આ વખતે દિવાળીના તહેવારોની સિઝનમાં દેશભરના બજારોમાં ભારે વેચાણે ભારતના અર્થતંત્રને એક નવો આયામ આપ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, તહેવારોની સિઝનના બિઝનેસે સાબિત કર્યું છે કે ભારતમાં ઉજવાતા તહેવારો દેશના વેપાર અને આર્થિક ચક્રને કેવી રીતે ફેરવે છે. આ પરિમાણને “સનાતન અર્થવ્યવસ્થા” નું નામ આપતા CAITએ કહ્યું કે દેશના વેપાર માટે તહેવારોની ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક અંદાજ મુજબ દેશમાં “સનાતન અર્થવ્યવસ્થા”નો આ બિઝનેસ દર વર્ષે 25 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ આંકડો દેશના કુલ રિટેલ બિઝનેસના લગભગ 20 ટકા છે. ભારતમાં તહેવારો, તીર્થયાત્રાઓ વગેરેને કારણે બજારમાં ખૂબ મોટી રકમ ફરતી થાય છે એ સ્પષ્ટ છે. જેને CAIT એ સનાતન અર્થવ્યવસ્થા નામ આપ્યું છે તેનો વાર્ષિક બિઝનેસ વિશ્વના 100 થી વધુ દેશોના જીડીપી કરતા અધિક છે.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય વેપારીઓ સમગ્ર વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો માટે તેમની દુકાનોમાં વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં જોરદાર ધંધો થાય છે. તહેવારો દેશભરમાં રોજગાર અને સ્વ-વ્યવસાય માટેની વિશાળ તકો પણ પ્રદાન કરે છે. ભારતીય ઉત્સવો, તહેવારોની અર્થવ્યવસ્થાએ એવી બાબત છે જેના દ્વારા મધ્યમ અને નીચલા વર્ગનું આર્થિક પાસું મજબૂત બને છે.
નવરાત્રીથી દિવાળી સુધીના કુલ રિટેલ બિઝનેસનો 20 ટકા હિસ્સો સનાતન અર્થવ્યવસ્થાનો
એક અંદાજ મુજબ દેશમાં સનાતન અર્થવ્યવસ્થા નો આ બિઝનેસ દર વર્ષે 25 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે. એટલું જ નહીં દેશના કુલ રિટેલ બિઝનેસના 20 ટકા જેટલો કહી શકાય છે. સનાતન અર્થવ્યવસ્થાને સમજાવતા બંને વ્યાપારી નેતાઓએ કહ્યું કે, નવરાત્રીથી દિવાળી સુધી દેશના મુખ્ય રિટેલ વેપારમાં રૂ. 3.75 લાખ કરોડનું ટર્નઓવર થયું છે. તે જ રીતે, સમગ્ર દેશમાં દુર્ગા પૂજા અને તેની આસપાસના અન્ય તહેવારો દરમિયાન લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. ગણેશ ચતુર્થીની દસ દિવસીય ઉજવણી દરમિયાન 20-25 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ જોવા મળ્યો છે.
કોઈ નવી વ્યવસ્થા નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલતી આવેતી પ્રસ્થાપિત વ્યવસ્થા છે
ખંડેલવાલના જણાવ્યા મુજબ આ આંકડા માત્ર 3 તહેવારોના છે. તેવી જ રીતે, હોળી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી અને રક્ષાબંધન જેવા અન્ય તહેવારો પર બજારોમાં થતી વ્યાપક ખરીદીનો સમાવેશ કરવામાં આવે તો સનાતનના ધંધામાં લાખો કરોડ રૂપિયાનો ઉમેરો થશે. એક અંદાજ મુજબ, દેશભરમાં 10 લાખથી વધુ મંદિરો છે. ત્યાં લોકો દ્વારા દરરોજ ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. જો આપણે આમાં તીર્થસ્થાનોની મુલાકાત લેતા ભક્તો દ્વારા કરવામાં આવતા ખર્ચની મોટી રકમ ઉમેરીએ, તો આ આંકડો આપમેળે સનાતન અર્થતંત્ર ને ભારતની અર્થવ્યવસ્થાના ચાલકબળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી શકાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં તહેવારો, તીર્થયાત્રાઓ વગેરેને કારણે મોટા માત્રામાં નાણા બજારમાં પહોંચે છે. આ રકમ વિશ્વના 100 થી વધુ દેશોની જીડીપી કરતા વધુ છે. ખંડેલવાલે કહ્યું, આ કોઈ નવી વ્યવસ્થા નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી રહી છે. દેશના મંદિરો, તહેવારો અને તીર્થસ્થાનો તેનું કેન્દ્ર બની ગયા છે અને તે ભારતીય અર્થતંત્રનું સૌથી પૌરાણિક ચાલક બળ છે જે કોઈ પણ સંજોગોમાં ક્યારેય અટકતું નથી.
રોજગારીના અવસરોના સર્જક ઉત્સવો, તહેવારો
“સનાતન અર્થવ્યવસ્થા” માં રોજગારની વાત કરીએ તો એકલા પશ્ચિમ બંગાળમાં જ દુર્ગા પૂજા દરમિયાન 3 લાખથી વધુ કારીગરો અને મજૂરોને રોજગાર મળ્યો છે એવી જ રીતે ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા, હોળી, સંક્રાંતિ વગેરે તહેવારોને કારણે કરોડો લોકોને રોજગારી મળે છે અને લાખો લોકો પોતાનો નાનો-મોટો વ્યવસાય પણ કરતા હોય છે અને આવક ઊભી કરતાં હોય છે. ખાસ વાત એ છે કે માત્ર દુકાનોનો ધંધો જ નહીં, પરંતુ દેશના ખૂબ જ નાના વર્ગ, સ્થાનિક કારીગરો, કલાકારો અને ઘરકામ કરનારાઓને પણ મોટો બિઝનેસ મળે છે, લાખો લોકો એવા છે જેમની આજીવિકા તહેવારો પર નિર્ભર છે.
બંને બિઝનેસ લીડર્સે કહ્યું કે, મોટા આંકડાઓને બદલે ધનતેરસના એક દિવસના બિઝનેસ પર નજર કરીએ તો ભારતીય મધ્યમ વર્ગે એક દિવસમાં 25,500 કરોડ રૂપિયાનું 41 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું. ચાંદીનું વેચાણ રૂ.3000 કરોડે પહોંચ્યું હતું. કાર ઉત્પાદકોએ 55,000 કારની ડિલિવરી કરી. 5 લાખથી વધુ સ્કૂટરની ડિલિવરી કરવામાં આવી હતી. ભરતિયા અને ખંડેલવાલે કહ્યું, આ ‘સનાતન ઈકોનોમિક્સ’ છે, જે દેશના વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગણિત સમજવા માટે અર્થશાસ્ત્રી હોવું જરૂરી નથી, પરંતુ તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
[…] આવ્યા હતા. આ આંકડો ઘણા નાના દેશોના GDP કરતા પણ વધુ […]