વકફ એમેન્ડમેન્ટ બિલ કાયદો (Waqf Law) બનતાની સાથે જ તેને રદ્દ કરવાની માંગણી વેગ પકડવા લાગી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારો આજે વહેલી સુનાવણી માટે CJI સમક્ષ અપીલ કરી શકે છે.
વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ એક્ટ 2025 (Waqf Law) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તમામ અરજીઓમાં એક જ વાત કહેવામાં આવી છે કે આ વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ એક્ટ 2025 (Waqf Law) મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવાનું ષડયંત્ર છે. અરજીઓમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓની વહેલી સુનાવણીની માંગ કરી છે.

દરમિયાન, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ વતી CJI સંજીવ ખન્નાની બેંચ સમક્ષ આ મામલો મેન્શન કરવામાં આવ્યો છે. CJIએ કહ્યું કે અમે તમારા મેન્શનિંગ પર બપોરે વિચાર કરીશું. એ જોઈશું કે આ મામલે ક્યારે સુનાવણી કરવામાં આવે.
અત્યાર સુધી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ (APCR), જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની, કેરળની ટોચની મુસ્લિમ સંસ્થા સમસ્થ કેરળ જમિયાતુલ ઉલેમા, પ્રતિબંધિત ઈસ્લામિક સંસ્થા પીએફઆઈની (PFI) રાજકીય વિંગ ગણાતી એસડીપીઆઈ (SDPI), તૈયબ ખાન સલમાની, અંજુમ કાદરી અને ઈન્ડિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

વકફ કાયદાને (Waqf Law) કોણે પડકાર્યો?
કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વકફ બિલ (Waqf Bill) વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મોહમ્મદ જાવેદ બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના વ્હીપ છે. આ ઉપરાંત તેઓ વકફ સુધારા બિલની સમીક્ષા કરવા માટે નિમાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય પણ હતા. આ બંને નેતાઓએ બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી આવ્યા પહેલા અરજી દાખલ કરી હતી. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા અને કાયદો બની ગયા બાદ શનિવારે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને APSRએ આ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ત્યારબાદ રવિવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ વક્ફ સંશોધન અધિનિયમ 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. પોતાની અરજીમાં જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું છે કે આ કાયદો દેશના બંધારણ પર સીધો હુમલો છે, જે તેના નાગરિકોને માત્ર સમાન અધિકારો જ નહીં આપે પરંતુ તેમને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા પણ આપે છે.
કોણે શું કહ્યું?
વકફ કાયદા (Waqf Law) અંગે ઓવૈસીએ કહ્યું કે આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. લોકસભામાં ચર્ચા દરમિયાન તેમણે બિલની કોપી પણ ફાડી નાખી હતી. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે આ કાયદાને મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને તેને બંધારણની કલમ 14, 15, 21, 25, 26, 29, 30 અને 300-Aનું ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે.
લોકસભામાં આ બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા, જ્યારે રાજ્યસભામાં આ બિલની તરફેણમાં 132 અને વિરોધમાં 95 વોટ પડ્યા હતા. સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા બાદ આ બિલને શનિવારે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી અને કાયદો બની ગયો.
આ બિલ કાયદો બન્યા બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), આરજેડી (RJD), ડીએમકે (DMK) સહિત અનેક પક્ષોએ આ કાયદાને બંધારણ વિરોધી ગણાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર ક્યારે સુનાવણી થશે?
[…] તરફ દેશમાં વકફ (Waqf Law) કાનૂન મુદે વિરોધ અને ટેકાનું વાતાવરણ છે અને […]