ભારતીય સમાજમાં મોટો વર્ગ અસ્પૃશ્યતાના અમાનવીય અત્યાચારના આવરણ હેઠળ અનેક વર્ષોથી જીવન વ્યતિત કરવા માટે મજબુર હતો. અનેક વર્ષોથી ચાલતા આ અધિકાર હનનને, અપમાનને, પશુ કરતા બદતર જીવનને અસ્પૃશ્યોએ નાછુટકે કે અસહાય હોવાથી કે પછી વિરોધ કરવાથી અત્યાચારોનુ પ્રમાણ વધી જશે એવા ડરથી અથવા બીજા ગમે તે કારણો હશે તેનાથી પરંતુ નાછુટકે સ્વીકારી જ લીધુ હતુ.
ઉપરોક્ત સ્થિતિ જ્યારે સમાજનાં મોટાભાગના લોકોની હતી ત્યારે અસ્પૃશ્યોના માનવીય અધિકારોના પુનઃસ્થાપન માટે, એમના આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક ઉત્થાનના પ્રયાસો પણ થયા હતા જ પરંતુ કોઈને કોઈ કારણોસર એ પ્રયાસોને સમાજના સ્પૃશ્ય વર્ગોમાં સ્વીકૃતિ મળી નહી અને લગભગ દરેક પ્રયત્નો બાદ પણ અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવનું અમાનવીય દુષણ પોતાનો પ્રભાવ જમાવી રાખવામાં સફળ થતુ રહ્યું.
આ દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશના પ્રત્યેક નાગરિકમાં દેશભક્તિ અને ગુલામી વિરૂદ્ધના વિચારોથી આકર્ષિત થઇ રહ્યો હતો ત્યારે દેશભક્તિ અને દેશના જ નાગરિકોના માનવીય અધિકારોનુ હનન કરતી માન્યતાઓ, પ્રથાઓ જેવા બે વિરોધી પ્રવાહ સાથે ન જ ચાલી શકે એવી લાગણી સ્વતંત્રતા સંગ્રામના શિર્ષસ્થ નેતૃત્વ જેવા ગાંધીજી અને વીર સાવરકરના મનમાં ઊભી હતી.
અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવ જેવા અમાનવીય, અન્યાયકર્તા માન્યતાઓ, પ્રથાઓને દૂર કરવા માટે રાજકીય ક્ષેત્ર પણ સક્રિય થવાની કલ્પના પણ અસ્પૃશ્યોના ભાગ્યને ઊઘડવાની આશાના નવા કીરણ સમાન જ હતી.
ડૉ. આંબેડકર જ્યાં અવિરતપણે જાતિવાદી ભેદભાવ અને અસ્પૃશ્યતા વિરૂદ્ધ કાર્યવાહી કરતા જ હતા ત્યારે 1924 માં જ જેલવાસથી મુક્ત થયા બાદ ગાંધીજી તથા વીર સાવરકરે સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે દારૂણ અપમાનજનક સ્થિતિમાં જીવતા વર્ગોના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની શરૂઆત કરી. અલબત્ત, વીર સાવરકર પોતાના જેલવાસ પહેલાથી જ આ કાર્યમાં જોતરાયેલા જ હતા. જાતિવાદી ભેદભાવના રોગનું નિદાન અને સારવાર કરવાની ત્રણેય મહાનુભાવોની નીતિ, રીતિ, પદ્ધતિ, માન્યતા, અભિગમ કેવા હતા ?
ગાંધીજી : સૌપ્રથમ ગાંધીજીના પ્રયત્નોના પાયામાં તેમના વિચાર, પદ્ધતિ તથા અભિગમ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ.
ગાંધીજી સ્વયં જાતિ પ્રથાના પ્રખર હિમાયતી અને સમર્થક હતા. ઉપરાંત ગાંધીજી ચાતુર્વર્ણવ્યવસ્થાને પણ પોતાના વિચારોથી સમર્થન આપતા દેખાતા હતા. ગાંધીજી જાતિ વ્યવસ્થાને અક્ષુણ્ણ રીતે જાળવી રાખીને જ અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવના અમાનવીય, અન્યાયી કલંકને દુર કરવાની નેમ ધરાવતા હતા. ગાંધીજીને જો માનવતાવાદી ગણીએ તો તેમની લાગણી ચોક્કસ અસ્પૃશ્યતા વિરૂદ્ધ તથા સહાનુભૂતિ અનેક વર્ષોથી બળપૂર્વક કે ધર્મના ઓઠા હેઠળ દબાવી દેવાયેલા, અસ્પૃશ્ય બનાવી, ગણાવી લેવાયેલા સમૂહો પ્રતિ હતી. ગાંધીજી અસ્પૃશ્યોને તેમની અમાનવીય, અપમાનિત, દારૂણ સ્થિતિમાંથી બહાર લાવવાના સમર્થનમાં હતા અને કાર્યોને આકાર આપવામાં લાગી ગયા હતા. આ જોતા એવું લાગવુ, ફલિત થવુ સ્વાભાવિક જ હતુ કે સવર્ણ હિંદુ સમાજ દ્વારા સદીઓથી પીડાતા રહેલા અસ્પૃશ્યો તથા અસ્પૃશ્યતા જેવા અમાનવીય અન્યાયકર્તા વ્યવહાર, વ્યવસ્થા પ્રતિ તેમની સહાનુભૂતિ એક સવર્ણ હિંદુના વૈચારિક અભિગમ જેવી એટલે કે “ઉપકારક” ની હતી.
ગાંધીજી પોતાના જાતિવાદી ભેદભાવ, અસ્પૃશ્યતા વિરૂદ્ધ દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાનની જે પ્રવૃત્તિઓ આદરી તેમાં એક બાબતથી તેઓ સતત સાવચેતી રાખવાની નીતિ અપનાવી જેમાં તેમના આ કાર્યથી તેમના રૂઢિચુસ્ત મુડીપતિઓની લાગણીઓ ને ઠેસ ન પહોંચે, નુકશાનકારક ના નીવડે. ગાંધીજીનો હેતુ એવો નહોતો દેખાતો કે હિંદુ સમાજને નવપલ્લવિત કરી માન્યતા આપવી. ગાંધીજી વિશ્વ સમક્ષ એક અદના શિક્ષક ગણાતા રહેલા હતા. સદીઓથી ઉપેક્ષા પામેલા, અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવના અમાનવીય, અન્યાયી અત્યાચારો મુંગા મોઢે સહન કરતા રહીને પણ પોતાની હિંદુ ઓળખ જાળવી રાખનારા આ વર્ગોને ભયનું વાતાવરણ ઉભુ કરી, ધમકીઓ, લોભ લાલચ આપીને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતરણ પ્રત્યે ગાંધીજીએ ના તો અંગુલિનિર્દેશ કર્યો અને ના કદી વિરોધનો હરફ ઉચ્ચાર્યો.
આમ જોતાં એવું કહેવુ યોગ્ય ગણી શકાય કે પછી ખોટું તો નહી જ કહેવાય કે દબાયેલા, કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન કરવાના ગાંધીજીના પ્રયાસો અને પદ્ધતિ અસરકારક હોવાને બદલે પ્રચારાત્મક વધારે હતી.
ગાંધીજીના દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન માટેની નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ, અભિગમ જોયા બાદ વીર સાવરકરના વિચારો અને કાર્ય પ્રત્યે દ્રષ્ટિપાત કરવો જોઈએ.
ક્રમશ: