘર્ષમાં હિન્દુઓ વિરુદ્ધ અંગ્રેજો કેવી રીતે એક ચોક્ક્સ રણનીતિ મુજબ ચાલ ચાલ્યા અને અંત સુધી એ નીતિને વળગી રહ્યા. એમની નીતિનાે એક જ એજન્ડા હતો – હિન્દુઓનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવની ભાવનાને ધ્વસ્ત કરો, એમના વિવિધ વર્ગોમાં છળકપટ-ષડયંત્રકારી ઉપાયોથી દ્વેષ અને વિવાદનાં બીજ વાવો, એમને શક્તિ-સામર્થ્યથી વંચિત રાખો અને જ્યાં કોઇ નવાં બંધારણીય પરિવર્તન અમલી કરવામાં આવે ત્યાં મુસ્લિમ શક્તિ અને પ્રભાવનો માર્ગ મોકળો કરો. એમાંથી જ ભારતના ભાગલાના બીજ રોપાયાં…


ક્રમશ: ©kishormakwana


Spread the love