ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 14
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ 14

બંગાળના ભાગલા: દેશભક્તિની લાગણીને તોડવાનું ષડયંત્ર
ઓગણસમી સદીના અંતે એક તરફ અંગ્રેજો મુસલમાનોમાં અલગતાવાદના બીજ વાવી રહ્યા હતા તો બીજી તરફ આ દેશને સ્વતંત્ર કરવાની તડપ વધી રહી હતી. સમગ્ર દેશમાં વીસમી સદીના પ્રારંભે સ્વતંત્રતા આંદોલન બળવત્તર બની રહ્યું હતું, એ સમયે 1904માં અંગ્રેજોએ કરેલા બંગાળના ભારતીય સ્વતંત્રતા આંદોલનના પુન: પ્રારંભનું પગથિયું બન્યું. એણે દેશને એક નવી દિશા આપી હતી.
બંગાળ મહાન ક્રાંતિકારીઓ, રાષ્ટ્રવાદી તથા સામાજિક નેતાઓનો ગઢ બની ચૂક્યું હતું. સમગ્ર રાષ્ટ્રીય સ્તર પર એનો ઊંડો પ્રભાવ પડ્યો. વાઈસરૉય લોર્ડ કર્ઝનને શંકા હતી કે જો બંગાળમાં ‘દાવાનળ’ને તરત જ શાંત કરવામાં નહિ આવે તો તે સમગ્ર દેશમાં ફેલાઇ જશે અને એમની સામ્રાજ્યવાદી આકાંક્ષાઓ અધૂરી રહી જશે. આથી એણે સંકટોના વાદળોને મારી હટાવવાનો નિર્ણય કર્યો. આ માટે એમણે બંગાળના ભાગલા કરીને એક અલગ મુસ્લિમ બહુમતીવાળું પૂર્વ બંગાળ બનાવવાનો વિચાર રમતો મૂક્યો. બંગાળનો પ્રાંત એ સમયે થોડો અટપટો હતો. એમાં સમગ્ર બંગાળ ઉપરાંત આસામ, બિહાર અને ઓરિસ્સાના વર્તમાન વિસ્તાર સામેલ હતા. વાસ્તવમાં વહીવટી દ્રષ્ટિએ આ ત્રણે પ્રાંતોને અલગ અલગ પ્રાંતોનું સ્વરૂપ આપવાની જરૂર હતી. બંગાળના ચટગાઁવ, ઢાકા, મૈમનસિંહ અને તિપ્પરા પહાડી વિસ્તારોને આસામ સાથે સાંકળી લેવામાં આવ્યા, પરંતુ ઓરિસ્સાને મધ્યવિસ્તારો સાથે સાંકળીને તથા અલગ બિહાર પ્રાંત બનાવવાની રજૂઆત ફગાવી દેવામાં આવી.
આ પગલા પાછળ સામ્રાજ્યવાદી ચાલ હતી, જેને સ્વયં સર હેનરી કૉટન નામના એક અંગ્રેજઅધિકારીએ ઉઘાડી પાડી: ‘આ કાર્યનો હેતુ પ્રાંતમાં વ્યાપ્ત એકતા અને સંગઠનની ભાવનાઓને કચડી નાખવાનો છે. આ યોજનાના મૂળમાં કોઈ વહીવટી કારણ નથી. આ તો લોર્ડ કર્ઝનની એ નીતિનું જ અંગ છે કે દેશભક્તિના જુવાળને પાછળ ધકેલી દેવાે અને એની રાજકીય શાખા પ્રશાખાઓને કાપી નાખવી જોઇએ.’ (મહેતા અને પટવર્ધન: ધ કમ્યુનલ ટ્રાયંગલ-પૃષ્ઠ: 64)
કલકત્તાથી છપાતા ‘અંગ્રેજી માલિકીના દૈનિક ‘સ્ટેટ્સમેન’ એ પણ બંગાળના ભાગલાની સાચી યોજના પર પ્રકાશ ફેંક્યો. સંપાદકીયમાં આ કાર્યને બધી જ રીતે યોગ્ય ઠેરવતાં લખ્યું કે, ‘એનો હેતુ પૂર્વ બંગાળમાં મુસલમાનોની શક્તિ મજબૂત કરવાનો છે. આશા રાખીએ કે એનાથી હિન્દુ જાતિની ઝડપથી વધતી જતી શક્તિ પર અંકુશ મેળવી શકાશે.’ (મહેતા અને પટવર્ધન: ધ કમ્યુનલ ટ્રાયંગલ-પૃષ્ઠ: 64)
1904માં બ્રૌડરિકને કર્ઝને લખેલા એક પત્રમાં લખ્યું હતું, ‘જો આપણે આ સમયે એમના હાકલા-પડકારા આગળ ઘૂંટણ ટેકવી દઈશું તો આપણે બંગાળની કાપકૂપ કરી શકીશું નહિ અને આપણે ભારતની પૂર્વ સરહદે એક વિશાળ શક્તિને મજબૂત થવાનો અવસર આપીશું. જે આગળ જતા ચોક્કસપણે ભવિષ્યમાં એક ભયંકર અને વધુ ને વધુ વધતી જતી આફતનું કારણ બનશે.’ (આર. સી. મજૂમદાર: સ્ટ્રગલ ફોર ફ્રીડમ, ખંડ-11, પૃષ્ઠ: 22)
આ ભાગલાને કારણે સમગ્ર બંગાળમાં ક્રોધ વ્યાપી ગયો. એની સામે તીવ્ર પ્રતિક્રિયા થઈ. આક્રોશનો લાવા ફૂટી નીકળ્યો. ઠેર ઠેર સભાઓ થઇ. અંગ્રેજોને એવી અપેક્ષા ન હતી. ઘણા મુસલમાનોએ પણ અચકાયા વગર હિન્દુઓને સાથ આપ્યો અને બ્રિટિશ ષડયંત્રને વખોડી કાઢ્યું. લોર્ડ કર્ઝને અને એન્ડ્ર્યુ ફ્રેજરે તરત જ વિવિધ સરકારી સગવડોની લાલચ આપી મુસલમાનોને હિન્દુઓથી અલગ કરવાની ગુપ્ત યોજનાઓ ઘડી કાઢી. ઢાકાના નવાબ સલીમુલ્લા ખાને ભાગલાને એક ‘શેતાની સોદો’ કહી ટીકા કરી હતી, એને નામ માત્રના વ્યાજે એક લાખ પાઉન્ડની મોટી રકમની લોન આપી અંગ્રેજોએ પોતાને પક્ષે ફોડ્યો. એણે અંગ્રેજોને સાથ આપી ગદ્દારી કરી.
ઢાકામાં એક ખાસ બેઠક બોલાવી કર્ઝને ઘોષણા કરી કે ‘પૂર્વબંગાળ એક મુસ્લિમપ્રાંત બની રહેશે.’
કર્ઝને કહ્યું: ‘ભાગલાની સૂચિત યોજનાને કારણે ઢાકા એક નવા અને આત્મનિર્ભર પ્રાંતનું કેન્દ્ર અને સંભવ છે કે રાજધાની બની જશે. એના પ્રભાવથી આવી રીતે રચાયેલ પ્રાંતમાં સંખ્યા અને ઉચ્ચતર સંસ્કૃતિને કારણે આ જિલ્લાના લોકોની ભાષાને ખૂબ મહત્વ મળશે. આને કારણે પૂર્વ બંગાળમાં મુસલમાન એવી એકતા સાધી શકશે જે એમણે પુરાણા ‘મુસલમાન વાઇસરોય’ અને બાદશાહોના સમયથી માંડીને આજ સુધી પ્રાપ્ત કરી નથી. એનાથી એમની પરંપરાઓના ઉત્થાનને ઉત્તેજન મળશે, જે ઇતિહાસના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંગાળ રાજ્ય સાથે જોડાયેલી હતી.’ (આર. સી. મજૂમદાર: સ્ટ્રગલ ફોર ફ્રીડમ, ખંડ-11, પૃષ્ઠ: 22)
દુર્ભાગ્યે અનેક મુસલમાનો આ ફંદામાં ફસાઈ ગયા.