Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 12


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો. ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક, પત્રકાર કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.

વાંચો લેખમાળાનું પ્રકરણ 13


મુસલમાનોને ઉશ્કેરવાની ચાલબાજી…

1889માં ચાર્લ્સ બ્રેડલાએ બ્રિટિશ સંસદમાં એક બિલ રજૂ કર્યું, જેમાં ભારતની અંદર લોકતંત્ર સ્થાપવાની રજૂઆત કરવામાં હતી. બેકે એ બિલના વિરોધમાં મુસલમાનોને ભડકાવ્યા. 1883માં પણ બેકે અલીગઢ કોલેજમાં હોદ્દો સંભાળવા માટે ઇંગ્લેંડથી ભારત જતા પહેલાં, ભારત માટે કોઇ પણ પ્રકારની સંસદીય પ્રણાલીનો વિરોધ કર્યો હતો. એણે અત્યંત મક્કમતાપૂર્વક કહ્યું હતું, ‘ભારતમાં સંસદીય પ્રથા તદન બિનઉપયોગી છે અને જો પ્રતિનિધિત્વ આધારિત સંસ્થાન બનાવવામાં આવશે તો તે પ્રયોગ નિષ્ફળ જશે. મુસલમાન હિન્દુ બહુમતીના તાબામાં આવી જશે થશે. આવી કોઇપણ બાબતથી મુસલમાનો ગુસ્સે ભરાશે અને મને પૂરી ખાતરી છે કે તેઓ ચૂપચાપ આ વાત સ્વીકારશે નહિં.’
બ્રેડ્લા-બિલના વિરોધમાં થિયોડોર બેકે મુસ્લિમોનું વિશાળ વિરોધી સંગઠન રચવાની શરુઆત કરી. એમણે બ્રિટિશ સંસદ સમક્ષ રજૂઆત કરવા માટે એક પત્ર તૈયાર કર્યો. એ પત્ર લઇને એણે અલીગઢના વિદ્યાર્થીઓનાં અનેક ગ્રુપોને વિવિધ શહેરોમાં સહી ઝુંબેશ માટે મોકલ્યા. થિયોડોર બેક પોતે પણ એક જૂથ સાથે દિલ્હી આવ્યા. એક શુક્રવારે દિલ્હીના જામા મસ્જિદ સામે ઊભા રહી વિદ્યાર્થીઓએ બેક દ્વારા તૈયાર કરવામાં આવેલા આવેદનપત્રમાં મુસલમાનોની સહી લીધી. આવેદનપત્ર અંગ્રેજીમાં હતું, એમાં લખેલા એકપણ અક્ષરની સહી કરનારાઓને ખબર નહોતી. એમને તો માત્ર એટલું જ કહેવામાં આવેલું કે તમારા હિતમાં આ પત્ર છે, એમાં સહી કરો. આવેદનપત્રમાં એક બાબત એવી પણ લખવામાં આવી હતી કે
ગૌવધ એ મુસલમાનોનાે અધિકાર છે અને સરકારે માન્ય રાખવાે જોઇએ. ગૌવધ વિરુધ્ધની હિન્દુઓની માગણી ફગાવી દેવી જોઇએ. આવી રીતે આ આવેદન પર 20,375 સહીઓ કરાવવામાં આવી હતી. થિયોડોર બેકે પોતાની સામ્રાજ્યવાદી માનસિકતા પોષવા માટે હિન્દુઓ સાથે આવી રીતે દગાબાજી કરી અને બીજી તરફ મુસલમાનોને ઉશ્કેરતા રહ્યા. અંતે ચાર્લ્સ બ્રેડલાના બિલને અટકાવવામાં થિયોડોર બેક સફળ રહ્યો. અંગ્રેજોની આવી કુટિલતાના લીધે મુસલમાનોની અલગતાની માનસિકતાને પોષણ મળવા લાગ્યું. તેમના મતે ‘પ્રેમ અને યુદ્ધ’માં બધું જ યોગ્ય છે પરંતુ થિયોડોર જેવી વ્યક્તિઓએ એમાં એક વધુ શબ્દ ‘રાજકારણ‘ પણ જોડી દીધો.
1899માં માત્ર 39 વર્ષની વયે થિયોડોર બેકનું મૃત્યુ થયું. થિયોડોર બેકના મૃત્યુ સમયે સર જૉન સ્ટ્રેચીએ થિયોડોર બેકને જે શ્રદ્ધાંજલિ આપી છે તેના પરથી ખ્યાલ આવે છે કે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની દ્રષ્ટિમાં એની સેવાઓનું મૂલ્ય કેટલું ઊંચુ હતું : ‘આજે એક એવો અંગ્રેજ આપણી વચ્ચે નથી રહ્યો જેણે સુદૂર દેશમાં સામ્રાજ્ય–નિર્માણનું વ્રત લીધું હતું. એમણે પોતાનું કર્તવ્ય પાર પાડવા એક સૈનિકની જેમ મૃત્યુને પસંદ કર્યું હતું. મુસલમાન શંકાશીલ લોકો છે. પ્રારંભે થિયોડોર પર જાસૂસ હોવાની શંકાને કારણે મુસલમાનોએ બેકનો વિરોધ કર્યો, પરંતુ પોતાની નિષ્ઠા અને નિ:સ્વાર્થ ભાવને કારણે તરત જ તેઓ એમના વિશ્વાસપાત્ર થવામાં સફળ બન્યા.’ આટલી નાની ઉંમરમાં પણ થિયોડોર બેકે અંગ્રેજ એજન્ડાને કેટલો જબરજસ્ત રીતે અમલમાં મૂક્યો હતો એ આ શ્રદ્ધાંજલના શબ્દો પરથી ખ્યાલ આવે છે.
થિયોડોર બેક પછી અલીગઢ કૉલેજમાં મૌરીસને હોદ્દો સંભાળ્યો. એણે પણ એના પુરોગામીના માર્ગે જ નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કર્યો. 1905માં મૌરીસન પછી આરુચીબાલ્ડ આવ્યો હતો, એણે પણ ‘અલીગઢી એજન્ડા’ માં પોતાનો ‘બહુમૂલ્ય’ ફાળો આપ્યો, જેનો પાયો થિયોડોર બેક મને મૌરીસને સૈયદ અહમદની સાથે સાંઠગાંઠ કરી રચ્યો હતો.
અલીગઢ આંદોલન માટે સર સૈયદ અહમદે વિષબીજ વાવ્યું એનો મૂળ સિદ્ધાંતો એ હતો કે ભારતમાં એક નહિ, પરંતુ બે રાષ્ટ્ર છે અને એની પોતાની એક આગવી સામાજિક, રાજકીય, ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓ છે.
કેટલાક અન્ય સિદ્ધાંતો આ પ્રકારે હતા:
ભારતમાં લોકશાહી સિદ્ધાંત પર આધારિત પ્રતિનિધિત્વના ધોરણે સંસ્થાન બનાવવામાં આવશે અને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ હોદ્દાઓ પર નિયુક્તિ મુસલમાનો માટે નુકસાનકારક બનશે. તેઓ હિન્દુ પ્રભાવ નીચે આવી જશે. જે બ્રિટિશ રાજ કરતાં પણ બદતર હશે. આથી, મુસલમાનોએ અંગ્રેજોના સાર્વભૌમ રાજ્યને જ પોતાનાં હિતોના મુખ્ય રક્ષકો સમજવા જોઇએ અને મુસલમાનોએ સરકાર વિરોધી રાજકીય આંદોલનોથી દૂર રહેવું જોઇએ.
મુસ્લિમ હિત અંગ્રેજોના હાથમાં સલામત હોવાથી, મુસલમાનોએ માત્ર પોતાના ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ પ્રત્યે જ ધ્યાન આપવું જોઇએ અને હિન્દુ રાજકીય આંદોલનકારીઓની દુષ્ટતાનો પ્રતિકાર માટે એક્શન લેવા જરૂર ન હોય ત્યાં સુધી રાજકારણથી બચતા રહેવું જોઇએ.’


ક્રમશ: ©kishormakwana


Spread the love