Mahad Satyagraha
Spread the love

આખરે મહાડના જળ સત્યાગ્રહનો (Mahad Satyagraha) દિવસ તારીખ 19/03/1927 આવી ગયો, પ્રથમ દિવસનો સત્યાગ્રહ (Mahad Satyagraha) પુરો થયો. બીજા દિવસે તારીખ 20/03/1927 બપોરનો સમય હતો, સૂર્ય પોતાના કિરણોને તાપથી ધારદાર બનાવી ધરતી ઉપર ફેંકી રહ્યો હતો. સૂર્યના ગરમ કિરણો ચવદાર તળાવના પારદર્શક પાણીમાંથી પરાવર્તન પામી અનોખુ આંદોલિત દ્રશ્ય ખડુ કરી રહ્યા હતા, ત્યારે જ લગભગ સ્ત્રી પુરુષ મળીને પાંચ હજાર જેટલાં ચવદાર તળાવ આંદોલનકારીઓ એ લોકનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરના નીડર, સક્ષમ, દૂરદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ચવદાર તળાવમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે સૌ આંદોલનકારીઓ ચવદાર તળાવને કાંઠે આવીને ઊભા રહ્યા. ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેજસ્વી મુખારવિંદ ઉપર અનેરો આનંદ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha), માનવીય અધિકાર માટેનો સિંહનાદ

મહાડ સત્યાગ્રહ (Mahad Styagrah) ને સુવર્ણ પળો આવી રહી હતી, આખરેએ ઐતિહાસિક ક્ષણ આવી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચવદાર તળાવના કિનારે ઊભા રહીને થોડા ઝુક્યા અને તળાવના નિર્મળ જળને પોતાની આંગળીથી સ્પર્શ કર્યો, આ માત્ર મનુષ્ય આંગળી અને પાણીનો સ્પર્શ નહોતો પરંતુ આ અસ્પૃશ્ય સમુદાયના જે માનવીય અધિકારને વર્ષોથી અમાનવીય અંધાર કોટડીમાં તાળાબંધ કરવામાં આવ્યો હતો એ લોખંડી તાળા ઉપર માનવતાનો જાણે હથોડો વિંઝાયો હતો, ડૉ. આંબેડકરના હાથનો અને ચવદાર તળાવના નીરનો સ્પર્શ માત્ર એ સ્પર્શ માત્ર નહોતો પરંતુ બ્રહ્માંડ શ્રેષ્ઠ સનાતન પરંપરાના સોનેરી કપાળે લાગેલા અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા થયેલો વાયુનો સુસવાટો હતો, વર્ષોથી ચાલી આવતા અમાનવીય વ્યવહાર, હિન્દુને જ હિન્દુ નહીં ગણતા અરે પશુથી બદતર ગણતા માનસિક રોગના નિદાન અને સારવારની શરૂઆત થઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના હાથ અને ચવદાર તળાવના જળના સ્પર્શને માત્ર સ્પર્શ ગણવાની ભૂલ ના કરવી જોઈએ એ અસ્પૃશ્ય સમુદાય માટે પોતાને થતા અપમાનને દૂર કરવાની ક્રાન્તિના શ્રીગણેશ હતા. 

પાણી ધરતી ઉપર ઈશ્વર સર્જિત અમી છે એનો અનુભવ કરવા માટે એ પળમાંથી પસાર થવું પડે જ્યારે ધોમધખતો તાપ માથે અગન ગોળા વરસાવી રહ્યો હોય અને જો હવે પાણીનું એક બુંદ પણ નહીં મળે તો જીવનના સો વર્ષ પુરા થયા જ સમજો એવી તરસ લાગી હોય, સામે નજર સમક્ષ ચોખ્ખા પાણીથી તરબતર, ભરપૂર તળાવ હોય પરંતુ એ તળાવમાંથી પાણી પીવાની આપને અનુમતિ ના હોય. શા માટે અનુમતિ ના હોય ? કારણ કે આપનો જન્મ મહાન, શ્રેષ્ઠ હીંદુ, સનાતન પરંપરાના તેજસ્વી લલાટે કલંકરૂપ કાળક્રમે ઘુસી ગયેલા અમાનવીય અનિષ્ટ એવી જાતિગત અસ્પૃશ્યતાના શિરસ્તામાં અસ્પૃશ્ય, નીચી ગણાતી જાતિમાં થયો છે. એ અમી સમાન જળને અસ્પૃશ્યો માટે ઝેર બનાવી દેનારી પ્રથાને તિલાંજલી આપી ફરીથી અમી બનાવવાનો લોખંડી પ્રયાસ એટલે મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha).

અંગ્રેજોના શાસનકાળમાં 1924માં મુંબઈ વિધાન મંડળમાં એ વખતના સમાજ સુધારક શ્રી એસ. કે. બોલે એ એક વિધેયક રજૂ કર્યું હતું જેને મુંબઈ વિધાન મંડળ દ્વારા પસાર પણ કરવામાં આવ્યું હતું. શ્રી એસ.કે. બોલેનું વિધેયક પસાર થવાથી સરકાર દ્વારા સંચાલિત દરેક સંસ્થાઓ જેવી કે શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી ઓફિસો, ન્યાયાલય, પાણીની પરબો, તળાવો, સરોવરો વગેરેનો ઉપયોગ કરતા કે એમાં પ્રવેશતા કોઈ પણને રોકી શકાય નહીં એવો આદેશ આપવામાં આવ્યો. આ વિધેયકને કારણે અસ્પૃશ્ય ગણાતા સમુદાયોને વર્ષો બાદ માનવીય અધિકાર મળ્યા એવું કહેવું ખોટું નહી જ ગણાય. જોકે પરિસ્થિતિમાં કોઈ ઝાઝો ફરક પડ્યો હોય એવું લાગતું નહોતું. કોલાબા જિલ્લાના મહાડમાં આવેલા ચવદાર તળાવના પાણીનો ઉપયોગ ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ જેવા વિધર્મીઓ બેરોકટોક કરતા હતા, પશુઓ પણ એ તળાવના પાણીનો ઉપયોગ કરતા હતા પરંતુ સરકારે આદેશ કર્યો હોવા છતાં અસ્પૃશ્ય ગણાતા સમુદાયોને ચવદાર તળાવમાં પ્રવેશનો કે એના પાણીનો ઉપયોગ કરવા દેવામાં આવતો નહોતો.

સરકારી આદેશ હોવા છતાં અસ્પૃશ્ય ગણાતાં સમુદાયોને ચવદાર તળાવમાં પ્રવેશ તથા તેનો ઉપયોગ કરવા નહોતો દેવાતો એ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ધ્યાનમા આવ્યું અને મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) નો વિચાર આવ્યો. હિંદુ પરંપરામાં ઘુસી ગયેલી કલંકરૂપ અસ્પૃશ્યતાના અનુભવો ડૉ. બાબાસાહેબ આંબેડકરને પોતાના જીવનના પ્રત્યેક પડાવ ઉપર થયેલા હતા જેનાથી પ્રખર બુદ્ધિશાળી એવા બાબાસાહેબને ખુબ જ ચીડ હતી અને પોતે આ અસ્પૃશ્યતા અને એના જેવા બીજા અમાનવીય રિવાજને કેવી રીતે દૂર કરવા પ્રયત્ન કરી શકે એ વિચાર કરતા જ હતા અને ચવદાર તળાવની ઘટના એમના ધ્યાને આવી. ડૉ. બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવના અન્યાયને દૂર કરવા કોલાબા બહિષ્કૃત પરિષદની મીટીંગ બોલાવી, આ મીટીંગમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સ્પૃશ્ય ગણાતા સમુદાયોના સુધારાવાદી લોકોએ પણ હાજરી આપી. આ મીટીંગમાં મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) ના બીજનું અંકુરણ થયું જે વટવૃક્ષ બનવાનું હતું

આ મીટીંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે તારીખ 19 અને 20 માર્ચ 1927ના દિવસે મહાડ સત્યાગ્રહ (Mahad Styagrah) કરવો. મીટીંગમાં ઉપસ્થિત કાયસ્થ બ્રાહ્મણ અનંતરાવ વિનાયક ચિત્રેએ એવો પ્રસ્તાવ મૂક્યો કે સત્યાગ્રહના અંતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં હાજર રહેલાં સૌએ સરઘસાકારે નીકળીને ચવદાર તળાવમાં પ્રવેશ કરવો અને પાણી પીવું. અનંતરાવ વિનાયક ચિત્રેના પ્રસ્તાવનો સૌએ સ્વીકાર કર્યો.

કોણ હતા અનંરાવ વિનાયક ચિત્રે?

અનંતરાવ વિનાયક ચિત્રે વિશે વિશેષ જાણકારી હોવી આવશ્યક છે, અનંતરાવ વિનાયક ચિત્રે પાછળથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામયિક ‘જનતા’ ના વર્ષો સુધી તંત્રીપદે સેવા આપતા રહ્યા હતા, 1928માં ઈન્દોરમાં દલિત વિદ્યાર્થીઓને માટે છાત્રાલય ચલાવતા હતા તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાજકીય પક્ષ સ્વતંત્ર મજૂર પક્ષનું પ્રતિનિધિત્વ કરતા 1937માં ધારાસભ્ય તરીકે પણ ચુંટાયા હતા.

પરંતુ આ મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) ની સફળતાથી ભયભીત અને રઘવાયા બનેલા અસ્પૃશ્યતાને ધર્મના આવરણ હેઠળ યોગ્ય ગણાવતા રહેલા રૂઢિચુસ્ત રૂઢિવાદીઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સત્યાગ્રહીઓ ઉપર હુમલો કર્યો જેમાં ઘણા સત્યાગ્રહીઓ ઈજાગ્રસ્ત થયા. પોતાના અધિકારની માંગણી સાથે મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) કરતા નિશસ્ત્ર અસ્પૃશ્યો ઉપરના હુમલાએ ડૉ બાબા સાહેબ આંબેડકરને હચમચાવી દીધા અને બાબાસાહેબ આંબેડકરે ફોજદારી ફરિયાદ નોંધાવી જેનો ચુકાદો દસ વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તરફેણમાં આવ્યો.

પરંતુ હિન્દુ પરંપરાનું દુર્ભાગ્ય નહીં તો બીજુ શું કહેવાય કે મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) થકી ચવદાર તળાવમાં અસ્પૃશ્ય સમુદાયના પ્રવેશ અને પાણી પીવાથી, અસ્પૃશ્યતાના કલંકથી પોષિત દ્રષ્ટીએ ચવદાર તળાવ અપવિત્ર થઈ ગયું એવું માનતા વર્ગે ચવદાર તળાવના શુદ્ધિકરણનું અપવિત્ર અને અમાનવીય કાર્ય હાથ ધર્યું. પરંતુ જેમ લંકામાં રામભક્ત વિભિષણ હતા એવી જ રીતે આ ચવદાર તળાવમાં અસ્પૃશ્ય સમુદાયના પ્રવેશ અને પાણી પીવાથી હર્ષિત થયેલા અને શુદ્ધિકરણના અશાસ્ત્રીય, અમાનવીય કાર્યથી વ્યથિત થઈ ઉઠેલા પ્રમુખ બ્રાહ્મણ આગેવાન પી.પી. જોષી જે બાપુરાવના હુલામણા નામે ઓળખાતા હતા એમણે ચવદાર તળાવમાં સ્નાન કરીને બ્રાહ્મણો દ્વારા તળાવની શુદ્ધિકરણના અશાસ્ત્રીય અને અમાનવીય ક્રિયાને પડકારી હતી. 

ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં ચવદાર તળાવનો મહાડ સત્યાગ્રહ (Mahad Satyagraha) સફળ થયો. 


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *