પુસ્તક-પરિચય
‘બરફમાં જ્વાળામુખી’
Ironman of India : ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે બરફના જ્વાળામુખી
- સરદાર વલ્લભભાઈ પટેલની 70 મી પૂણ્યતિથિ
- ભારતના આધુનિક નકશાના શિલ્પકાર
- સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી
સરદાર ‘બરફના જ્વાળામુખી’

આઝાદીના કાળ તરફ નજર કરીએ ત્યારે સમર્પિત ભાવે પોતાના સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શોને સમર્પિત રહેનાર સરદાર પટેલને સમૂજવાની કોશિશ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે સમજાય કે સરદાર એટલે ‘બરફના જવાળામુખી’. પ્રશ્ન એ થાય કે બરફના તો કોઈ જવાળામુખી હોતા હશે જ્વાળામુખી તો ધગધગતા લાવાના હોય બરફના કેવી રીતે હોય ? પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને સમજવાની કોશિશ કરીએ, એમના જીવનમાં એમની સમક્ષ આવેલા અનેક પ્રસંગોનો અભ્યાસ કરીએ તો સાચા અર્થમાં ‘બરફના જવાળામુખી’ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો પરિચય થાય. પ્રામાણિક, દેશપ્રેમી, રાષ્ટ્રભકત લોકો માટે બરફ જેવા શીતળ અને રાષ્ટ્ર અને સમાજ વિરોધીતત્ત્વો માટે જવાળામુખી જેવા દાહક એવા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે બરફના જવાળામુખી.
ખંડ ખંડ ભારતને એક તાંતણે બાંધ્યું

અંગ્રેજોએ જયારે આપણા દેશમાંથી વિદાય લીધી, દેશ સ્વતંત્ર થયો ત્યારે અંગ્રેજો જતા જતા પણ પોતાની કુટીલ અને ભાગલાવાદી નીતિનો પરચો દેશને આપતા ગયા. અંગ્રેજોએ દરેક રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાની સાથે જોડાવું કે સ્વતંત્ર રહેવું એવી છૂટ આપી અને ભારતના અનેક ભાગલા થાય એવું વાતાવરણ ઊભું કર્યું હતું.દેશને નહીં પરંતુ પ૬૨ કરતાં પણ વધુ દેશી રજવાડાઓને આઝાદ કર્યા હતા. આ બધા રજવાડાઓના રાજાઓ જેઓ અલગ અલગ વિચારસરણી અને સ્વતંત્ર રહેવાનો મિજાજ ધરાવતાં હતા. આ પરિસ્થિતિમાં સરદાર પટેલે દેશમાં 562 કરતા વધુ રજવાડાઓના રાજાઓને સમજણપૂર્વક દેશ સાથે જોડવાનું કાર્ય સરદારે પોતાની અદભૂત ક્ષમતા તથા કૂનેહના દર્શન કરાવ્યા. આ ઉપરાંત જ્યાં સમજણ કામ ન આવી ત્યાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને એ રજવાડાઓને ભારત સાથે જોડ્યા જુનાગઢ તથા હૈદરાબાદ એના ઉત્તમ ઉદાહરણ છે. તેઓને એકત્રિત કરી આજના ભારત દેશનો નકશો ઘડવાનું કઠિન કાર્ય કેવી રીતે સરદારે પૂર્ણ કર્યું છે તે સમજાય છે.
પ્રજાવત્સલ વહીવટકર્તા
એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા ત્યારે એ વર્ષે વરસાદે માઝા મૂકી ધોધમાર પડ્યો. આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું, ચોતરફ પાણીનું જ સામ્રાજ્ય દેખાતું હતું ત્યારે સામાન્ય નેતા ઘરમાં બેસીને પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કરવાનું વિચારતા હોય ત્યારે સરદાર પટેલ આખી રાત વરસતા વરસાદમાં અવિરત ફરીને દોડતા રહ્યા. આખા અમદાવાદમાં કોઈ પણ નાગરિકને તકલીફ નહીં પડે એવી ખાતરી થઈ ત્યારે જ પરત ફર્યા. પ્રજાની સુખાકારીનું ધ્યાન રાખતાં પ્રજાવત્સલ સરદાર જોવા મળે છે.
વકીલાતની ધખતી પ્રેક્ટિસ છોડીને દેશને સમર્પિત થઈ ગયા

સરદારની બેરિસ્ટર તરીકેની ધખતી પ્રેક્ટિસ ધરાવતા હતા. હંમેશા સુટ- બુટ- હેટ અને હાથમાં સિગારેટ સાથેના સરદારે દેશ માટે પોતાની બેરિસ્ટર તરીકેની ધીકતી પ્રેક્ટિસ છોડીને જીવનભર પોતાની જાતે વણેલ ખાદીના કપડાં પહેરવાનો ભેખ લીધો. રાષ્ટ્ર અને ગાંધીજીના ચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
ગાંધીજીની હત્યાની જાહેરાત અને એમાં દેખાતા સમર્થ નેતા

ગાંધીજીની હત્યા વખતે બધા નેતાઓમાં કેવી રીતે જાહેરાત કરવી તે બાબતે મુંઝવણમાં હતા. સમગ્ર દેશમાં શોક, વ્યથા તથા ગુસ્સો હતો ત્યારે આ પરિસ્થિતિમાં સહેજ પણ સહેજ પણ શબ્દચૂક ભારેલા અગ્નિમાં ભડકો કરી શકે એવી સ્થિતિ હતી. પોતાના સ્વયં માટે જેમના એક એક શબ્દને આજ્ઞા માનીને પાલન કર્યું એવા ગાંધીજીની હત્યાની કેટલી વેદના હ્રદયમાં હશે તે વેદનાની લાગણી ઉપર કાબુ મેળવીને જરા પણ ખચકાટ કે મુંઝવણ અનુભવ્યા વિના પોતાના ધર્મ પહેલા પોતાના દેશને મહત્વ આપનારા એવા સરદારે જાહેરાત કરી કે ‘મહાત્મા ગાંધીજીની હત્યા એક હિન્દુએ કરી છે” ત્યારે અંગ્રેજોએ વાવેલા હિન્દુ મુસ્લિમની નફરતના બીજને તેઓ કેટલી બારીકીથી સમજયા હતા તે જાણવા મળે છે.
દિકરાને દિલ્હીથી દૂર રહેવાનો આદેશ આપ્યો
આજે ચોતરફ પરિવારવાદ દેખાય છે ત્યારે પોતાના દીકરાને ચોક્કસ કારણોસર જયાં સુધી પોતે દિલ્હીમાં અર્થાત્ સત્તા પર છે ત્યાં સુધી દિલ્હીથી પાંચ ગાઉ દૂર રહેવાની કડક સુચના આપનાર અને એનું બાજ નજરે ધ્યાન રાખનાર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન એવા લોહપુરુષ સરદાર પટેલનો પ્રામાણિકતાના સર્વોચ્ચ શિખર તરીકેનો પરિચય થાય છે. આ ઉપરાંત પરિવાર કરતા રાષ્ટ્ર હિત મહત્વનું છે એવું દ્રઢતાપૂર્વક માનતા તથા હ્રદયપૂર્વક, પરિવાર પ્રત્યે ક્યારેક લાગણીહીન થઈ ગયા હોય એવું લાગે છતાં પોતાના પરિવારને પોતાના પદ તથા નામના ઉપયોગથી દૂર રાખ્યો. આવા પ્રખર રાષ્ટ્રભક્ત અને સંપૂર્ણ રીતે દેશને સમર્પિત લોહપુરુષ સરદાર પટેલને 70 મી પૂણ્યતિથિએ વિનમ્ર અભિવાદન.