Spread the love

– 8 મહાનગરોમાં જ રાત્રી કરફ્યુ રહેશે

– જાહેર બાગ બગીચાઓ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

– લગ્ન પ્રસંગે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત થઈ રહેલા ઘટાડા તથા વર્તમાન સ્થિતિની પુન: સમીક્ષા કરવામાં આવી હતી તથા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કરફ્યુને લગતા નિર્ણયો : 8 મહાનગરોમાં રાત્રી કરફ્યુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રી કરફયુનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના અન્ય નગરો જેવાકે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો. આ રાત્રિ કરફયુ 10મી જુલાઈ થી 20 જુલાઈ સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે.

વાણિજ્ય વેપારને લગતા નિર્ણયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાત્રી કરફયુ અમલમાં છે તેવા શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 9 સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેન્ટ્સ રાત્રે 9 વાગ્યા સુધી બેસવાની ક્ષમતાના વધુમાં વધુ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. આ ઉપરાંત રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે.

શૈક્ષણિક સંસ્થાઓ, કાર્યો માટેના નિર્ણયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચ વાઈઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. વાંચનાલયો 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.

લગ્ન તથા અન્ય જાહેર કાર્યક્રમો માટે નિયમો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થાનોએ વધુમાં વધુ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ જ્યારે બંધ સ્થળોએ જે તે જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકઠા થઈ શકશે.

રમતગમત અને મનોરંજન ક્ષેત્રને સ્પર્શતા નિર્ણયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રમતગમત અને મનોરંજન ક્ષેત્રને સ્પર્શતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. (રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) સિનેમા થિયેટરો, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

વાહનવ્યવહારને લગતા નિર્ણયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સેવા મહત્તમ 75% પેસેન્જર કેપેસીટી સાથે ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સેવાને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે તમામ ડ્રાઇવર તથા કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

વેક્સિન લેવાની સમય મર્યાદા વધારવામાં આવી

તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓને 10મી જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની સરકાર દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં સરકાર તરફથી તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓને વેક્સિન લેવાની સમય મર્યાદા લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી છે. 31.7.2021 સુધીમાં તેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.

કોર કમિટીની બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *