વિશ્વ સંવાદ કેન્દ્ર (VSK), ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ શ્રી પ્રદીપ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિશ્વ સંવાદ કેન્દ્ર (VSK) દ્વારા પત્રકારોનું સન્માન
વિશ્વ સંવાદ કેન્દ્ર (VSK), ગુજરાત દ્વારા 5 પત્રકારોને “દેવર્ષિ નારદ પત્રકાર સન્માન” થી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં પ્રિન્ટ મીડિયાના ક્ષેત્રે પીટીઆઈના શ્રી પરાગ દવે, ઈલેક્ટ્રોનિક મીડિયાના ક્ષેત્રમાં ઝી 24 કલાકના તંત્રી શ્રી દીક્ષિત સોની, ડિજીટલ મીડિયા માટે દિવ્ય ભાસ્કર વેબ આવૃત્તિના શ્રી મનોજ કારીયા, રેડિયો પત્રકારત્વ માટે રેડિયો સિટીના RJ પૂજાનું તથા પત્રકારત્વ ક્ષેત્રે અનન્ય યોગદાન આપવા બદલ ‘સંદેશ’ ના સુરતના નિવાસી તંત્રી શ્રી કૃષ્ણકાંત ઉનડકટનું સન્માન કરવામાં આવ્યું.

આ અવસરે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ શ્રી પ્રદીપ જોશીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે નારદજી કયારેય જનસ્તુતિની વાત નથી કરી, જનસ્તુતિ એટલે જનતાને જે સારું લાગે તે આપવું. પરંતુ નારદજીના બધા જ પ્રસંગોમાં જનહિતની જ વાત થઈ છે. નારદજી ખુબજ વ્યાપક સંપર્ક રાખતા હતા અને વ્યાપક દૃષ્ટિથી તે પ્રત્યેક વસ્તુને જોતા હતા. નારદજી આજે પણ આપણી સામે એક આદર્શ તરીકે છે.

પ્રદીપ જોશીએ કહ્યું કે જનહિતનું કામ જે લોકોને કરવું છે. તેમણે સમાજના સાતત્ય સાથે સારા વિષય લઈને કામ કરવા વાળું વર્ગ નિર્માણ કરવાની દૃષ્ટિથી વિશ્વ સંવાદ કેન્દ્ર (VSK) દ્વારા દેવર્ષિ નારદ સન્માનની કલ્પના કરવામાં આવી છે. આજે દેશભરમાં આની આવશ્યકતા પણ છે. સમાજની સામે જે અલગ અલગ પ્રકારના સંઘર્ષ અત્યારે દેખાય છે એવા સમયમાં જનપ્રબોધન અતિઆવશ્યક છે. પત્રકારિતા આજે વિચારવાની દિશા નક્કી કરે છે પરંતુ આ કાર્ય પ્રમાણિકતાથી નથી થઈ રહ્યું. આજે આપણા વિચારવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવામાં આવે છે.

આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી હર્ષદભાઈ પટેલે (કુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ) કહ્યું કે જવાબદાર પત્રકારત્વ એટલે શું ? તો વિશ્વ સંવાદમાં જેનું કેન્દ્ર હોય એ જવાબદાર પત્રકારત્વ. એટલે ગાંધીજીનું પત્રકારત્વ, સંવાદિતાનું પત્રકારત્વ, સ્વતંત્રતાનું પત્રકારત્વ, આત્મસન્માનનું પત્રકારત્વ, સ્વતંત્ર વાણીનું પત્રકારત્વ. જ્યાં રાષ્ટ્ર હિત, સાંસ્ક્રુતિક સંરક્ષણ, સકારાત્મક ભૂમિકા, જનચેતનાના કામો અને મૂલ્યોના રક્ષણ કાજે જે પોતાના વ્યવસાયને સમર્પિત હોય અને રાષ્ટ્રીય પત્રકારત્વ તરીકે આપણે મૂલવીએ છીએ.

દેવર્ષિ નારદ પત્રકાર સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ આ પ્રસંગે આગંતુકોનું સ્વાગત કરતાં વિશ્વ સંવાદ કેન્દ્રના (VSK) મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ઠાકરે નારદ જયંતિએ પત્રકારોનું સન્માન શા માટે તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં શ્રી પ્રદીપભાઈ જૈન (ટ્રસ્ટી, વિશ્વ સંવાદ કેન્દ્ર, VSK, Gujarat) દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
હાર્દિક નિમંત્રણ…
— Vishwa Samvad Kendra (@vskgujarat) May 30, 2025
દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ pic.twitter.com/qZajECAUbo
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ શ્રી જયમીનભાઈ ગજ્જર, કર્ણાવતી મહાનગરના મા. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો