Spread the love

– ગૌરક્ષા હિંદુઓનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવે

– ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ

– જીવવાનો અધિકાર મારવાના અધિકારથી ઉપર છે

જ્યારે સંસ્કૃતિ અને શ્રદ્ધા ઘવાય છે ત્યારે દેશ નબળો પડે છે

અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે ગૌહત્યાના આરોપી એક વ્યક્તિના જામીન નામંજૂર કર્યા. યુપીના સામ્ભલ જીલ્લાના જાવેદને જામીન આપવાનો ઇનકાર કરતા જસ્ટિસ શેખર કુમાર યાદવે તેના 12 પાનાના ચુકાદામાં નોંધ્યું હતુ કે, આરોપીએ ગાયની ચોરી કર્યા બાદ તેની હત્યા કરી, તેનું શિરચ્છેદ કર્યું અને તેનું માંસ પણ રાખ્યું.પોતાના અવલોકન કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને તેના રક્ષણને હિન્દુઓનો મૂળભૂત અધિકાર બનાવવો જોઈએ કારણ કે જ્યારે દેશની સંસ્કૃતિ અને તેની શ્રદ્ધાને ઠેસ પહોંચે છે ત્યારે દેશ નબળો થઈ જાય છે.

ગૌહત્યાના આરોપીના જામીન ફગાવ્યા

ગૌહત્યાના આરોપી જાવેદના જામીન ફગાવતા ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે નોંધ્યું કે, તેણે ગાયની ચોરી કરી, તેની હત્યા કરી તેનો શિરચ્છેદ કર્યો એટલું જ નહીં તેનું માંસ પણ રાખી મુક્યું. આ તેનો પ્રથમ ગુનો નથી આ પહેલા પણ તેણે ગૌહત્યા કરી હતી જેનાથી સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચી હતી. કોર્ટે આગળ જણાવ્યું કે, એવું લાગે છે કે જો તેને જામીન આપીને છોડવામાં આવશે તો તે ફરીથી આ જ ગુનો આચરશે અને સમાજનું વાતાવરણ કલુષિત થશે.

જીવવાનો અધિકાર મારવાના અધિકારથી ઉપર છે

જામીન અરજી નામંજૂર કરતાં કોર્ટે આગળ કહ્યું કે, મૂળભૂત અધિકાર એ ગૌમાંસ ખાનારાઓનો વિશેષાધિકાર નથી. તેના બદલે જેઓ ગાયની પૂજા કરે છે અને આર્થિક રીતે તેના ઉપર નિર્ભર છે તેઓને પણ હેતુપૂર્ણ જીવવાનો અધિકાર છે. જીવવાનો અધિકાર એ મારવાના અધિકાર કરતાં ઉપર છે અને ગૌમાંસ ખાવું એ ક્યારેય મુળભૂત અધિકાર તરીકે માની શકાય નહીં.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ

કોર્ટે જણાવ્યું હતું કે, સરકારે સંસદમાં બિલ લાવવું જોઈએ અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ તથા જે તેને નુકશાન પહોચાડવાની વાતો કરનારની વિરૂદ્ધ કડક કાયદાઓ બનાવવા જોઈએ. જેઓ ગૌશાળા બનાવી ગૌરક્ષા કરે છે તેમના માટે પણ કાયદા આવવા જોઈએ, પરંતુ ગૌરક્ષા જેમને સાથે કોઈ લેવાદેવા નથી તથા તેમનો એકમાત્ર ઉદ્દેશ ગાય રક્ષણના નામે પૈસા કમાવવાનો છે તેવા લોકો માટે કશું કરવું જોઈએ નહીં. ‘ગૌરક્ષા અને ગૌસંવર્ધન એ કોઈ ધર્મ નથી પરંતુ ગાય એ ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને બચાવવાનું કાર્ય દરેક નાગરિકનું છે પછી ભલે તે ગમે તે ધર્મ કે પૂજા પદ્ધતિ ધરાવતા હોય.’

ભારતમાં વિવિધ ધર્મના લોકો પરંતુ દેશ માટે વિચારસરણી સમાન

“ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં વિવિધ ધર્મોના લોકો રહે છે, જેઓ જુદી જુદી રીતે પૂજા કરે છે, પરંતુ તેમની વિચારસરણી દેશ માટે સમાન છે અને તેઓ એકબીજાના ધર્મોનું સન્માન કરે છે. તેઓ એકબીજાના રિવાજો અને ખાવાની આદતોનું સન્માન કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે દરેક વ્યક્તિ ભારતને એક કરવા અને તેના વિશ્વાસને મજબૂત કરવા માટે એક પગલું આગળ વધે છે, ત્યારે દેશના હિતમાં વિશ્વાસ ન હોય તેવા કેટલાક લોકો તેને નબળા કરવા માટે આવા કૃત્યો કરે છે.”ગાય સાથે જોડાયેલા મહત્વ પર ભાર મૂકતા કોર્ટે કહ્યું, “એવું નથી કે માત્ર હિન્દુઓ જ ગાયનું મહત્વ સમજ્યા છે, મુસ્લિમ શાસકોએ પણ તેમના શાસન દરમિયાન ગાયને ભારતની સંસ્કૃતિનો મહત્વનો ભાગ માન્યો છે. બાબર, હુમાયુ અને અકબરે તેમના ધાર્મિક તહેવારોમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. મૈસુરના શાસક હૈદર અલીએ ગૌહત્યાને કોગ્નિઝેબલ ગુનો બનાવી દીધો હતો. યુપી સરકારે 1953 માં ગૌ સંરક્ષણ સમિતિ બનાવી ત્યારે તેના ત્રણ સભ્યો મુસ્લિમ હતા અને તે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે પ્રતિબદ્ધ હતા. “આપણા દેશમાં સેંકડો ઉદાહરણો છે કે જ્યારે પણ આપણે આપણી સંસ્કૃતિને ભૂલ્યા ત્યારે વિદેશીઓએ આપણી ઉપર આક્રમણ કર્યા અને આપણને ગુલામ બનાવ્યા. આજે પણ જો આપણે નહીં જાગીએ તો આપણે તાનાશાહ તાલિબાની આક્રમણ અને અફઘાનિસ્તાન ઉપર તેમણે જમાવેલા કબજાને ભૂલવો ન જોઈએ.”


Spread the love