BSF
Spread the love

‘ભારત હવે અમારા તેવર જોશે. જ્યારે 17 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં બેઠક યોજાશે ત્યારે અમે બાંગ્લાદેશના હિતોને લગતા મુદ્દાઓને પડોશી દેશ સમક્ષ પૂરી તાકાત સાથે રજૂ કરીશું. સરહદ પારની દાણચોરી હોય કે સરહદ પર BSF જવાનોની ગોળીઓથી આપણા નાગરિકોની હત્યા… અમે ભારતને કડક સ્વરમાં કહીશું કે આ હવે સહન કરવામાં આવશે નહીં.’ બાંગ્લાદેશના ગૃહ સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ આ નિવેદન આપ્યું છે.

બંને દેશો વચ્ચે આ 55મી ડાયરેક્ટર જનરલ કક્ષાની કોન્ફરન્સ

ભારત સાથે જોડાયેલી સરહદને લઈને બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એક કોન્ફરન્સ થવા જઈ રહી છે, જેમાં બાંગ્લાદેશ આ મુદ્દાઓને ઉઠાવશે. બંને દેશો વચ્ચે આ 55મી ડાયરેક્ટર જનરલ કક્ષાની કોન્ફરન્સ છે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સામેલ હશે. યુનુસ સરકારમાં ગૃહ મામલાના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું છે કે બાંગ્લાદેશ BGB અને BSFની કોન્ફરન્સમાં કડક વલણ અપનાવશે અને જેનાથી તેને સમસ્યા છે તે તમામ મુદ્દાઓ ભારત સમક્ષ મૂકશે.

બાંગ્લાદેશના નાગરિકોની હત્યાનો આરોપ લગાવ્યો

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ ચાર દિવસીય કોન્ફરન્સ નવી દિલ્હીમાં 17 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ વખતે ભારત સાથે અમારી વાતચીતનો સૂર અલગ હશે. તેમણે સરહદ પર BSFના ગોળીબારમાં નિઃશસ્ત્ર બાંગ્લાદેશના નાગરિકોની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સરહદ પર ગોળીબાર રોકવા અંગે ચર્ચા કરશે અને આ માટે અસરકારક પગલાં ભરવા ભારત સમક્ષ ગોળીબારમાં હત્યાનો મુદ્દો પણ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સામેલ હશે

જહાંગીર આલમ ચૌધરીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ક્રોસ બોર્ડર ડ્રગ્સની હેરાફેરી મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘તેઓ ફેન્સિડિલ (Phensedyl) નું ઉત્પાદન કરી રહ્યાં છે અને તેની દાણચોરી બાંગ્લાદેશમાં કરી રહ્યાં છે. તેઓ દાવો કરે છે કે તે દવા તરીકે બનાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે ડ્રગ્સ છે. આના પર ધ્યાન આપવા અને તેને રોકવા માટે યોગ્ય પગલાં લેવા ભારત સાથે વાત કરશે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઝીરો લાઇનની નજીક 150 યાર્ડ જમીન પર કાંટાળા તારની વાડ બનાવવાના ભારતના પગલા અંગે પણ ચર્ચા કરશે કારણ કે સરહદ પર કોઈપણ પ્રકારના વિકાસ માટે બંને દેશો વચ્ચે સહમતિ હોવી જરૂરી છે.

જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે સરહદ પર 92 જગ્યાએ ફેન્સીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે બાંગ્લાદેશના વાંધા બાદ આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સરહદના 150 યાર્ડની અંદર કોઈપણ ગતિવિધિ માટે બંને દેશોની પરસ્પર મંજૂરીની જરૂર છે અને બંને તરફથી એકપક્ષીય કાર્યવાહીનો કોઈ અવકાશ નથી.

જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે જો કોઈ વિકાસ પ્રોજેક્ટ હેઠળ મસ્જિદ કે મંદિરનું નિર્માણ કરવું હોય તો બંને દેશોની સહમતિ ફરજિયાત રહેશે. ભવિષ્યમાં આ સર્વસંમતિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું, ‘સીમા ઉલ્લંઘન, ગેરકાયદેસર પ્રવેશ અને ઘૂસણખોરીને રોકવાના ઉપાયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમજ ભારતમાંથી બાંગ્લાદેશમાં ફેન્સીડીલ જેવા ગેરકાયદે માદક પદાર્થો, હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીને રોકવાને બંને દેશો વચ્ચે આ 55મી ડાયરેક્ટર જનરલ કક્ષાની કોન્ફરન્સ, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સામેલ હશે તેમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

જહાંગીર આલમ ચૌધરીનું એમ પણ કહેવું છે કે તેઓ બંને દેશો વચ્ચે થયેલી સંધિ હેઠળ નદીના પાણીના સમાન વિતરણ અંગે ચર્ચા કરશે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે કરવામાં આવેલી તમામ ‘અસમાન સંધિઓ’ પર ચર્ચા કરવામાં આવશે. જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે નદીના પાણીની સમાન વહેંચણી, જળ કરારનો અમલ અને રહીમપુર નહેરના મુખને ફરીથી ખોલવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

બાંગ્લાદેશના ગૃહ સલાહકારે કહ્યું કે ભારતનો ઔદ્યોગિક કચરો અગરતલા થઈને બાંગ્લાદેશમાં આવે છે, જે પર્યાવરણ કરારનું ઉલ્લંઘન છે. દિલ્હીમાં યોજાનારી કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચે તણાવ વધારવા માટે ફેલાવવામાં આવતા ખોટા સમાચારને કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *