દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ G20માં કેનેડાના વડાપ્રધન જસ્ટિન ટ્રુડો હજુ ભારતમાં જ છે. જસ્ટિન ટ્રુડોએ G20માં ખાલિસ્તાનીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રુડોએ કહ્યું હતું કે દેશમાં અલગાવવાદી તત્વો ઉપર લગામ કસવા વિશ્વાસ દર્શાવ્યો હતો. હજુ G20 પૂર્ણ થયાને હજુ બે દિવસ માંડ થયા છે ત્યાં કેનેડામાં સક્રિય ખાલિસ્તાનીઓની હરકતો યથાવત જોવા મળી રહી છે. ખાલિસ્તાની સંગઠન સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ) નો ગેંગસ્ટર ગુરપતવંત સિંહ પન્નૂનો આજે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડિઓમાં તેણે કેનેડામાં ભારતની એમ્બેસી બંધ કરવાની ધમકી આપી છે.
સિખ્ખ ફોર જસ્ટિસ (SFJ) જેવા અલગાવવાદી સંગઠનના પન્નૂએ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને જાનથી મારવાની ધમકી આપી છે. એક વીડિયોમાં અલગાવવાદી કટ્ટરવાદી પન્નૂ એવું બોલતો જોવામાં આવી રહ્યો છે કે, ‘આ મેસેજ તે લોકો માટે છે, જેમણે હરદીપ સિંહ નિજ્જરને મરાવ્યા. મોદી, જયશંકર, ડોભાલ અને શાહ. અમે તમારા માટે આવી રહ્યા છીએ.’ અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના જૂન મહિનામાં ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના સરેમાં શૂટિંગ દરમિયાન મોતને ઘાટ ઉતારાયો હતો.હરદીપ સિંહની હત્યાનો આરોપ ખાલિસ્તાનીઓ ભારત સરકારના ઈશારે થવાનો લગાવી રહ્યા છે.
G20 સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનાડાના પીએમ જસ્ટિન ટ્રુડો સમક્ષ ખાલિસ્તાની તત્વોને લઈ સખ્ત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંને દેશોના શ્રેષ્ઠ સંબંધો માટે આવા તત્વો પર સકંજો કસાય એ આવશ્યક છે. વિદેશ મંત્રાલયે બંને દેશોના નેતાઓ વચ્ચેની ચર્ચા અંગે કહ્યું હતું કે, પીએમ મોદીએ કેનાડામાં ભારત વિરોધી તત્વોની ગતિવિધિઓ પર વાંધો ઉઠાવ્યો છે. તત્વો રાજદ્વારીઓને ધમકી આપે છે અને ભારત વિરોધી હરકતો કરે છે. ઉપરાં તેઓ ભારતીય સમુદાયને પણ હંમેશા ધમકી આપતા રહે છે, જેના પર વડાપ્રધાન મોદીએ એક્શન લેવા કહ્યું છે.