આંખનાં ખૂણાઓ માંથી દડ દડ વહેતા આંસુ સાથે જીવને ભૂતકાળ વાગોળ્યો અને જૂની યાદોને સંકોરતો એ બોલ્યો: “મારુ સાચું નામ ‘અભય’ છે. એ તું એક જ જાણે છે, પણ એક સમય એવોય હતો જ્યારે આ નામની કોઈ સાર્થકતા નહોતી. નામથી વિપરીત હું ખૂબ જ ડરપોક અને ભયભીત રહેનાર વ્યક્તિ હતો”.
“રૂપગઢની રૂપાળી શેરીઓમાં હું દરેક ક્ષણે મર્યો છું. મારા અસ્તિત્વનાં હોવા, ન હોવા પર કોઈને ક્યારેય ફરક પડ્યો નથી. અત્યારે ત્યાં ભાગ્યે જ કોઈ મને ઓળખતું હશે.”
“મારા જન્મ પહેલાં માતા-પિતાને લાંબા સમય સુધી કોઈ સંતાન નહોતું. પપ્પા ગામથી નજીક જ એક દીવાસળી બનાવતી કંપનીમાં સારા પગારે નોકરી કરતાં હતાં. પરિવારનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. પરિવારમાં મમ્મી, પપ્પા, કાકા અને બે ફોઈઓ રહેતી હતી.”
રૂપગઢમાં પતરા વાળું એક મકાન હતું. જેવું હતું સારું હતું. સજાવેલું અને હર્યું ભર્યું… અમારું કુટુંબ ગામમાં પણ ઠીક ઠીક પ્રખ્યાત હતું. પપ્પા મોજથી પૈસા ઉડાવવાની દાનત વાળા. શેરી- ફળિયામાં કોઈ તહેવાર પ્રસંગે હંમેશા બીજાની મદદ કરે. પૈસાની બાબતમાં ક્યારેય કોઈ કશાચ નહોતા રાખતા.
ઋષભ શાંતિથી સાંભળી રહ્યો હતો. જીવનનો અવાજ ધીરે ધીરે ઘેરાઈ રહ્યો હતો. લાગી રહ્યું હતું કે આગળની વાત કરવા માટે એ થોડો કચવાટમાં હતો. જેમ જેમ વાત આગળ વધી રહી હતી તેમ તેમ ‘જીવન ઉર્ફે અભયનાં’ મોઢા પર ભયની કાલિમાઓ ઊપસી રહી હતી.
“પછી શરૂ થાય છે મેં જોયેલુ એક એવુ રાક્ષસી જીવન, કે જેનો ભોગ ભાગ્યે જ કોઈક બનતું હશે”. એમ કહીને અભય રીતસર ભાંગી પડ્યો.
ઋષભ કંઈ સમજે એ પહેલાં અભયનું મસ્તક ઝૂકી ગયું. નીચે અશ્રુધારા વહી રહી હતી. જે એણે ભૂતકાળમાં ભોગવેલી અસહ્ય પીડાની ચાડી ખાતી હતી.
અભયનાં જન્મ સાથે વર્ષોથી સુનકાર ઘરમાં એક કિલકારી ગુંજી હતી. એના પિતા ખૂબ ખુશ હતા. પણ જે ખુશીની પળોની વર્ષોથી વાટ જોઈ હોય એ ક્યારેક અનિષ્ટોને પણ ઘસડી લાવે.
દીવાસળીનાં કારખાનામાં પોટેશિયમ ક્લોરેટ નામનાં કેમિકલમાં સલ્ફર મિક્ષ કરતી વખતે આગ લાગી ગઈ, ધડાકા ભેર કારખાનું ઉડી ગયું. ગંભીર હોનારત સર્જાઈ, સંજોગોવશાત જે કામ અભયનાં પિતા કરતા હતા, એ કામ અન્ય કોઈ કરી રહ્યું હતું કારણકે અભયનાં જન્મ વેળા પોતાની પત્ની પૂનમ સાથે રહેવા તેમણે રજા લીધી હતી. અનેક લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘવાયાં.
બપોર સુધીમાં તો આસપાસ ખબર ફેલાઈ ગઈ. કંપનીની ઓથોરિટી એ તાત્કાલિક ધોરણે પોતાનાં કર્મચારીઓને આજીવન નજીવા પેંશનની લાલચે છુટા કરી દીધાં અને અન્ય કામ શોધી લેવા ભલામણ પણ કરી દીધી. અભયનાં પિતા કનકલાલને પણ એ બારાનો ફોન આવ્યો કે કંપની આ યુનિટ હંમેશા માટે બંધ કરી રહી છે માટે આપની નોકરી જાય છે અને નિયમ મુજબ જે કાંઈ રૂપિયા મળવા પાત્ર હશે એ પેંશન તરીકે દર મહિને મળતા રહેશે.
ખુશીની પળો માતમ ની ઘોર નિરાશામાં ધકેલાઇ ગઈ. કનકલાલ માનસિક આઘાત પામી ગયા અને એમાંથી એ જીવનભર બહાર ના આવી શક્યા.
આ સમગ્ર ઘટના માટે નવા જન્મેલા અભયને દોષી ઠેરવવામાં આવ્યો. કનકલાલે પોતે એના દીકરા પર જિંદગીભરનું કલંક મઢી દીધું ‘અપશુકનિયાળ’.
“તારા પાપી પગલાં એ ગામ પર અને મારી નોકરી પર કુદ્રષ્ટિ કરી છે. તું મારો દીકરો હોઈ જ ન શકે. તું કોઈ કાળમુખો રાક્ષસ છો જે મારે ઘેર દીકરા તરીકે જન્મ્યો છો.” જ્યાં બાપ પોતે જ દીકરાને અપશુકનિયાળ કે શેતાનનો અવતાર કહેતો હોય ત્યાં ગામ કાઈ બાકી રહે ખરું? નર્કવત જિંદગી આગળ રાહ જોઈ જ રહી હતી.
પ્રસંગોપાત દારૂ પીવાની ટેવ વાળા કનકલાલ હવે મયખાનાનાં કાયમી ગ્રાહક બની ગયા. દિવસ ભર ચિક્કાર ઢીંચીને પડ્યા રહેતાં. બેફામ ગાળો બોલતાં. અભયનાં જન્મ માટે એની માતાને સૌથી મોટી દોષી ગણવામાં આવી. પતિ કનકલાલ પણ મહેણાં ટોણા દ્વારા હેરાન કરવા લાગ્યો. વાત ધોલ-થપાટ સુધી પહોંચી ગઈ અને આખરે પતિ દ્વારા જ એને ‘વેશ્યા’ ની ઉપાધિ પણ આપી દેવામાં આવી.
કનકલાલની બંને બહેનો ભાભીની જગ્યાએ ‘છીનાળ’ શબ્દ જ પ્રયોજતી અને અભય માટે બીજાની ‘નાજાયજ ઔલાદ’..
રોજે પી ને ખાટલામાં પડેલા કનકલાલ મોટા થઈ રહેલા અભય અને એની માઁને બેફામ મારતાં. નાનું બાળક માર ખાઈ અધમૂવું થઈ જતુ. એની માઁ પૂનમ પણ બાળકને બચાવવા વચ્ચે પડતી અને કનકલાલની ઝપટે ચડી જતી. નાનકડાં અભયની ભીતર પોતાના બાપ પ્રત્યે એક અજીબ જ ફડક પેસી ગઈ. ચાર-પાંચ વર્ષની ઉંમર હશે અભયની જ્યારે પરિવારમાં એક ઓર વ્યક્તિનો ઉમેરો થયો. બહેન જન્મવાની ખુશી ઢોર ગમાણમાં પશુવત ઉછરી રહેલાં બાળકમાં પણ હોય જ એની ખાતરી કરાવતો અભય જ્યારે એનું મૉ જોવા નજીક ગયો તો કાનનો પડદો ફાડી નાખતો તમાચો એના ડાબા ગાલ પર ઝીંકાયો. મારનાર કનકલાલે અભયનો એક હાથ ઝાલી, એવો તો ઘા કર્યો કે જુનવાણી મકાનની ખિલાવાળી લાકડાની થાંભલીએ જઈ અથડાયો. માથું ફૂટી ગયું. ચીસોથી આખું ઘર ગાંજી ઉઠ્યું. અભય રડતો જાય, લોહી વહેતુ જાય અને કનકલાલ તેજાબી શબ્દોનાં તોપગોળા છોડતાં જાય: ‘સાલા, રંડીની ઔલાદ, હવે તારે મારી દીકરીને પણ કાળા પગલાંની બનાવવી છે? તારો પડછાયો પણ જો એની પર પડ્યો તો તને અને તારી માઁ ને મારીને દાટી દઈશ’.
કનકલાલની આ હેવાનીયત ફક્ત એક ઝાંખી હતી. એની બે બહેનો એટલે કે અભયની ફોઈઓ પણ કાંઈ ઓછી નહોતી. પોતાના ભાઈ કનકલાલની બધી જ અવળચંડાઈને જસ્ટિફાઈ કરવા ફળિયામાં જઈ અભય અને એની માઁ ના અવગુણ ગાતી. માનસિક રીતે નંખાઈ ગયેલા હતવીર્ય લોકોને બીજું જોઈએ પણ શું? કુથલી અને બીજાના ઘરની અતિશય પંચાતમાં રચ્યા પચ્યા રહેતાં રખડુઓ જ્યાં ત્યાંથી તમાશો જોવા પહોંચી જ જતાં જાણેકે એ એક કાયમી મનોરંજનનું સાધન હોય.
કનકલાલનો કોઈ સગો ગુજરાતમાં રહેતો નહિ. એ મૂળ મધ્યપ્રદેશનો હતો પણ એ વર્ષોથી ભારતમાં ઘણા રાજ્યોમાં ફરતો રહેલો. પોતાના સમાજ સાથે કોઈ નાતો ક્યારેય રહેલો નહીં. એટલે એ પોતાનું મૂળ ભૂલીને રૂપગઢમાં સ્થાયી થયેલો. દાદાની ખાનદાની જમીન નર્મદાના ઉદગમ સ્થાન બાજુ હતી જેની હાલ કિંમત કરોડો રૂપિયાની હતી. કનકલાલ એ વિશે કાઈ જાણતો ન હતો. બસ એ એના દાદાનો એટલો પાડ માનતો હતો કે નાની વયે એના જ સમાજની પૂનમ સાથે બાળ લગ્ન કરાવી દીધેલાં. ત્યારબાદ દાદા બાળ-બચ્ચાઓને સાથે લઈ ભટકતું જીવન જીવતા રહેતા હતા. છૂટક મજૂરી કરતા અને પેટિયું રળતા. એટલે અલગ અલગ જગ્યાઓ પર જવું એમને મન સાવ સામાન્ય વાત હતી.
દાદાનાં અવસાન પછી એમનાં બંને દીકરાઓ કનકલાલ અને સુશીલ રૂપગઢ સ્થાયી થયેલાં. સુશીલ બાજુમાં જ રહેતો હતો અને પોતે પોતાની મેળે લગન કરી છોકરા છૈયાનું પૂરું કરતો હતો. કનકલાલનાં સ્વભાવ સાથે એને મેળ ન બેસતા એ અલગ રહેવા જતો રહેલો. જોકે એ બાજુમાં જ રહેતો હતો પણ ખાલી કામ પૂરતાં ઔપચારિક સંબંધો હતા.
અભય ઘણીવાર કાકા-કાકી પાસે પ્રેમની અપેક્ષાએ જતો. પણ કાકીનાં દુર્વ્યવહારે અભયને ક્યાયનો ન રહેવા દીધો. પોતાનાં ભાઈની વહુ અભયને પસન્દ નથી કરતી એ જાણીને કનકલાલને પોરષનાં તોરાઓ ફુટતાં. જાણે ઓચિંતો ખજાનો હાથ લાગ્યો હોય એમ એની ખુશી સમાતી નહોતી. એમના માટે એમના ભાઇના છોકરાઓ વધુ વ્હાલા થઈ ગયા. આવરો જાવરો વધારવા મંડ્યા. પેંશનનાં પૈસા માંથી એ રમકડાં, કપડાં, ચોકલેટ્સ વગેરે ખરીદવા લાગ્યો અને પોતાના ભાઈના છોકરાઓ માટે પૈસા લૂંટાવા માંડ્યો. વાર તહેવારે, પ્રસંગે ભેટ સોગાતોની લ્હાણી થતી જોઈ કાકી અભય અને સાથે એની માઁ ને વધુ હેરાન કરવા લાગી. કેમકે હવે એનું લક્ષ્ય ઘરમાં સેંધ મારવાનું હતું. પરિવાર તૂટે એનો વિકૃત આનંદ લેવા એક લાક્ષણિક દેરાણી-જેઠાણીની સીરિયલમાં વર્ણવાય એવા ગતકડાઓ ચાલુ થઈ ગયા.
પૂનમ બધાયની ગાળો અને માર ખાતી પણ મોઢા માંથી એક હરફ સુધ્ધાં ક્યારેય કોઈની તરફ ઉચ્ચારતી નહોતી. અસહ્ય ત્રાસ એ કોના ભરોસે અને ક્યાં કારણથી સહેતી હતી એ પોતે પણ નહોતી જાણતી. બસ એને ફક્ત અભય માટે જીવવું હતું. અને જીવ્યે જતી હતી. દારૂડિયો બેરોજગાર પતિ, બે નણંદો અને પડોશી દેરાણીની તિકડી એ ધરતી પર જ સાક્ષાત નર્કનું નિર્માણ કર્યું હોય એવો આભાસ થવા લાગ્યો. લોકો અનેક વાર કહેતા કે કમસેકમ બાળકને તો બક્ષી દો એ હજુ નાનો છે એને કાઈ સમજ ના હોય. ખોટી અંધશ્રદ્ધામાં ના રહો. ફૂલ જેવા છોકરાને તમે જીવતે જીવ કરમાવી દીધો છે. પણ કનકલાલે નક્કી કરી લીધેલું કે આને ગમે તેમ કરીને ઢાળી જ દેવો છે.
