ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 34
• કેરળમાં મોપલા હત્યાકાંડ : કાફરોની નિર્દયતાપૂર્વક કત્લેઆમ થઇ
કેરળમાં સ્થાનિક મુસલમાનો ‘મોપલા’ઓ વચ્ચે એવો ઝેરી અફવા ફેલાવવામાં આવી કે ખિલાફત આંદોલન સફળ થઇ ગયું છે, બ્રિટિશ રાજનો અસ્ત થયો છે તથા ખિલાફતની પુન: સ્થાપના થઇ છે. આથી તમામ કાફરોને ખતમ કરીને દારુલ-ઇસ્લામની સ્થાપના કરી દેવાનો હવે સમય આવી પહોંચ્યો છે.
અંગ્રેજો સામે હાર્યા બાદ કટ્ટરપંથી મોપલાઓએ શાંતિથી બેઠેલા હિન્દુઓ પર પોતાનો બધો ગુસ્સો ઉતાર્યો, કારણ કે એમની દ્રષ્ટિમાં હિન્દુઓ પણ એટલા જ કાફર હતા જેટલા અંગ્રેજો… હિન્દુઓ, જે ‘હિન્દુ-મુસ્લિમ ભાઇ ભાઇ’ અને ‘અલ્લા-હો-અકબર’નાં મીઠાં હાલરડાં સાંભળ- સાંભળતા સૂઇ ગયા હતા એ સરળતાથી મોપલાઓની હિંસાનો શિકાર બન્યા.
મોપલા હત્યાકાંડમાં મોપલા મુસલમાનો દ્વારા 1,500 હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. 20,000થી વધુ હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવી દેવામાં આવ્યા. લગભગ 3 કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી લેવામાં આવી. હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર, શારીરિક આતંક અને અપહરણની તો કોઇ સીમા જ નહોતી. ડૉ. એની બેસન્ટે કહ્યું છે: ‘એમણે મન ભરીને હત્યાઓ કરી, લૂંટફાટ કરી અને એવા તમામ હિન્દુઓને મારી નાખ્યા.
ડો. બાબાસાહેબ લખે છે: ‘હિંદુ-મુસ્લિમ એકતા ઊભી કરવા શ્રી ગાંધીએ બધું જ કર્યું હતું એવું નથી, પણ જ્યારે મુસ્લિમો હિંદુઓ પ્રત્યે ભારે ગુનાઓ માટે ગુનેગાર હતા ત્યારે પણ તેમણે ક્યારેય મુસ્લિમોને ખુલાસો કરવા જણાવ્યું નથી.’
ખિલાફત આંદોલનના પ્રયોગનું એક મહાભયંકર અને ધૃણાસ્પદ-બર્બર પરિણામ કેરળે ભોગવવું પડ્યું. 1921 સુધીમાં આ આંદોલન તદ્દન ઠપ્પ થઇ ગયું હતું. આ આંદોલન ભારતની ભૂમિમાં તો જન્મ્યું નહોતું. આથી એમાં કોઇ આશ્વર્ય નથી કે તે જેટલી ઝડપથી તે ફેલાયું હતું, એટલી જ ઝડપથી તે મંદ પડી ગયું. પરંતુ કેરળમાં સ્થાનિક મુસલમાનો ‘મોપલા’ઓ વચ્ચે એવો ઝેરી અફવા (સીએએ વખત જેવી જ માનસિકતા, અદ્દલ એવો જ માહોલ આઝાદી પહેલા ભારતમાં હતો.) ફેલાવવામાં આવી કે ખિલાફત આંદોલન સફળ થઇ ગયું છે, બ્રિટિશ રાજનો અસ્ત થયો છે તથા ખિલાફતની પુન: સ્થાપના થઇ છે. આથી તમામ કાફરોને ખતમ કરીને દારુલ-ઇસ્લામની સ્થાપના કરી દેવાનો હવે સમય આવી પહોંચ્યો છે. પોતાના ખિલાફતી નેતાઓ-મુલ્લાંઓ અને મૌલવીઓના નારાએ મોપલા કટ્ટરવાદીઓની ઉત્તેજના ભડકાવી દીધી. તરત જ તેમણે કોઇ મહમંદ હાજીને પોતાનો ખલીફા બનાવી દઇ જેહાદની ઘોષણા કરી દીધી. પહેલાં તો એમનો ગુસ્સો અંગ્રેજો પર ઉતર્યો. ઉગ્ર અથડામણો શરૂ થઇ હતી. મોપલા વિસ્ફોટની ભયાનકતાનો અંદાજ આ આંકડાઓ પરથી લગાવી શકાય છે. : 2,266 તોફાનીઓ માર્યા ગયા, 1,615 ઘાયલ થયા, 5,688 ધરપકડ કરવામાં આવ્યા અને 38,656 એ શરણાગતિ સ્વીકારી. આખરે ‘ખિલાફતના કર્ણધાર’ અને એમના નિકટના સાથીદારો અંગ્રેજોના હાથે પકડાઇ ગયા. સૈનિક અદાલતમાં એમના પર ખટલો ચલાવવામાં આવ્યો અને ટૂંકી સૂનાવણી પછી એમને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા.
અંગ્રેજો સામે હાર્યા બાદ કટ્ટરપંથી મોપલાઓએ શાંતિથી બેઠેલા હિન્દુઓ પર પોતાનો બધો ગુસ્સો ઉતાર્યો, કારણ કે એમની દ્રષ્ટિમાં હિન્દુઓ પણ એટલા જ કાફર હતા જેટલા અંગ્રેજો. હિન્દુઓ, જે ‘હિન્દુ-મુસ્લિમ ભાઇ ભાઇ’ અને ‘અલ્લા-હો-અકબર’નાં મીઠાં હાલરડાં સાંભળ- સાંભળતા સૂઇ ગયા હતા એ સરળતાથી મોપલાઓની હિંસાનો શિકાર બન્યા. ‘અલ્લા-હો-અકબર’ દેશભરમાં ખિલાફત આંદોલનનો નારો બની ગયો હતો. ગાંધીજી એને ‘ભારત માતા કી જય’ થી પણ વધુ ચઢિયાતો ગણાવતા હતા, કારણ અલ્લાહ અર્થાત ઇશ્વર ભારત માતા અર્થાત દેશથી પણ મોટો છે. પરંતુ સામાન્ય મુસ્લિમ જનતા માટે તો ‘અલ્લા-હો-અકબર’ કાફરો વિરુદ્ધ યુદ્ધનો નારો હતો.
ડો. બાબાસાહેબ આંબેડકર ગાંધીજીના નારા પ્રેમ વિશે લખે છે: ‘હિંદુ-મુસ્લિમ એકતાનો સારો અને સાચો પાયો નાખવા શ્રી ગાંધી એટલા તો ઉત્સુક હતા કે રાષ્ટ્રીય કટોકટી અંગે પોતાના અનુયાયીઓને સલાહ આપવાનું તે ન ભૂલ્યા. ઈ.સ. 1920ના 8મી સપ્ટેમ્બરના ‘યંગ ઇન્ડિયા’માંના લેખમાં શ્રી ગાંધીએ લખ્યું હતું કે ‘મદ્રાસના પ્રવાસ દરમિયાન બેઝવાડામાં રાષ્ટ્રીય કટોકટી અંગે ઉલ્લેખ કરવાનો મને અવસર મળ્યો હતો અને ત્યાં મેં સૂચવ્યું હતું કે માણસો કરતાં આદર્શો વિશે પોકાર પાડવો તે વધુ સારું છે. મેં પ્રેક્ષકોને ‘મહાત્મા ગાંધી કી જય’ અને ‘મહંમદઅલી શૌકતઅલી કી જય’ ને બદલે ‘હિંદુ-મુસ્લિમ કી જય’ બોલવા કહ્યું હતું. મારા પછી પ્રવચન કરનાર ભાઈ શૌકતઅલીએ એક ચોક્કસ નિયમ નક્કી કર્યો. હિંદુ-મુસ્લિમ એકતા હોવા છતાંય તેમણે જોયું હતું કે હિંદુઓ ‘વંદે માતરમ્’ બોલતા ત્યારે મુસ્લિમો ‘અલ્લા હો અકબર’ નો સૂત્રોચ્ચાર કરતા અને મુસ્લિમો ‘અલ્લા હો અકબર’ પોકારતા ત્યારે હિંદુઓ ‘વંદે માતરમ્’ બોલતા. શૌકતઅલીએ સાચું જ કહ્યું હતું કે આ બધું કાનને વાગતું અને એમ જ દર્શાવતું કે લોકો એક મને વર્તતા નથી. આથી માત્ર ત્રણ જ સૂત્રો સ્વીકારાવાં જોઈએ. હિંદુઓ તથા મુસ્લિમોએ આનંદપૂર્વક ‘અલ્લાહો અકબર’ નું સૂત્ર પોકારી દર્શાવવું જોઈએ કે એકલો ઈશ્વર જ મહાન છે, બીજું કોઈ નહિ. બીજું સૂત્ર ‘વંદે માતરમ્’ અથવા ‘ભારત માતા કી જય’ અને ત્રીજું ‘હિંદુ-મુસલમાન કી જય’ – આ સૂત્રો સિવાય ભારત માટે કોઈ જય નહોતો અને ઈશ્વરની મહાનતાનું કોઈ સાચું પ્રદર્શન નહોતું. હું ઈચ્છું છું કે વર્તમાનપત્રો અને જાહેર વ્યક્તિઓ મૌલાનાનું આ સૂચન ઉપાડી લે અને આ ત્રણ સૂત્રોચ્ચાર કરવા જ લોકોને દોરે. તે અર્થસભર છે. પહેલું સૂત્ર તે આપણી પ્રાર્થના છે. તે નમ્રતાનું પ્રતીક છે. આ સૂત્રમાં સહુ હિંદુઓ તથા મુસ્લિમોએ આદરપૂર્વક અને પ્રાર્થનાપૂર્વક જોડાવું જોઈએ. હિંદુઓએ અરબી શબ્દોની શરમ ન અનુભવવી જોઈએ, જ્યારે તેનો અર્થ સાવ નિરુપદ્રવી જ છે, એટલું જ નહિ પણ ઉદ્દાતકર્તા પણ છે, ત્યારે ઈશ્વરને કોઈ ખાસ ભાષા પ્રત્યે પક્ષપાત નથી. ‘વંદે માતરમ્’ તેના અદભુત અર્થ સાહચર્યનો પ્રચાર કરવા ઉપરાંત ભારતની પોતાની પૂર્ણ ઉન્નતિ પ્રાપ્ત કરે એવી એક રાષ્ટ્રીય ઈચ્છા વ્યક્ત કરે છે. હું (ગાંધીજી) ‘ભારત માતા કી જય’ ને બદલે ‘વંદે માતરમ્’ ને પસંદ કરું, કારણ કે તે બંગાળની બૌદ્ધિક તથા ભાવનાશીલ સર્વોપરીતાનો સુંદર સ્વીકાર હશે અને હિંદુ અને મુસ્લિમ હૃદયોની એકતા વિના ભારતનું કશું જ ન હોઈ શકે એટલે ‘હિંદુ-મુસ્લિમ કી જય’ તે સૂત્રને આપણે ક્યારેય ન ભૂલી શકીએ.
આ સૂત્રોચ્ચારમાં કોઈ વિસંવાદિતા ન હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ ત્રણ સૂત્રોમાંથી ગમે તે ઉચ્ચારે ત્યારે બીજાએ તે ઝીલી લેવું જોઈએ અને પોતાને ગમે તેવું સૂત્ર ન પોકારવું જોઈએ. જે તેમાં જોડાવા ન ઈચ્છતા હોય તેમણે સંયમ રાખવો જોઈએ પણ જ્યારે એક સૂત્ર ઉચ્ચારાતું હોય ત્યારે તેમાં પોતાના સૂત્રો દાખલ કરવા તે શિષ્ટાચારનો ભંગ ગણવો જોઈએ. હંમેશા ઉપર આપેલા ક્રમ પ્રમાણે આ ત્રણ સૂત્રો ઉચ્ચારવા તે પણ ઈષ્ટ રહેશે.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 175-176)
ડો. બાબાસાહેબ ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ ‘વંદે માતરમ્’ અને ‘અલ્લા હો અકબર’ સૂત્ર વિશે નિયમો લખ્યા એનો વિસ્તૃત ઉલ્લેખ કર્યા પછી લખે છે:
‘હિંદુ-મુસ્લિમ એકતા ઊભી કરવા શ્રી ગાંધીએ માત્ર આ બધું જ કર્યું હતું એવું નથી, પણ જ્યારે મુસ્લિમો હિંદુઓ પ્રત્યે ભારે ગુનાઓ માટે ગુનેગાર હતા ત્યારે પણ તેમણે ક્યારેય મુસ્લિમોને ખુલાસો કરવા જણાવ્યું નથી.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 176)
‘ભારત સેવક સમાજ’ તપાસ સમિતિના અહેવાલ અનુસાર આ મોપલા હત્યાકાંડમાં મોપલા મુસલમાનો દ્વારા 1500 હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. 20,000 થી વધુ હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવી દેવામાં આવ્યા. લગભગ ૩ કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી લેવામાં આવી. હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર, શારીરિક આતંક અને અપહરણની તો કોઇ સીમા જ નહોતી. ડૉ. એની બેસન્ટે કહ્યું છે: ‘એમણે મન ભરીને હત્યાઓ કરી, લૂંટફાટ કરી અને એવા તમામ હિન્દુઓને મારી નાખ્યા અથવા તગેડી મૂક્યા જેમણે પોતાનો ધર્મ છોડ્યો નહિ. એક લાખ લોકોને એમના ઘરોમાંથી ખદેડી મૂકવામાં આવ્યા. એ સમયે એમના શરીર પર માત્ર પહેરેલા કપડાં જ હતાં, બાકીનું બધું જ લૂંટી લેવામાં આવ્યું હતું.’ (એની બેસન્ટ : ધ ફ્યુચર ઑફ ઇંડિયન પોલિટિકસ – પૃ. 252)
એમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ બધા ભીષણ અત્યાચારો માટે ખિલાફતનો સાંપ્રદાયિક પ્રચાર જ જવાબદાર હતો.
કેન્દ્રીય ગુપ્તચર વિભાગના અધ્યક્ષ જે. કૈમ્પબેલ અને મુસ્લિમ અલગતાવાદના પ્રબળ સમર્થક થિયોડોર મૌરીસન પણ હિન્દુઓ પર થયેલા અત્યાચાર જોઇ હલબલી ગયો. ડો. આંબેડકરે આકરા શબ્દોમાં મોપલા મુસલમાનોના ક્રૂરતાપૂર્ણ જંગલીપણા વિશે લખ્યું !
કેવા બિહામણા અને ક્રૂર દ્ર્શ્ય હતા ? જોકે કોન્ગ્રેસ અને ગાંધીજીએ આ મોપલા હત્યાકાંડને છાવરવાનો પૂરતો પ્રયત્ન કર્યો.
