Spread the love

  • કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી.
  • પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી
  • પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા પ્રકરણ 1 અને પ્રકરણ 2

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા બે પ્રકરણમાં આલેખી છે. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆનો જન્મ, બાળપણ, અભ્યાસ તથા કેવી રીતે ભારતીય સેનાના જોડાયા હતા એ વિશે પ્રકરણ 1 માં વિસ્તૃત રીતે વાંચ્યું હતું. આ ઉપરાંત કોંગો આંતરિક કટોકટીની સ્થિતિ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના શાતિ રક્ષક દળના ગઠનની વાતો દ્વિતીય પ્રકરણમાં આલેખી છે. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથાનું પ્રથમ તથા દ્વિતીય પ્રકરણ લેખના અંતે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા પ્રકરણ 3

આફ્રિકામાં આવેલા કોંગો દેશની આંતરિક કટોકટીની સ્થિતિ જોતા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શાંતિ રક્ષક દળનુ ગઠન કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કોંગો આંતરિક કટોકટીના સમયમાં શાતિ રક્ષક દળ મોકલવામાં આવ્યું જેમાં ભારતીય સેનાની 99મી ઈન્ફન્ટ્રી બ્રિગેડના 3000 સૈનિકો મોકલવામાં આવ્યા. કોંગોમાં એલિઝાબેથવિલ એરપોર્ટ તથા કટાંગા વિભાજનવાદીઓથી સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને બચાવી લેવા માટે ઓપરેશન યુનોકાટ શરૂ કરવામાં આવ્યું. પ્રકરણ 3 માં ઓપરેશન યુનોકાટ દરમિયાન કરવામાં આવેલી વ્યુહરચના તથા અન્ય કાર્યવાહીની ગાથા.

કટાંગીઝોએ બ્લોક કરેલા રોડ ખોલાવવાની જવાબદારી

ઓપરેશન યુનોકાટ લોંચ થયા પછી ચોતરફથી કટાંગીઝ વિભાજનવાદીઓને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી. આ કવાયતના ભાગરૂપે 5મી ડિસેમ્બર 1961ના દિવસે 3જી બટાલિયન 1લી ગોરખા રાઈફલ્સના સૈનિકોને કટાંગા મુખ્યાલય અને એલિઝાબેથવિલ એરપોર્ટ વચ્ચેનો વ્યૂહાત્મક રોડ ખુલ્લો કરાવવાની જવાબદારી સોંપવામાં આવી. આ રોડ બે સશસ્ત્ર કાર સહિત લગભગ 150 જેટલા કટાંગીઝ વિભાજનવાદીઓએ બ્લોક કરી રાખ્યો હતો અને રોડ પર કબજો જમાવીને બેસી ગયા હતા.

મેજર શર્મા તથા મેજર સલારિઆની કંપનીનું સંયુક્ત ઓપરેશન

વ્યુહરચના એવી ગોઠવવામાં આવી હતી કે સૌથી પહેલો હુમલો મેજર ગોવિંદ શર્માના નેતૃત્વ હેઠળની ચાર્લી કંપનીએ કરવો તથા મેજર સલારિઆના નેતૃત્વ હેઠળની આલ્ફા કંપનીએ એરપોર્ટ રોડની નજીક રહીને કટાંગીઝ વિભાજનવાદીઓને પાછળ ધકેલવા અને જો જરૂર જણાય તો કટાંગીઝ વિભાજનવાદીઓ ઉપર મરણતોલ હુમલો કરવો. બાકીની આલ્ફા કંપનીને રિઝર્વ રાખવામાં આવે એવી યોજના તૈયાર કરવામાં આવી. આખો પ્લાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે કટાંગીઝો કોઈ પણ કાળે ફાવી શકે નહીં અને કટાંગા મુખ્યાલય અને એલિઝાબેથવિલ એરપોર્ટ વચ્ચેનો વ્યૂહાત્મક રોડ ખુલ્લો થઈ જાય. આખી વ્યુહરચના બપોરે અમલમાં મુકવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.

ઓપરેશન યુનોકાટ લોંચ : મેજર ગુરબચ્ચનસિંહની ટુકડીએ કર્યો હલ્લાબોલ

આખરે નક્કી કરવામાં આવેલી વ્યુહરચનાનો સમય આવી ગયો. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના નેતૃત્વ હેઠળની આલ્ફા કંપનીએ પોતાના માટે નક્કી કરેલી જગ્યાએ મોરચો માંડયો. આલ્ફા કંપની પોતાની સાથે શસસ્ત્ર ગાડીઓ લઈને પહોંચી ગઈ હતી. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની આલ્ફા કંપની કટાંગીઝ વિભાજનવાદીઓ જ્યાં અડ્ડો જમાવીને બેઠેલા હતા એ જગ્યાએથી માંડ 1500 યાર્ડ્સ અથવા 1400 મીટર દૂર સામ સામે મોરચો ખોલ્યો.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની આલ્ફા કંપનીના હુમલાએ કટાંગીઝોને ઉંઘતા ઝડપ્યા

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની આલ્ફા કંપનીની રોકેટ લોંચર ટુકડી કટાંગીઝ વિભાજનવાદીઓની શસ્ત્રો ભરેલી ગાડીથી એટલે નજીક પહોંચી ગઈ હતી કે આંખના પલકારામાં જ એને ઉડાવી દેશે. અચાનક અને અણધાર્યા હુમલાથી કટાંગીઝ વિભાજનવાદીઓ હક્કા બક્કા થઈ ગયા અને એમનામાં જબરદસ્ત અવ્યવસ્થા, અરાજકતા ઉભી થઈ ગઈ. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની આલ્ફા કંપનીના હુમલાએ કટાંગીઝોને ઉંઘતા ઝડપ્યા હતા.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ હુમલો કર્યો

કટાંગીઝ વિભાજનવાદીઓ વચ્ચે ઉભી થયેલી અરાજકતા અને અવ્યવસ્થા જોતા મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ નક્કી કર્યું કે કટાંગીઝ વિભાજનવાદીઓ ફરીથી વ્યવસ્થા ગોઠવી દે, વ્યુહાત્મક દ્રષ્ટીએ તથા જગ્યાએ ફરીથી ગોઠવાઈ જાય તે પહેલાં આ જ શ્રેષ્ઠ સમય છે દુશ્મન ઉપર ત્રાટકવાનો. અને મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ હુમલો કરી દીધો. કદાચ અહીં મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વ્યુહરચના ખોટી સાબિત થઈ અને કટાંગીઝો તરફથી જબરદસ્ત વિરોધી હુમલા થયા.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ સામે દુશ્મનોનો વળતો વિરોધી હુમલો

જ્યારે મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ પોતાની ટુકડીની મદદથી ચોકી મજબુત કરવા આગળ વધ્યા ત્યારે તેમને જુના એરપોર્ટ વિસ્તારમાં દુશ્મનો તરફથી મોટા વિરોધી પ્રતિકારનો સામનો કરવો પડ્યો. દુશ્મનો પાસે બે બખ્તરબંધ સશસ્ત્ર ગાડીઓ હતી જેમાંથી દુશ્મનો અંધાધૂંધ હુમલા કરી રહ્યા હતા. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ અંદાજ લગાવ્યો અને એવું જણાયું કે પ્રતિકાર કરી રહેલા હુમલાખોર દુશ્મનોની સંખ્યા 90-95 થી વધુ નથી. દુશ્મન બંને બખ્તરબંધ ગાડીઓમાં થી જમણી બાજુએથી સતત પ્રતિ હુમલા કરી રહ્યા હતા.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ ‘આયો ગોરખાલી’ નો યુદ્ધઘોષ કરી વળતો મરણતોલ હુમલો કર્યો

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ સામે લક્ષ્ય નક્કી હતું કોઈપણ ભોગે કટાંગીઝ વિભાજનવાદીઓના હાથમાંથી કટાંગા મુખ્યાલય અને એલિઝાબેથવિલ એરપોર્ટ વચ્ચેનો વ્યૂહાત્મક રોડ ખુલ્લો કરાવવાનો હતો. પોતાની આલ્ફા કંપનીના લક્ષ્યને હાંસલ કરવા મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ દુશ્મનોના સંખ્યાકીય બાહુબળને નજર અંદાજ કરીને, જરાક પણ ગણકાર્યા વગર યુદ્ધ શરૂ કરી દીધું. ગોરખા રાઈફલ્સના યુદ્ધ નારા “આયો ગોરખાલી” નો ગગનભેદી યુદ્ધઘોષ કરતા ખુકરી, સંગીન અને હાથગોળાઓ લઈને જાણે કાળ આવતો હોય એવી રીતે દુશ્મનો તરફ ધસી ગયા. એમની સહાયતા તથા કવર કરવા માટે એક રોકેટ લોંચર પણ એમની સાથે હતું.

દુશ્મનોને ઊભી પૂંછડીએ ભગાડ્યા

સંખ્યાત્મક રીતે જોઈએ તો દુશ્મનનું પલડું ભારે હતું પરંતુ “આયો ગોરખાલી” નો યુદ્ધઘોષ કરતી વીરતા થોડી કંઈ સંખ્યાથી ડરી જવાની હતી. મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ તથા એમની આલ્ફા કંપનીએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. 40 દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો અને દુશ્મનો જે બખ્તરબંધ સશસ્ત્ર ગાડીઓની તાકાત ઉપર મુસ્તાક હતા એ બંને બખ્તરબંધ સશસ્ત્ર ગાડીઓના પણ ભુક્કા બોલાવીને નકામી બનાવી દીધી. સંખ્યાત્મક ગણિત દુશ્મનોની તરફેણમાં હોવા છતાં મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ તથા અન્ય ભારતીય સૈનિકોનું રૌદ્ર સ્વરૂપ જોઈને દુશ્મનો દુમ દબાવીને ભાગી છુટયા.

ભાગતા ભાગતા દુશ્મનોએ મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ પર જીવલેણ ઘા કર્યો

આયો ગોરખાલી’ યુદ્ધઘોષ કરતા 3જી બટાલિયન 1લી ગોરખા રાઈફલ્સના રૌદ્ર સ્વરૂપ સાથે હાથમાં ખુકરી, સંગીન, હાથગોળા વગેરે હથિયારોથી મરણતોલ પ્રહારો કરી રહેલા ભારતીય વીર સૈનિકોથી જીવ બચાવવા ભાગી રહેલા દુશ્મનોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યું હતું. દુશ્મનોના આ અંધાધૂંધ ગોળીબારમા એક ગોળી મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના ગળામાં જીવલેણ ઘા કરતી ગઈ.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના ગળામાં ગોળી વાગી

ભાગતા ભાગતા દુશ્મનોએ કરેલા ગોળીબારમાં મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના ગળામાં એક ગોળી વાગી. ગળામાં વાગેલી ગોળીને કારણે મેજર ગુરબચ્ચનસિંહના શરીરમાંથી અવિરતપણે રક્ત વહેવા લાગ્યું. પરંતુ દુશ્મન જ્યાં સુધી યુદ્ધ મેદાનમાં ઉભો હોય ત્યાં સુધી આ વીર કેવી રીતે હથિયાર કે જીવન છોડી દે ? ગળામાંથી લોહીની ધારા વહેતી હોવા છતાં મેજર ગુરબચ્ચનસિંહ દુશ્મનોને યમધામ પહોંચાડવા તથા નક્કી કરવામાં આવેલી વ્યુહરચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લડતા રહ્યા.

પરમવીરની વીરગતિ

‘આયો ગોરખાલી’ યુદ્ધઘોષ હજુ કટાંગાના એલિઝાબેથવિલ શહેરમાં ગૂંજી રહ્યો છે. ગળામાં વાગેલી ગોળીની જીવલેણ ઈજા અને એ ઘા માંથી વહી રહેલા રક્તની પરવા કર્યા વગર મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆએ દુશ્મનોના હાંજા ગગડાવી દીધા, દુશ્મનોને યમધામ પહોંચાડ્યા અને બાકીના યુદ્ધ મેદાન છોડીને ભાગી ગયા. પરંતુ વીરને થયેલી ઈજાને કારણે મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆ 5મી ડિસેમ્બર 1961ના દિવસે વીરગતિ પામ્યા.

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની કાર્યવાહીથી સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને બચાવી શકાયું

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની સમયસર તથા નક્કી કરવામાં આવેલી વ્યુહરચના મુજબની કાર્યવાહીને કારણે કટાંગીઝ વિભાજનવાદીઓ એલિઝાબેથવિલ ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને ઘેરવામાં સદંતર નિષ્ફળ રહ્યા અને સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને બચાવી શકાયું.

પરમવીરનુ પરમવીર ચક્રથી સન્માન

મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના વીરતાપૂર્ણ નેતૃત્વ, અદભૂત પરાક્રમ, અમાપ વીરતા, પોતાની ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠા અને પોતાની સુરક્ષાને અંતિમ ગણવાની ભારતીય ભૂમિસેનાની સર્વોચ્ચ પરંપરાને જાળવી રાખવા માટે મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

અન્ય સન્માન

ભારત સરકારના શિપિંગ મંત્રાલયના એકમ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 1980 માં તેના પંદરમા ક્રુડ ઓઈલ ટેન્કરનુ નામ MT. કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆ, PVC રાખવામાં આવ્યું. આ ક્રુડ ઓઈલ ટેન્કર 26 ઑક્ટોબર 1984ના દિવસે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને આપવામાં આવ્યું જે આવનારા 25 વર્ષ સુધી શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ક્રુડ ઓઈલ ટેન્કરના બેડામાં નિવૃત્તિ સુધી સામેલ રહેવાનું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’ માં ઉલ્લેખ કરી સલામી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મનની વાત રાષ્ટ્ર સમક્ષ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા કરતા હોય છે. ઑક્ટોબર 2017ના ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની ગાથાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ‘ કોંગોની લડાઈમાં પોતાના જીવનનું બલિદાન આપનારા મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆના સર્વોચ્ચ બલિદાનને કોણ ભુલી શકે ?’

https://devlipinews.com/dn/paramveerchakra-પરમવીર-ચક્રથી-સન્માનિત/
કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા પ્રકરણ 1
https://devlipinews.com/dn/paramveerchakra-પરમવીર-ચક્રથી-સન્માનિત-2/
કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા પ્રકરણ 2

Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.