સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપુર્ણ મંદિરો હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલ 12 પૌરાણિક સૂર્યમંદિરના જીર્ણોધ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ બાદ વડાપ્રધાન કાર્યાલય ના આદેશ બાદ પ્રવાસન વિભાગ ની ટીમ અને ઇજનેરોએ પ્રભાસ તીર્થમાં સંશોધન કર્યું હતું
સોમનાથ જ્યાં સ્થિત છે એ પ્રભાસ ભૂમિમાં સેંકડો મંદિરો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. આ જ ભૂમિમાં 12 જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. વર્ષો ના વિધર્મી આક્રમણ બાદ હાલ આ સૂર્યમંદિરો કાળ ક્રમે જર્જરીત અવસ્થામાં છે. જેનું નવિનીકરણ આગામી દિવસોમાં થાય એવા સંકેત વડાપ્રધાન કાર્યાલય દિલ્હી થી દેખાઈ રહ્યા છે.
થોડા દિવસ પહેલાં સોમનાથ નગરપાલીકા પ્રમુખ પિયુષ ફોફંડીએ આ સૂર્યમંદિરની જર્જરીત સ્થિતિના ફોટો અને વિગત પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટર મારફતે મોકલ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, “સોમનાથની તીર્થભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે. એ પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલું છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમ્યાન તોડી પાડવામાં આવ્યા હતા. પણ આપણે ફરીથી આ મંદિરોનું પુનઃનિર્માણ કરાવી શક્યા નથી. આથી સોમનાથની ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોનું ફરીથી પુન:નિર્માણ કરવામાં આવે.”
જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્જીનિયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે સોમનાથના પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્યમંદિરોની મુલાકાત લઇને માહિતી એકત્ર કરી હતી. હવે આ માહિતી અંગે વડાપ્રધાનના કાર્યાલયને રીપોર્ટ કરાશે. આ મંદિરોની સચોટ માહિતી માટે ટીમે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની પણ મદદ લીઘી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં સોમનાથ તીર્થભૂમિમાં 6 સૂર્યમંદિરો આવેલા છે. જ્યારે બીજા 6 સૂર્ય મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સ્પેશિયલ રિપોર્ટ : રાજેશ ભજગોતર દ્વારા