Spread the love

આપણા તહેવારો અને ઉપવાસનું વિજ્ઞાન

હિમાદ્રી આચાર્ય

ચોમાસુ એટલે આપણે ત્યાં મ્હોરવાની, માણવાની અને મ્હાલવાની ૠતુ. ચોમાસુ બેસતા જ અનેક વ્રત–ઉપવાસ. ઋતુ શરૂ થઈ જાય . અલબત્ત, આ સમયમાં જાતભાતની ખાણીપીણીની ઉજાણીઓ સાથે જ મિતાહાર અને ઉપવાસનું પણ આગવુ મહત્વ રહે છે. આ વૈજ્ઞાનિક તથ્યને ધાર્મિક-સામાજિક પરંપરાઓ સાથે જોડીને હિંદુ ધર્મ ઉપરાંત દુનિયાના અનેક ધર્મોમાં મિતાહાર અને ઉપવાસનો મહીમા કરવામાં આવ્યો છે અને કોઈને કોઈ રીતે વ્રત તેમજ વ્રતના અનુસંધાને ઉપવાસ, જે આમ તો વર્ષભરના વિવિધ તહેવારોમાં જોવા મળે છે પણ ખાસ કરીને ચોમાસાના ચાતુર્માસ દરમ્યાનના તહેવારોમાં ઉપવાસનો વિશેષ મહિમા રહ્યો છે. કારણ, ચોમાસામાં શરીરની પાચનશક્તિ મંદ પડે છે અને વાતાવરણજન્ય રોગોનું પ્રમાણ પણ વધુ હોય છે. 

ઉપવાસ શરીરશુદ્ધિ જ નહીં પણ મનની શુદ્ધિ માટે આવશ્યક
ઉપવાસ એટલે સામાન્ય રીતે અન્નનો સંપૂર્ણ અથવા આંશિક ત્યાગ, ફક્ત પાણી પર રહેવું, ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું, અન્નનો ત્યાગ અને ફળફળાદિ પર રહેવું, અથવા એક જ ટંક ખાવું , આ બધા ઉપવાસના વિવિધ પ્રકારો છે.પણ વાત તો એ જ છે કે ખોરાક પચાવી પચાવીને થાકી ગયેલી હોજરીને આરામ મળે તેમજ મગજને ખોરાક પચાવવાના કામથી રાહત મળે તો બીજા કરવા જેવા કામ તરફ બુદ્ધિ ખીલે.
હિંદુઓમાં ઉપવાસ, મુસ્લિમોમાં રોજા તો ઈસાઈઓમાં ફાસ્ટિંગ (જે કન્ફેસન અથવા ક્ષમા પ્રાર્થવા હેતુ) અને યહૂદી તેમજ બૌદ્ધ તેમજ જૈન ધર્મમાં પણ ઉપવાસ અને મિતાહારનું વિશેષ મહત્વ છે, અહીં ઉપવાસને તપ ગણીને સાધનાની સમકક્ષ ગણવામાં આવે છે અને માત્ર શરીરશુદ્ધિ જ નહીં પણ મનની શુદ્ધિ માટે અનિવાર્ય ગણવામાં આવે છે.   

ઉપવાસ, ઉપ એટલે પાસે વાસ એટલે વસવું … એટલે કે ઈશ્વરની નજીક વસવું

ભગવાનની ભક્તિમાં તલ્લીનતા આવે એ માટે આહાર પરત્વે ઓછું ધ્યાન રહે એ જરુરી હોય છે. કારણ, આહાર લીધા પહેલા એમાં જીવ રહેતો હોય છે અને લીધા બાદ એને પચાવવાની ક્રિયામાં મનોશરીરીક અંતરાયો ઉભા થતા હોય છે. ભૂખ્યા ભજન ન થાય, એ સાચું, પણ ભૂખને સંયમિત રાખવી એ વ્યક્તિગત તાલીમનો વિષય છે. ઉપવાસ, ઉપ એટલે પાસે વાસ એટલે વસવું … એટલે કે ઈશ્વરની નજીક વસવું. સ્થૂળ અર્થમાં એમ માનવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પણ ઉપવાસ શબ્દનો અર્થ એમ કહે છે કે ઉપવાસ કરવાથી વ્યક્તિમાં સાત્વિકતાનો સંચાર થાય છે અને વ્યક્તિ સ્વયં ઈશ્વરીય ગુણોથી ભરપૂર બની જાય. ઘરમાં એક દિવસ રસોઈ ન બનાવવાની હોય તો મહિલાઓ હળવાશ અનુભવે, વધારાના કામ, સાફસફાઈ હાથ ધરે, ભુલાઈ જતી મહત્વની બાબતો ધ્યાનમાં આવે અને એકંદરે ઘણી અવ્યવસ્થાઓનું નિરાકરણ આવે. બસ એ જ રીતે શરીરને ખોરાક પચાવવાના કામમાંથી થોડા થોડા સમયે મુક્તિ મલતી રહે તો શરીરના વિવિધ તંત્રોમાં ઉદભવેલી નાની મોટી ક્ષતિઓ રીપેર થાય. ખોરાક પચાવવામાં વપરાતી ઉર્જા બચતાં એ ઉર્જા શરીર શુદ્ધિના કામે લાગે. આપણે સૌ જાણીએ છીએ કે વધુ ખવાઈ જાય એ બાદ શરીરમાં આળસ, કામ પ્રત્યે અનિચ્છા અને ઊંઘ આવે છે, આવા લક્ષણો એ વાતનું ઇન્ડીકેશન આપે છે કે હવે તમારું તંત્ર એ ખોરાક પચાવવાના કામે લાગ્યું છે અને એનો થાક આપણને ઉપરના સ્વરુપે વર્તાય છે. હવે જો શરીરને આ કાર્યમાંથી મુક્તિ મળે તો શારીરિક ફાયદાઓ તો મળે જ, આ ઉપરાંત આહારને ઓછો કરવા કે ત્યાગવામાં એકવાર સંયમ આવી જાય પછી મનની શુદ્ધિ થાય છે અને ગુસ્સો, દુઃખ, રોષ જેવા મનોભાવો આપોઆપ નિયંત્રિત થાય છે. વિશિષ્ઠ પ્રકારની માનસિક હળવાશનો અનુભવ થાય અને વિચારોમાં કોમળતા આવે. વ્યક્તિનો માનસિક-ચૈતસિક ઊર્ધ્વગમન થાય છે. શરીરની ચેતનાનું બ્રહ્માંડિય ઉર્જા સાથેનું સંધાન શક્ય બનતા ચારોતરફ દિવ્યતાનો અનુભવ થાય છે એ અનેકોના મુખેથી સાંભળેલી-અનુભવેલી વાત છે. 

વન મિલ અ ડે (OMAD)ની ખૂબ બોલબાલા વધતી જાય છે

વિદેશોમાં આજકાલ એકબાજુ ભગવદ્દ ગીતા, યોગ તેમજ વન મિલ અ ડે (OMAD)ની ખૂબ બોલબાલા છે. જે આપણે તો પરાપૂર્વથી માનતા આવ્યા છીએ. આધુનિક વિજ્ઞાન દ્વારા પણ એ સાબિત થઈ ચૂક્યું છે કે વૈજ્ઞાનિક ઢબે કરેલા ઉપવાસથી(ઢગલો ફરાળી વેફર/,પેટીસ/,શીરા/બાસુંદી વગેરે ઝાપટીને નહિ) બ્લડ સ્યુગર, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, હોર્મોન્સ ડિસ્ટર્બન્સ, વગેરે પર નિયંત્રણ આવે છે સાથોસાથ મેટાબોલિઝમ સક્ષમ બને છે અને મગજની કાર્યક્ષમતા પ્રખર થાય છે તેમજ અલઝાઇમર અને પાર્કિન્સન્સ જેવા નર્વસસિસ્ટમના રોગોમાં પણ સુધાર જોવા મળે છે .એટલે જ આપણે ત્યાં ઉપવાસ, મિતાહાર અને યૌગિક આહાર, પથ્ય તેમજ અપથ્ય આહાર વિષેની વિશદ સમજ સાથે આ બધાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 

પથ્ય અને અપથ્ય ખોરાક

પથ્ય આહાર એટ્લે એવો સુપાચ્ય,આરોગ્યપ્રદ આહાર કે જેને શરીર ઝડપથી પચાવી શકે ‛હઠપ્રદિપિકા’ અનુસાર, ઘઉં, જૂના ચોખા, જવ, સાથી ચોખા, (ભાતની અન્ય જાતો) ખીર, દૂધ, ઘી, માખણ, મધ, શુષ્ક આદુ અને પાંચ પ્રકારના શાક પરવળ, દૂધી, તુરિયા, કોળું, કાકડી મગની દાળ અને મસૂર દાળ તેમજ વરસાદનું પાણી એટલે કે શુદ્ધ પાણી,આ ઉપરાંત ગવ્યમ એટલે કે ગાયના ઘી દૂધમાંથી બનેલા તેમજ ધાતુને મજબૂત કરે તેવા, વ્યક્તિને રુચિકર છતાં અનુકૂળ હોય તેવા આહારને સુપાચ્ય એટલે કે પથ્ય આહાર ગણવામાં આવ્યા છે. ( જો કે સમયાંતરે વ્યક્તિની જીવનશૈલીમાં પરિવર્તન આવવાની સાથોસાથ આહાર પદ્ધતિમાં પણ પરિવર્તનો જરુરી છે. શ્રમ આધારીત જીવનશૈલીમાં દૂધ, ઘી, પ્રચુર માત્રામાં પ્રોટીન વાળા પદાર્થો કે ભારે ખોરાક અનુકૂળ હોય જે આજના સમયે અપ્રસ્તુત પણ હોય). તો, વાસી તેમજ વારંવાર ગરમ કરેલી રસોઈ, અતિ ખાટું, અતિ તીખું, અતિ ગરમ તાસીરવાળા પદાર્થો તેમજ રસ એટલે કે પ્રવાહીના અભાવવાળા શુષ્ક પદાર્થો, શુષ્ક ખોરાક,દૂષિત બગડેલો ખોરાક, માંસ, મદિરા તેમજ જે ખોરાક વ્યક્તિની તાસીરને અનુકૂળ ન આવતો હોય એ ખોરાક એના માટે અપથ્ય આહાર છે.

કૃષ્ણ કહે છે કે સાત્વિક ભોજન આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ વગેરેની વૃદ્ધિ કરનારું છે.

મીતાહાર એટલે આહારમાં સંયમ, ભૂખ હોય તેના કરતા પોણા ભાગનો આહાર લેવો તે. દરેક યોગાચાર્યો ઉપવાસ કરતા પણ વધુ મિતાહાર પર ભાર મૂકે છે. તેમના ગ્રંથોમાં મીતાહારની ઉપયોગિતાની વિશદ ચર્ચાઓ છે. મહાન નેચરોપેથે કહ્યું છે કે આહારને તમે ઔષધની જેમ લેશો તો તમારે ક્યારેય ઔષધ લેવા નહીં પડે. ‛જે પોષતું તે મારતુ’ તે અન્નની બાબતમાં સો ટકા ખરું પડે છે. વ્યક્તિના કામકાજના પ્રકારના આધારે પૌષ્ટિક, સુપાચ્ય ખોરાક માપમાં લેવામાં આવે તો તે અમૃતનું કામ કરે છે તો જરૂર કરતાં અનેકગણું વધારે ખાઈએ ત્યારે એ જ ખોરાક ઝેરનું કામ કરે છે. પ્રમાણસરનો આહાર સ્ફૂર્તિ, ઉર્જા અને ચેતનનો સંચાર કરે છે જ્યારે એ જ ખોરાક અતિમાત્રામાં લઈએ તો આળસ, પ્રમાદ, નિષ્ક્રિયતા અને અનેક રોગો લાવે છે. એ ન ભૂલવું જોઈએ કે આપણે જીવવા માટે આહાર લઈએ છીએ આહાર લેવા માટે જીવતા નથી. આપણે ત્યાં અન્નને પરબ્રહ્મનું પદ આપી અને તેનો મહિમા કરવામાં આવ્યો છે પરંતુ તેના પ્રમાણભાનને અનુસરવાને સાધના ગણવામાં આવી છે અને એટલે જ તો ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે કે, અલ્પાહાર લેવાવાળી વ્યક્તિ આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ માટે યોગ્ય છે. અહીં કૃષ્ણએ ઉપવાસી શબ્દ પર ભાર ન મુકતા અલ્પાહારી (લધ્વાશી)નો મહિમા કર્યો છે. ત્રણ પ્રકારના ભોજનને વર્ણવતા કૃષ્ણ કહે છે કે સાત્વિક ભોજન આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ વગેરેની વૃદ્ધિ કરનારું છે.

ઉપવાસ, નિયમિત વ્યાયામ અને સંયમિત આહાર એટલે કે મિતાહાર વડે રોગ પ્રતિકારક શક્તિ કેળવીએ

ઉપવાસ અને સંયમિત આહાર દ્વારા શરીરશુદ્ધિ, આત્મશુદ્ધિ અને એ દ્વારા કેળવાતો આત્મવિશ્વાસ, દ્રઢસંકલ્પી માનસ શું શું કરી શકે એનું જવલંત ઉદાહરણ એટલે મહાત્મા ગાંધીજી કે જેના વિશે વધુ કશું જ કહેવાની જરૂર નથી. કોરોના, જેના અનુસંધાને આજે વિશ્વના મહાન ડોકટર્સ ઈમ્યુનિટીપાવર એટલે કે રોગપ્રતિકારક શક્તિની મહતાને સ્વીકારી ચૂક્યા છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાના નગારા વાગી રહ્યા છે ત્યારે તહેવારોની આ ઋતુમાં ઉપવાસ સાથે આરોગ્ય કેળવવા પર ધ્યાન આપીએ એ આ સમયની માંગ છે. અનુકૂળ આવે એટલા પ્રમાણમાં ઉપવાસ, નિયમિત વ્યાયામ અને સંયમિત આહાર એટલે કે મિતાહાર વડે રોગ પ્રતિકારક શક્તિ કેળવીને આપણી જાતને આવનાર જોખમ સામે સુરક્ષિત કરીએ એ આપણી તો ખરા જ સાથોસાથ સમાજની પણ સેવા જ છે. સમયે-સમયે પોતાના સ્વરૂપમાં ફેરફાર કરીને વધુને વધુ સંકટ ઊભુ કરતા કોરોનામાંથી કે હેમખેમ પાર ઉતરવા માટે નિરામય શરીર બચાવી શકે એવી એક શકયતા છે. નિરામય શરીર એટલે હૃષ્ટપુષ્ટ, તગડું પહેલવાની શરીર નહિ પરંતુ, વાયુ, કફ અને પિતને આહારની સુયોગ્ય ટેવો વડે નિયંત્રિત રાખીને તંદુરસ્તી કેળવેલું શરીર. જે યોગ,પ્રાણાયામ, ઉપર કહ્યું તેમ, ઉપવાસ, મિતાહાર તેમજ સારા વાંચન અને સારી સકરાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મેળવી અને કેળવી શકાય.

હિમાદ્રી આચાર્ય


Spread the love