– કોણાર્કના સૂર્યમંદિર જેવી ડિઝાઈન રાખવા વિચાર
– સૂર્યના કિરણો શ્રીરામ મંદિરના ગર્ભગૃહને પ્રકાશિત કરશે
– વૈજ્ઞાનિકો, ખગોળ શાસ્ત્રીઓ અને ટેકનોલોજીના જાણકારો સાથે ચર્ચા ચાલુ
શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ગર્ભગૃહ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ સંસ્થાના સદસ્ય શ્રી કામેશ્વર ચૌપાલે કહ્યુ હતુ કે, ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રત્યેક રામનવમી પર મંદિરનું ગર્ભગૃહ સૂર્યના કિરણોથી પ્રકાશિત રહે તે પ્રકારની ડિઝાઈન રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રીરામ મંદિરના ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના વિશ્વ પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર જેવી રાખવાની વિચારણા ચાલી રહી છે. શ્રી કામેશ્વર ચૌપાલે કહ્યુ કે કોણાર્કનુ વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આ ટેકનીકનુ અદભૂત ઉદાહરણ છે જ્યાં મંદિરની અંદર સૂર્યના સીધા કિરણો પહોંચીને મંદિરમાં અજવાળું પાથરે છે.મંદિર નિર્માણ સાથે જોડાયેલા ટેકનોલોજીકલ પાસા અંગે વિચારણા કરવા માટેની સમિતિમાં આઈઆઈટીના અધ્યાપકોને પણ સમાવવામાં આવ્યા છે. વિચારણા સફળ થાય તો સૂર્યના કિરણ સીધા ગર્ભગૃહમાં રામલલાને અને આખા ગર્ભગૃહને પ્રકાશમાન કરે એવી રીતે તૈયાર કરવામાં આવશે. આ વિષે ખગોળ શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા આ પૌરાણિક ટેકનોલોજીના જાણકારો સાથે પણ ચર્ચા ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે
ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કહેવાય છે કે 15મી નવેમ્બરથી શ્રીરામ મંદિરના પિલર ઉભા કરવાનુ કાર્ય શરુ કરવામાં આવશે અને 2022 એપ્રિલ મહિનાથી સ્તંભોની ઉપરનુ બાંધકામ પણ શરુ કરી દેવામાં આવશે. વર્તમાન ઝડપ તથા આયોજન જોતા વર્ષ 2023 સુધીમાં ભગવાન શ્રીરામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ પુરુ થઈ જશે અને લોકો રામલલ્લા ના દર્શન પણ કરી શકશે. ત્યારબાદ બીજા ભાગનું નિર્માણ કાર્ય ચાલુ હશે.
શ્રીરામ મંદિર બે માળનું નહીં ત્રણ માળનું હશે
શ્રીરામ મંદિરના નકશામાં ફેરફાર કરવામાં આવ્યા છે તે મુજબ શ્રીરામ મંદિર બે માળનું નહીં પરંતુ ત્રણ માળનું બનાવવામાં આવશે. શ્રીરામ મંદિરમાં આર્કાઈવ્ઝ, લાયબ્રેરી, યોગ કેન્દ્ર, ગૌશાળા, ટુરિસ્ટ સેન્ટર બનાવવામાં આવશે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનારા ભવ્ય શ્રીરામ મંદિરની પ્લિન્થ 400 ફૂટ લાંબી તથા 300 ફૂટ પહોળી હશે. શ્રીરામ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ ગણાય છે તેનો વિચાર કરીને મંદિરના નિર્માણમાં ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.