રાષ્ટ્રીય અનુસુચિત જાતિ માટેના આયોગે અમદાવાદ સ્થિત માનવાધિકાર કાર્યકર્તા દ્વારા મહિસાગર કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ તેણીના કથિત દલિત વિરોધી અને કથિત આદિજાતિ વિરોધી ટિપ્પણીઓ અંગે નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વિકાસ સહાયની કચેરીને નોટિસ પાઠવી છે.
આ ફરિયાદ સ્વૈચ્છિક સંસ્થા જ્ઞાતિ નિર્મૂલન સમિતિના ગુજરાત રાજ્ય કન્વીનર સંજય પરમારે નોંધાવી છે. રાષ્ટ્રીય અનુસુચિત આયોગે નોટિસ મળ્યાના 15 દિવસની અંદર આ મામલે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.
પોતાની ફરિયાદમાં સંજય પરમારે એક કથિત વિડિયોનો ઉલ્લેખ કર્યો છે જે 23 ઓક્ટોબરે મહિસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો.
જ્ઞાતિ નિર્મૂલન સમિતિ નામની સ્વૈચ્છિક સંસ્થાના રાજ્ય કન્વિનર સંજય પરમારે આક્ષેપ કર્યો હતો કે કથિત વિડિયોમા પોતાની રજૂઆત કરી રહેલા અનુસૂચિત જાતિ સમુદાયના એક વ્યક્તિનું મહિસાગર કલેક્ટર અપમાન કરતા અને સામાન્ય રીતે એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખવામાં આવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા 90% કેસો ‘બ્લેકમેઇલિંગ’ માટે દાખલ કરવામાં આવે છે એવો દાવો પણ કરતા જોવા મળે છે.
પોતાની ફરિયાદમાં સંજય પરમારે અખિલ ભારતીય સેવાઓ (આચાર) નિયમો, 1968ના ભંગ બદલ મહિસાગર કલેક્ટરને સેવામાંથી બરતરફ કરવા અને એટ્રોસિટી એક્ટ હેઠળ કથિત વિડિયોમાં તેમની કથિત ટિપ્પણી બદલ તેમની સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી છે.
પરમારે જણાવ્યું હતું કે તેમની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પંચે 25 નવેમ્બરે ગુજરાત પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી તેમની પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો.
આયોગના ગુજરાત રાજ્ય કાર્યાલયની નોટિસ કહે છે કે“…આ સાથ સંલગ્ન ફરિયાદ/માહિતી સંજય કુમાર આત્મારામ પરમાર તરફથી અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગને પ્રાપ્ત થઈ છે અને આયોગે ભારતના બંધારણની કલમ 338 હેઠળ તેને આપવામાં આવેલી સત્તાઓના અનુસંધાનમાં આ બાબતની તપાસ/પૂછપરછ કરવાનો નિર્ણય લીધો છે. “
આ સાથે પંચે નોટિસ મળ્યાના 15 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.
અગાઉ કથિત વિડિયોને હથિયાર બનાવીને કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઑક્ટોબરમાં કલેક્ટર નેહા કુમારીની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી રહ્યા છે તથા વિવિધ સત્તાવાળાઓને પત્ર લખી રહ્યા છે. નેહા કુમારીની કથિત ‘દલિત-વિરોધી’ અને ‘આદિવાસી વિરોધી’ ટિપ્પણીઓ બદલ મહિસાગર કલેક્ટર સામે પગલાં લેવાની માગણી કૉંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહીસાગર કલેક્ટરે પોતાના પરના આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ ગણાવ્યા છે.