Spread the love

  • મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત
  • પાંચેય રાજ્યોના ચુંટણી પરિણામો 7 મી ડિસેમ્બરે
  • પાંચમાંથી ત્રણ રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા વધુ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી સમયમાં આવી રહેલી પાંચ રાજ્યોની મધ્યપ્રદેશ, છત્તીસગઢ,રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી હતી. મુખ્ય ચુંટણી કમિશ્નરે કરેલી જાહેરાત મુજબ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે જયારે મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને પાંચેય રાજ્યોની ચુંટણીના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. 17 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે અને 23 ઓક્ટોબરે સુધી યાદીમાં સુધારા કરી શકાશે. 31 ઓક્ટોબર સુધી રાજકીય પક્ષોએ મળેલા ડોનેશનની વિગતો આપવી પડશે.

કેટલા મતદારો મતદાન કરશે ?

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતુ કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ ચુંટણીમાં 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. રાજયવાર મતદારોની સંખ્યા જોઈએ તો તે આ મુજબ છે, મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગાણામાં 3.17 કરોડ, છત્તીસગઢમાં 2.03 કરોડ અને મિઝોરમ 8.52 લાખ મતદારો છે તેમ ચુંટણી પંચે જણાવ્યું હતુ. ચૂંટણી પંચે તમામ મતદારોને મતદાર યાદીમાં પોતાના નામ ચેક કરવા અને કોઈ ક્ષતી હોય તો તે વિગતો સુધારી લેવા અપીલ કરી હતી. ચુંટણી પંચે જણાવ્યું હતુ કે 17 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે અને 23 તારીખ સુધી યાદીમાં સુધારા કરી શકાશે. ઉલ્લેખનીય છે કે પાંચમાંથી ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.

કયા રાજ્યમાં કેટલી બેઠકો ?

મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. જે રાજ્યોમાં ચુંટણી યોજવાની છે તે 5 રાજ્યોમાં કુલ 679 વિધાનસભા બેઠકો છે. પાંચેય રાજ્યો મુજબ જોઈએ તો છત્તીસગઢમાં 90 બેઠકો, મિઝોરમમાં 40 સીટો, મધ્યપ્રદેશમાં 230 બેઠકો, રાજસ્થાનમાં 200 બેઠકો અને તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે.

પાંચેય રાજ્યોની વર્તમાન રાજકીય સ્થિતિ

છત્તીસગઢની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છત્તીસગઢ નવેમ્બર 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી સાથે કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં પરત ફરી હતી અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી.

મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 114 અને ભાજપે109 બેઠકો હતી. બસપાએ બે અને સપાએ એક સીટ જીતી હતી. કોંગ્રેસે ગઠબંધન કરીને બહુમતી સાબિત કરી હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ માર્ચ 2020 માં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ જતા રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ભાજપે શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી પદ હેઠળ સરકાર બનાવી હતી.

તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ પુરો થઈ રહ્યો છે. તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિને સૌથી વધુ 88 બેઠકો, કોંગ્રેસને 19 બેઠકો જ્યારે ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. તેલંગાણા રાષ્ટ્ર સમિતિત જેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે તેના ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.

મિઝોરમ રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી અને મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ પુરો થઈ રહ્યો છે અને મિઝોરમમાં કુલ 40 સીટો પર ચૂંટણી યોજાવાની છે. નવેમ્બર 2018માં યોજાયેલી ચુંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો સાથે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી અને જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા હતા.

રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે આ વખતે રાજ્યની 200 બેઠકો પર ચુંટણી યોજાશે. રાજસ્થાનની રાજકીય તાસીર એવી છે કે 25 વર્ષથી દર વખતે સત્તાધારી પાર્ટી બદલાઈ જાય છે. 2018માં 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા હતા.


Spread the love