પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ દ્વારા ઝેર ઓક્યું છે.
શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ (BCCI) ઉપર રમત અને રાજકારણને સાથે મિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2025 માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને લઈને બીસીસીઆઈ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારત પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા માટે મોકલવા તૈયાર નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ટીમ મોકલવાનો ઈનકાર કર્યા બાદ ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ કરવાની ચર્ચા થઈ જેમાં ભારતની બધી જ મેચોનું આયોજન યુએઈ (UAE) માં થાય. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડેલમાં બદલવાની ઈચ્છા ધરાવતુ નથી.
By intertwining politics with sports, the BCCI has placed international cricket in a precarious position. Fully support the PCB's stance against the hybrid model – especially since Pakistan (despite security concerns) has toured India five times, including a bilateral white-ball… pic.twitter.com/Xl4YBhCWuB
— Shahid Afridi (@SAfridiOfficial) November 28, 2024
શાહિદ આફ્રિદીએ ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં ન બદલવાના PCBના નિર્ણયનું સમર્થન કરતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘BCCIએ રાજકારણને રમત સાથે મિક્સ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોખમમાં મૂકી દીધું છે. હું હાઇબ્રિડ મોડલ સામે PCBના વલણને સંપૂર્ણ સમર્થન આપું છું, સુરક્ષાની ચિંતાઓ હોવા છતાં ખાસ કરીને જ્યારે પાકિસ્તાને 26/11 પછી 5 વખત ભારતનો પ્રવાસ કર્યો છે, જેમાં દ્વિપક્ષીય સફેદ-બોલ શ્રેણીનો સમાવેશ થાય છે. ICC અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે નિષ્પક્ષતા જાળવવાનો અને તેમની સત્તાનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.’
આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એટલે કે 29મી નવેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે જેમાં હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. PCB ઈચ્છે છે કે આખી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાય. આ તરફ ભારતે ICCને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે તો બીજી બાજુ પાકિસ્તાનમાં વધતા તણાવને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની A ટીમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે પરિણામે ભારતનો પક્ષ મજબુત બન્યો છે. એવી સંભાવના છે કે આઈસીસી સાથેની બેઠકમાં PCBના વલણમાં કોઈ સુધારો આવશે નહી.