કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા કહ્યું કે જો કોઈએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કંઈ કહ્યું હોય તો વડાપ્રધાને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘આ લોકો બંધારણમાં માનતા નથી.’ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદીનું મૌન એ સંકેત છે કે તેઓ અમિત શાહના નિવેદન સાથે સહમત છે. તેમણે કહ્યું કે, “જો વડાપ્રધાન મોદીને બાબાસાહેબ આંબેડકર માટે આદર હોય તો તેમણે આજે જ અમિત શાહને કેબિનેટમાંથી બરતરફ કરવા જોઈએ.”
કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અમિત શાહને કહેવું જોઈતું હતું કે તેમનું નિવેદન ખોટું છે, પરંતુ તેના બદલે પીએમ મોદી તેમના નિવેદનનો બચાવ કરી રહ્યા છે. ખડગેએ ભાજપ પર હંમેશા દલિતો અને તેમના નાયકોનું અપમાન કરવાનો અને બંધારણની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે કોંગ્રેસે આંબેડકરનું નામ લેવાનું ફેશનેબલ બનાવી દીધું છે. તેણે કહ્યું હતું કે, “જો તેમણે આંબેડકરને બદલે આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો તેને સાત જન્મો સુધી સ્વર્ગ મળત.” કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન ન આપીને અને ચૂંટણીમાં બે વાર હરાવીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. રિજિજુએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટીએ તેમને આટલા વર્ષો સુધી ભારત રત્ન નહોતો આપ્યો. કોંગ્રેસ પાર્ટીએ એક ષડયંત્રના ભાગરૂપે બાબા સાહેબનું અપમાન કર્યું અને 1952ની ચૂંટણીમાં તેમને હરાવ્યા. ત્યાર બાદ કોંગ્રેસે વિદર્ભમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આંબેડકરને હરાવ્યા. જો કોંગ્રેસે તેમને હરાવ્યા ન હોત તો 1952 પછી પણ બાબા સાહેબ આ સંસદનો ભાગ હોત.” રિજિજુએ વધુમાં કહ્યું કે વિપક્ષ ગૃહ પ્રધાનની ટિપ્પણીઓને વિકૃત રીતે રજૂ કરી રહ્યો છે.