નાયક જદુનાથસિંહ
1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહજી ભારતીય સેનાની રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલિયન, ફતેહગઢ શાખામાં નાયકનું પદ શોભાવતા હતા.
જન્મ અને બાળપણ
જદુનાથસિંહનો જન્મ 21મી નવેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના ખજુરીમાં થયો હતો.
ભાગલાની વેદનાભરી સ્થિતિ
1947 હજુ તો ટુકડાં થવાની વેદના સમગ્ર રાષ્ટ્ર સહન કરી રહ્યું હતુ. ભારત અને પાકિસ્તાનમાંથી નાગરિકો પોતપોતાને ગમતાં રાષ્ટ્ર ભણી ભાગી રહ્યા હતા. શરણાર્થીઓનું સ્થાપન કરવામાં સરકાર લાગેલી હતી ત્યાં સમગ્ર ભુખંડમાં હત્યાઓનો કાળોકેર વરસી રહ્યો હતો.

દેશી રજવાડાઓ, સરદાર અને જમ્મુ કાશ્મીર
સ્વતંત્રતા સમયના મોટાભાગના સ્વતંત્ર રજવાડાંઓ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નો થકી ભારતીય સંઘમાં ભળી ચુક્યા હતાં ત્યારે ભારતના ટુકડા કરવાં માટેના ખલનાયક જમ્મુ કાશ્મીર ઉપર પોતાનો હક બતાવી રહ્યા હતા. આવી કટોકટીભરી સ્થિતિમાં પણ જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહજી ક્યાં જવું એ બાબતે અવઢવમાં હતાં.
પાકિસ્તાનનો પ્રપંચી હુમલો
જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહની અવઢવનો ફાયદો ઉઠાવીને ભારત દ્વેષની જમીન ઉપર ઊભા થયેલા પાકિસ્તાને કબાઈલીઓનાં વેશમાં જમ્મુ કાશ્મીર પડાવી લેવાનાં બદઈરાદાથી જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કરી દીધો.
નૌશેરા બન્યું યુદ્ધનું મેદાન
1947, 24 ડિસેમ્બરના શિયાળાની એ કડકડતી ઠંડીમાં હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો એ નૌશેરાના ઝાંગડ ઉપર કબજો જમાવી દીધો, ઝાંગડ ઉપર કબજો કર્યા પછી હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો નૌશેરા ઉપર હુમલો કરવાના નાપાક મનસુબા પાળી રહ્યાં હતાં.
નૌશેરા ચાવીરૂપ વિસ્તાર
ભારતીય સેનાને નૌશેરા સેક્ટરનું મહત્વ બરાબર ખબર હતી અને હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના નાપાક ઈરાદાઓથી ભારતીય સેના સંપૂર્ણ વાકેફ પણ હતી.
ભારતીય સેનાનો જવાબી પ્રહાર
ભારતીય સેનાએ તાત્કાલિક જવાબરૂપ પગલાં લેતાં કોટ ગામ પરત મેળવીને તેની ઉપર કબજો જમાવી લીધો.
વ્યુહાત્મક તીનધાર ચોકી
બ્રિગેડિયર ઉસ્માનના નેતૃત્વ હેઠળ નૌશેરા ની ફરતે ચોકી ગોઠવી દેવામાં આવી. આમાંની એક ચોકી નૌશેરાની ઉત્તરમાં આવેલી તીનધાર હતી.
તીનધાર ચોકી ઉપર હુમલો
દિવસ હતો 6 ફેબ્રુઆરી 1948 નો, જમ્મુ કાશ્મીરનું નૌશેરા ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું હતું ત્યારે વહેલી સવારે હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોએ હુમલો કર્યો. શરૂઆતમાં ભારતીય સેના ઉપર દુશ્મનોની ચોકીઓમાંથી અંધાધૂંધ ગોળીબારથી થઈ, બાદમાં મશીનગન અને મોર્ટારમારો તીનધારની ચોકી ઉપર થયો.
અસલ નાયક જદુનાથસિંહ
અંધારાનો લાભ લઈને દુશ્મનો છેક ભારતીય સેનાની ચોકીની લગોલગ પહોંચી ગયા હતા. સવાર પડતાં જ ભારતીય સેનાના જવાનોએ સામે હજારો દુશ્મનો જોયાં. પરંતુ આ દુશ્મનોને એ બાબત ક્યાં ખબર હતી કે તીનધાર ખાતે ચોકી નંબર “2” ખાતે નાયક જદુનાથસિંહના નેતૃત્વમાં 9 ભારતીય સેનાના શકરાબાજ જેવા ચપળ, તિક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતા સિંહ જેવા બહાદુર સૈનિકો દુશ્મનોનો શિકાર કરવા તૈનાત હતા.
દુશ્મનોનો અંધાધૂંધ ગોળીબાર
હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોએ આ તીનધાર ચોકી ક્રમાંક 2 ઉપર કબજો જમાવવાના નાપાક ઈરાદાઓથી ગોળીઓનો વરસાદ વરસાવી દીધો.
અનેક દુશ્મનો સામે એકે હજારા 9 ભારતીય જાંબાઝ
એક તરફ દુશ્મનો અનેક અને બીજી તરફ માત્ર 9 સૈનિકો સાથે નાયક જદુનાથસિંહ. પરંતુ આ 9 સૈનિકો એકે હજારા જેવા હતા.
જદુનાથસિંહનુ અદ્વિતીય સાહસ અને નેતૃત્વ
આ વિકટ પરિસ્થિતિમાં જદુનાથસિંહે અતુલ્ય બહાદુરી અને અનોખાં નેતૃત્વનો પરિચય કરાવ્યો. તેમણે પોતાની નાનકડી ટુકડીનો એટલો ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો કે દુશ્મનો હક્કાબક્કા રહી ગયા અને પીછેહઠ કરવાની ફરજ પડી.
ભારતીય સૈનિકો થયા ઈજાગ્રસ્ત
આ અતુલનીય યુદ્ધમાં 9 માંથી 4 સૈનિકો ઈજાગ્રસ્ત થઈ ગયા, હવે ? પરંતુ નિરાશ થાય તો નાયક જદુનાથસિંહ ના કહેવાય. ઈજાગ્રસ્ત સૈનિકોની ફરીથી ગોઠવણ કરી અને ફરીથી હુમલો કરવા તૈયાર કર્યાં.
સંખ્યા ઓછી છતાં અણનમ
દુશ્મનો કરતાં નાયક જદુનાથસિંહની ટુકડીના સૈનિકોની સંખ્યા ખુબજ ઓછી હોવા છતાં ચોકી અડગ, અજેય રહી.
દુશ્મનોનો ઘાતક ગોળીબાર
નાનકડી ટુકડી સામે અનેક દુશ્મનો તરફથી અંધાધૂંધ ગોળીબાર ચાલુ હતો નાયક જદુનાથસિંહ અને તેમની આખી ટુકડીના બધા જ સૈનિકો ઈજાગ્રસ્ત થઈ ચુક્યા હતાં.
નિર્ણાયક ઘડી
ઘડી ખરેખર નિર્ણાયક હતી, જરાક જેટલી ચુક હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોનો રસ્તો સરળ કરી આપશે એવી આશંકા હતી.
નાયક જદુનાથસિંહ પોતે ઈજાગ્રસ્ત થયા હતા ટુકડીના બધા સૈનિકો પણ ઈજાગ્રસ્ત હતા. ત્યારે નાયક જદુનાથસિંહ એ ત્વરિત નિર્ણય શક્તિ, બહાદુરી, અને અતુલ્ય નેતૃત્વનો પરિચય કરાવ્યો.
જદુનાથસિંહ તુટી પડ્યા દુશ્મનો ઉપર
જરાક પ્રતિક્રિયા બંધ થાય કે પ્રતિકાર નબળો દેખાય તો દુશ્મનોને ફાવતું મળી જાય. ત્યારે જદુનાથસિંહે પોતાનાં ઈજાગ્રસ્ત સૈનિક પાસેથી બ્રેન ગન લઈને દુશ્મનો ઉપર ચોતરફથી ગોળીબાર શરૂ કરી દીધો. દુશ્મનો ઉપર જાણે ગોળીઓ નો વરસાદ વરસ્યો અને નિશ્ચિત જણાતી હાર જીતમાં બદલાઈ ગઈ. તીનધાર ચોકી ફરીથી બચી જવા પામી.
ટુકડીના સૈનિકોની વીરગતિ
અત્યાર સુધી નાયક જદુનાથસિંહ ની ટુકડીના પ્રત્યેક સૈનિક માભોમની રક્ષા કાજે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપી ચુક્યા હતાં.
દુશ્મનોનો અંતિમ હુમલો
હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો તીનધાર ચોકી કબ્જે કરવાનાં મલિન ઈરાદાથી ત્રીજો અને આખરી હુમલો કર્યો. હવે ચોકીની રક્ષા માટે ઈજાગ્રસ્ત નાયક જદુનાથસિંહ એકલાં જ હતાં. હવે યુદ્ધ ખરાખરીના તબક્કામાં પહોચી ગયું હતું.
ઈજાગ્રસ્ત જદુનાથસિંહનુ પરાક્રમ
નાયક જદુનાથસિંહ ઈજાગ્રસ્ત હાલતમાં હોવાં છતાં ખાઈમાંથી બ્રેન ગન લઈને આવી ગયા અને હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો ઉપર સાક્ષાત મહાકાળ બનીને ગોળીબાર કરવા લાગ્યા. નાયક જદુનાથસિંહના નરસિંહ સમાન સ્વરૂપ જોઈને દુશ્મનોમાં ગભરાટ વ્યાપી ગયો, વીરતાની સાક્ષાત મુર્તિને જોઈને પાકિસ્તાનીઓ સુકા પાંદડા જેમ ફફડવા માંડ્યા અને એમનામાં જબરદસ્ત અવ્યવસ્થા સર્જાઈ.
વીરતાના ઘાયલ પ્રતિક સમાન જદુનાથસિંહ
નાયક જદુનાથસિંહને બે ગોળી છાતીમાં અને માથામાં વાગી હતી છતાં જ્યાં સુધી હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો પીછેહઠ ન કરી ગયાં ત્યાં સુધી જીવનને ટકાવી રાખ્યું. આખરે નાયક જદુનાથસિંહ માભોમની રક્ષા કરતાં કરતાં પોતાનું જીવન ભારત માતાને ચરણે બલિદાન કરી દીધું માતાના ખોળામાં સદાને માટે પોઢી ગયા.
તીનધાર ચોકી અણનમ રાખી
નૌશેરાના યુદ્ધના કટોકટી ભરેલાં સમયે નાયક જદુનાથસિંહે પોતાની તીનધાર ચોકી અણનમ રાખી.

પરમવીર ચક્રથી સન્માનિત

આ બહાદુરી માટે નાયક જદુનાથસિંહ ને મરણોપરાંત પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
તેમનાં જન્મસ્થળ શાહજહાંપુરમાં રમતના એક સ્ટેડિયમને તેમનું નામ અપાયું.