Spread the love


• કિશોર મકવાણા 

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 91

• સરહદોની અસમંજસભરી સ્થિતિએ લોકોની મુશ્કેલી વધારી દીધી.

  • જાન્યુઆરી 1981 પ્રગટ થયેલ ‘ન્યૂઝ વીક ઈન્ટરનેશનલ’ નામના પોતાના પુસ્તકમાં યુરોપીય તંત્રી એડવર્ડ બેહ્ને ભાગલા બાબતે અનેક રહસ્યો ઉઘાડાં કર્યાં છે : ‘ભાગલાનો સિદ્ધાંત ઉઠાવવામાં આવ્યો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘સામુદાયિક અને સાંપ્રદાયિક’ આધાર પર વજન આપવાથી હિંસા ભડકી ઊઠશે.
  • રેડક્લિફ સરહદ – કમિશનના નિર્ણયની જાહેરાત 19 ઓગસ્ટ 1947 સુધી રોકી રાખવામાં આવી. માઉન્ટબેટનના આ નિર્ણયથી સંકટ વધારે મોટું બન્યું. નિર્ણયના પટારામાં કરોડો ભારતીયોનું ભાગ્ય બંધ હતું.

1947ની 12મી ઑગસ્ટે રેડક્લિફે ફટાફટ થોડાક દિવસમાં સરહદો ક્યાં અંકાએલી હશે એ તૈયાર કરી નાંખ્યું. પરંતુ માઉન્ટબેટને પોતાની વગનો ઉપયોગ કરીને રેડક્લિફને 13મી ઑગસ્ટ સુધી રોકી રાખવા કહ્યું અને પોતે કરાંચી જવા માટે રવાના થઈ ગયા. 1497ની 14મી ઑગસ્ટે પાકિસ્તાન અને 15 ઑગસ્ટે ભારત સ્વતંત્ર દેશ તરીકે દુનિયાના નકશા પર જાહેર થયા પરંતુ આ નવા બનેલા પાકિસ્તાનની સરહદ કઇ હશે અને ભારતની સરહદો ક્યાં સુધી લંબાયેલી હશે તેની એ વિસ્તારમાં રહેતી પ્રજાને કંઇ જ નહોતી, અથવા તો હિન્દુઓ અને મુસલમાનોને અલગ-અલગ કરનાર ભાગલાની રેખા ક્યાં ખેંચવામાં આવી છે તેની પણ ખબર નહોતી. 15 ઓગસ્ટ સુધી આવી અસંજસભરી સ્થિતિ હતી.

એ પછી રેડક્લિફ સરહદ – કમિશનના નિર્ણયની જાહેરાત 19 ઓગસ્ટ 1947 સુધી રોકી રાખવામાં આવી. માઉન્ટબેટનના આ નિર્ણયથી સંકટ વધારે મોટું બન્યું. નિર્ણયના પટારામાં કરોડો ભારતીયોનું ભાગ્ય બંધ હતું. મોસ્લેએ કહ્યું છે : ‘પશ્ચિમ પંજાબના શીખો અને હિન્દુઓ માટે તથા, લાહોરના બિન મુસ્લિમ લોકો માટે તો જીવન-મરણનો પ્રશ્ન હતો. આ નિર્ણયથી એમને સંદેશ મળ્યો હતો કે તે એમના બિસ્તરા પોટલાં બાંધીને પૂર્વ ભારત તરફ ચાલ્યા જાય. સાંપ્રદાયિક ટેન્શન વધતું જતું હતું. આ સ્થિતિ જોતા લોકો જેમ બંને તેમ જલદી પોતાના ભવિષ્ય વિશે જાણી શક્યા હોત તો સારું થાત.’ (મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 262)

એલન કૈમ્પબેલ જૉન્સને લખ્યું છે : ‘રૈડક્લિફ નિર્ણયની જાહેરાત અંગે અનેક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે. વહીવટી દ્રષ્ટિએ એવો તર્ક આપવામાં આવ્યો કે યથાશીઘ્ર ઘોષણાથી (પંજાબના ગવર્નર) જેન્કિન્સને સહાયતા મળશે અને તે સત્તા –હસ્તાંતર પહેલાં પ્રભાવિત વિસ્તારોમાં લશ્કર મોકલવાની અંતિમ તૈયારી કરી શકશે. વિકલ્પ તરીકે એવું સૂચન કરવામાં આવ્યું કે ગમે તે કરો પણ નિર્ણય મુશ્કેલનું કારણ તો બનશે જ. આથી તેની જાહેરાતની સૌથી સારી તિથિ 14 ઓગસ્ટ જ રહેશે. માઉન્ટબેટને કહ્યું કે તે સ્વવિવેકથી કામ લઈ શકે તેમ હોય તો તે તેને સ્વતંત્રતા – દિવસ સમારોહ પછી જ જાહેરાત કરવામાં આવે તેમ ઈચ્છશે. તેમના વિચાર મુજબ તેના સમય નિર્ધારણની સમસ્યા મનોવૈજ્ઞાનિક હતી. તેનાથી બંને પક્ષો વચ્ચે વિવાદ અને વિષાદ ઊભો થવાનો જ હતો. આથી તેની જાહેરાત કરી સ્વતંત્રતા દિવસ સમારોહના ઉમંગમાં ભંગ થવો જોઈએ નહીં.’ (મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 262)

લેઓનાર્ડ મોસ્લે પણ આ સંબંધમાં માઉન્ટબેટનને ચોખ્ખું સંભળાવ્યું કે : ‘‘સફળ વ્યક્તિ હોત તો તે ચોક્કસપણે એવા કોઇ પગલા ન ભર્યા હોત જેનાથી સ્વતંત્રતા –દિવસનું નિર્મળ આકાશ કાળાં વાદળોથી ભરાઈ જાય. પાછળની ઘટનાઓની દ્રષ્ટિએ જોતાં તેમણે અનેક દિવસ સુધી નિવેદનને દબાવી રાખવાની સ્પષ્ટ ભૂલ કરી. તેમણે સ્પષ્ટ રીતે બીજી પણ મોટી ભૂલ કરી – તે ભારત અને પાકિસ્તાનના નેતાઓને વિશ્વાસમાં લેવાનું ચૂકી ગયા. અગાઉથી જાહેરાત કરી હોત તો લાખો – કરોડો હિન્દુઓ, શીખો અને મુસલમાનોને એમના બિસ્તરા – પોટલાં બાંધવાનો સમય મળી ગયો હોત. પં. નહેરુ, ઝીણા અને પંજાબ સરહદ – સૈનિક દળના સેનાપતિ જનરલ રીજને ગુપ્ત રીતે અગાઉથી સૂચના આપવામાં આવી હોત તો લોકો વ્યવસ્થિત રીતે જઈ શકે તેવી વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકાઇ હોત; પરંતુ માઉન્ટબેટને કોઈને પણ વિશ્વાસમાં લીધા નહીં. તેમણે નિર્ણયને મુઠ્ઠીમાં બંધ કરીને રાખી મૂક્યો. સ્વતંત્રતા દિવસ પછી પણ દબાવી રાખ્યો. સ્વતંત્રતા દિવસ તો આનંદથી પસાર થઈ ગયો પરંતુ તેના કારણે લાખો લોકો માર્યા ગયા અથવા ગરીબ બની ગયા.

કૈમ્પબેલ જૉન્સને બ્રિટિશ રાજ્યની અંતિમ ઘડી વખતે લોર્ડ માઉન્ટબેટનની મનોદશાનું વર્ણન કરતા લખ્યું છે : ‘રાતે ઘડિયાળનો કાંટો 12 ના આંકડા પર પહોંચ્યો ત્યારે માઉન્ટબેટન એમના ‘ડેસ્ક’ પર શાંત બેઠા હતા. મેં એમના અનેક મનોભાવોને જોયા છે. આજ રાતે તે લગભગ અનાસક્ત મુદ્રામાં હતા – ગંભીર અને શાંત. તે એક વિચિત્ર મનોદશા હતી. તેમની સામે એક એવું રહસ્ય પડ્યું હતું, જેના ગર્ભમાં થોડાક જ અઠવાડિયામાં લાખો લોકોના મોત છૂપાએલા હતા અને તેના કારણે ઈતિહાસની સૌથી મોટી દુઃખદયાત્રા શરૂ થવાની હતી.’ (મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 262-263)

જાન્યુઆરી 1981 પ્રગટ થયેલ ‘ન્યૂઝ વીક ઈન્ટરનેશનલ’ નામના પોતાના પુસ્તકમાં યુરોપીય તંત્રી એડવર્ડ બેહ્ને ભાગલા બાબતે અનેક રહસ્યો ઉઘાડાં કર્યાં છે : ‘ભાગલાનો સિદ્ધાંત ઉઠાવવામાં આવ્યો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘સામુદાયિક અને સાંપ્રદાયિક’ આધાર પર વજન આપવાથી હિંસા ભડકી ઊઠશે તથા લશ્કર અને પોલીસની દરેક ટુકડીએ સામૂહિક મારકાટને રોકવી પડશે…

’‘પરંતુ લોર્ડ માઉન્ટબેટને સમગ્ર ઉપમહાદ્વીપના લશ્કરી વડાઓની વિનંતી છતાં સ્વતંત્રતા દિવસને મોકૂફ રાખવાની ના પાડી દીધી. લશ્કરી વડા મોકૂફ રાખવા માગતા હતા, જેથી લશ્કર અને પોલીસની ટુકડીઓ અલગ રીતે ભારતીય અને પાકિસ્તાની એકમ તરીકે પુનર્ગઠન કરી શકે.’‘લોર્ડ માઉન્ટબેટન 15 ઓગસ્ટ 1947ની તારીખ પર મક્કમ રહ્યા. તેમણે ભારત અને પાકિસ્તાનની નવી સરહદ પર કેવળ પાંચ હજાર જવાનો મૂકવાની મંજૂરી આપી. આ સંખ્યા ખૂબ જ ઓછી પુરવાર થઈ. આ સંબંધમાં બંને તરફના સેનાધિકારીઓની તેણે કોઈ વાત સાંભળી નહીં.

‘કોઈને ક્યારેય ખબર નહીં પડે કે ભારતીય ઉપમહાદ્વીપના આ સુનિયોજિત અને અત્યંત અવ્યવસ્થિત ભાગલાના પરિણામે કેટલા લોકો મરાયા.‘પરંતુ ચોક્કસપણે તેની એક કદરૂપી બાજુ એ છે કે માઉન્ટબેટન પાછળથી પણ એમ જ કહેતા રહ્યા કે એમણે જે કંઇ કર્યું તે યોગ્ય કર્યું. જે મોત થયાં તેને રોકી શકાય તેમ નહોતાં અને તે સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’‘ભારતીય લશ્કર અને પોલીસના નાના – મોટા અનેક અધિકારીઓનાં આટલાં વર્ષ વીતી ગયા પછી પણ એવો મત છે કે ભારતમાં જે માઉન્ટબેટન હતા એ માઉન્ટબેટન નહોતા જેમણે બર્માના અભિયાનને ભવ્યતાથી ચલાવ્યું હતું, પરંતુ અહીં તેમના મોં પર ઘમંડની કાલિમા છવાયેલી હતી અને તેના હાથ લોહીથી રંગાએલા હતા.’ (હિન્દુસ્તાન ટાઈમ્સ, 25. 01. 1981)

સાઈરિલ રૈડક્લિફ પંજાબ અને બંગાળ બંને સરહદ –કમિશનોના પ્રમુખ હતા. બંને કમિશનોના બધા જ સભ્યો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હતા. દરેક કમિશનમાં બે હિન્દુ અને બે મુસલમાન સભ્ય હતા. બંગાળ કમિશનને આસામના સિલહટ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોના સીમાંકનનું કામ સોંપવામાં આવ્યું હતું. સરહદ – કમિશનની રચના અંગે કૉંગ્રેસી નેતાઓએ વિનાશકારી આત્મસંતોષનો પરિચય કરાવ્યો. તે અદબ વાળીને બેસી રહ્યા. આ સંબંધમાં પંજાબના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને લેખક પ્રા. એ. એન. બાલીએ સ્પષ્ટ રીતે કહ્યું છે :‘પહેલાં તો કૉંગ્રેસી નેતાઓએ બંગાળ અને પંજાબ માટે એક જ સરહદ – કમિશનની વાત સ્વીકારી લઈને ભારે ભૂલ કરી. બીજી ભૂલ, ત્રણ સભ્યોવાળા કમિશનના બદલે એક સભ્યવાળા કમિશનનો સ્વીકાર કર્યો. ત્રીજી ભૂલ તેમણે સર સાઈરિલ રૈડક્લિફ નામની એક તદ્દન શંકાસ્પદ વ્યક્તિને માન્યતા આપી. રૈડક્લિફની કાયદાના ક્ષેત્રમાં ઘાક નહોતી કે ન તો તે રાજકીય નિષ્પક્ષતા માટે પણ વિખ્યાત હતા અને ન તો ઈંગ્લેન્ડના જાહેરજીવનમાં તેનું કોઈ વિશેષ યોગદાન હતું. તેના નામની રજૂઆત કરવામાં આવી ત્યારે પંડિત નહેરુએ તેના ભૂતકાળના જીવન વિશે કોઈ તપાસ કરી નહીં. મહંમદઅલી ઝીણાએ તરત જ તેનું નામ સ્વીકારી લીધું ત્યારે જ પંડિત નહેરુના મનમાં આ સંબંધમાં શંકા પેદા થવાની જરૂર હતી; પરંતુ કદાચ તેમની દ્રષ્ટિએ આ વિષય એટલો સામાન્ય હતો કે તેના પર ગંભીરતાથી વિચાર કરવાની તેમને કોઈ જરૂર જ લાગી નહીં. દિલ્હીના એક અખબારમાં કહ્યું હતું કે વર્ષો પહેલાં મહંમદઅલી ઝીણાએ લંડનમાં ‘પ્રેક્ટિસ શરૂ કરી હતી ત્યારે રૈડક્લિફ તેમનો સલાહકાર હતો. આ સમાચારનો કયારેય રદિયો આપવામાં આવ્યો નહોતો. ચોથી ભૂલ એ હતી કે મધ્યસ્થના પંચનિર્ણય વિરુદ્ધ બ્રિટિશ સરકારને ફરી આગ્રહ કરવાના અધિકારને સમાપ્ત કરવાની વાત સ્વીકારી લેવામાં આવી.’ (એ. એન. બાલી : નાઉ ઈટ કેન બી ટોલ્ડ, પૃષ્ઠ: 61)

શીખોના પ્રવક્તા બલદેવસિંહે શીખોની માગણી સંબંધે 3 જૂનના સરકારી નિવેદનમાં વિશેષ ઉલ્લેખનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ માઉન્ટબેટને તેમને આવો આગ્રહ ન કરવા મનાવી લીધા. કૉંગ્રેસી નેતાઓએ પણ બલદેવસિંહને ટેકો આપવાની દરકાર કરી નહીં. બંને માઉન્ટબેટનની જાળમાં સપડાઈ ગયા કે તેમનાં હિતો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે. જોકે માઉન્ટબેટને બહુ ચાલાકીપૂર્વક કોન્ગ્રેસ અને શીખ નેતાઓને મુરખ બનાવ્યા.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love