Spread the love

– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે ?

– આવનારી પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં શું અસર થઈ શકે ?

– કેન્દ્ર સરકારનો નિર્ણય રાજકીય ગણિત ?

મોદી સરકારનો કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે ?

2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આવતી ચૂંટણીઓ માથે બેઠી છે ત્યારે જ વડાપ્રધાન મોદીએ આજે નવા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે એવી ચર્ચા રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે સરકાર કોઈ નવી યોજનાઓ કે નિર્ણયો જાહેર કરીને સત્તા જાળવી રાખવાનો કે મેળવવાનો પ્રયાસ કરતી આવી છે, પરંતુ આ વખતે પહેલીવાર એવું બની શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર લીધેલા નિર્ણય પરત કરીને ચૂંટણીઓ જીતવા આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે લીધેલો આ નિર્ણય આવનારી પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બધા પક્ષોને તેમની રણનીતિ બદલવા વિવશ કરશે એવું લાગે છે.

ઉત્તર પ્રદેશમાં રાજકીય સ્થિતિ

કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને ભાજપે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોતાની સીટો જાળવી રાખવાની રણનીતિ કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 16 જિલ્લાની કુલ 136 સીટ આવેલી છે જેમાંથી ભાજપે 2017 માં 109 ઉપર જીત મેળવી હતી. પરંતુ છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલા કથિત ખેડૂત આંદોલનને કારણે સ્થાનિક જનતા ખાસ કરીને ખેડૂતો ખૂબ નારાજ હતા એવું ચિત્ર ઉપસી રહ્યું હતું ત્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ બીજેપીના હાથમાંથી નીકળી જાય એવી સ્થિતિ બનતી જતી હતી એવું કેટલાક રાજકીય વિશ્લેષકો માની રહ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલ અને સર્વેમાં ખેડૂત આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં બીજેપીને નુકસાન થતું જોવા મળી રહ્યું હતું. 2022માં થનારી ચૂંટણીમાં ખેડૂત આંદોલન પશ્ચિમ યુપીમાં ખૂબ મોટો મુદ્દો થતો જતો હતો. આ વિવાદનો ભરપૂર ફાયદો ઉઠાવીને ઈવીએમ છલકાવી દેવાની રણનીતિને અનુસરી વિપક્ષની પાર્ટીઓ આરએલડી, સપા અને કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસોમાં મહાપંચાયત આયોજિત કરીને જાટ-મુસ્લિમ એકતાને ફરી સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે આ નિર્ણયથી ભાજપ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 2017 માં જીતેલી સીટો જાળવી રાખી શકશે ઉપરાંત વિરોધ પક્ષોની અત્યાર સુધી કરેલી કથિત ખેડૂત આંદોલનકારીઓ સાથેની સાંઠગાંઠ અને સામાન્ય લોકોને પડેલી હાલાકીનો મુદ્દો ઉઠાવીને વધુ સીટો કબ્જે કરી શકે છે. વિપક્ષની પાર્ટીઓએ પશ્ચિમ યુપીમાં અત્યારસુધી ખેડૂત આંદોલન પર ઘણી આશા રાખી હતી, પરંતુ મોદી સરકારે હવે આ મુદ્દો જ સમાપ્ત કરી દીધો છે. હવે વિપક્ષે પશ્ચિમ ઉત્તરપ્રદેશની રણનીતિ પર ફેરવિચાર કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય બીજી રીતે જોતાં એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના વિરોધ પક્ષોએ બનાવેલી રણનીતિને જડમૂળથી બદલવાની ફરજ પડશે અને તે માટે વિરોધ પક્ષો પાસે પુરતો સમય નથી રહ્યો. ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભાજપનો ભગવો લહેરાશે એવી સ્થિતિ દેખાઈ રહી છે.

પંજાબમાં શું ફરક પડી શકે છે કેન્દ્ર સરકારના નિર્ણયથી

પંજાબમાં ભાજપ જીતી શકે તેમ હાલ દેખાતું નથી પરંતુ મોદી સરકારનો આ નિર્ણય પંજાબની આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઉપર ચોક્કસ અસર કરશે એવું લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુનાનક જયંતીના દિવસે કૃષિ કાયદા રદ કરીને ભાજપે પંજાબના શીખ સમુદાય અને પંજાબ-યુપીના ખેડૂત સમુદાયને એકસાથે સાધવાનો પ્રયત્ન કર્યો છે એવું લાગી રહ્યું છે. ઉપરાંત ગુરુપર્વના દિવસે લેવામાં આવેલા આ નિર્ણયથી શીખો સાથે ભાવનાત્મક જોડાવામાં પણ બીજેપીને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે કથિત ખેડૂત આંદોલન પંજાબની ધરતી ઉપરથી જ શરૂ થઈને વાયા હરિયાણા, દિલ્હી થી ઉત્તર પ્રદેશ પહોંચ્યું છે, આ આંદોલનનો રૂટ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે આંદોલન સંપૂર્ણ રીતે રાજકીય હતું અને ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઊભું કરવામાં અને આગળ વધારવામાં આવ્યું હતું. આ આંદોલનની બીજી બાબત પણ ધ્યાન આપવા જેવી છે કે જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા લાગુ નહીં કરવાની જાહેરાત કરી હતી તે જ રાજ્યમાં શરૂ થયું હતું. પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. એમાંથી 40 જેટલી બેઠકો શહેરોમાં અને બાકીની બેઠકો ગ્રામ્ય વિસ્તારોમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠકો ઉપર પર ખેડૂતોના મત હાર-જીતનો નિર્ણય કરતા રહ્યા છે. આ સંજોગોમાં પંજાબ ચૂંટણી પહેલાં ભાજપ માટે કાયદો પરત લેવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. પંજાબ મુખ્યત્વે માલવા, માઝા અને દોઆબા વિસ્તારમાં વહેંચાયેલો છે. એમાં સૌથી વધારે સીટો 69 માલવામાં છે જે ગ્રામીણ સીટો છે અને ત્યાં ખેડૂતોનો પ્રભાવ વધુ છે. 23 સીટવાળા દોઆબામાં સૌથી વધારે દલિત સીટો છે. 25 સીટવાળા માઝામાં શીખ સીટો વધારે છે. આ ઉપરાંત પંજાબમાં શીખ સમુદાયની વસતિ અંદાજે 58 ટકા છે. આ સમુદાયને ધ્યાનમાં રાખીને જ ગઈ 17 મી નવેમ્બરે સરકારે કરતારપુર કોરિડોર ફરી ખોલવાનો નિર્ણય કર્યો હતો એવી શક્યતા રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. બીજી બાજુ, અત્યારસુધી કોંગ્રેસમાંથી પંજાબના સીએમ રહેલા અમરિંદરે પણ બીજેપીનો હાથ પકડી લીધો છે. પંજાબના ખેડૂતો પણ કૃષિ કાયદાથી ઘણા નારાજ હતા, પરંતુ હવે પંજાબમાં બીજેપીને સીએમના ચહેરા તરીકે કેપ્ટન અમરિંદરસિંહને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરી શકે છે અને આ નિર્ણયથી ખેડૂતો ઉપરાંત અન્ય મતદારોનો સહકાર પણ મળી જશે. ઉલ્લેખનીય છે કે ગઈ ચૂંટણીમાં કેપ્ટન અમરિંદરસિંહ પોતાના બળ ઉપર જીત્યા હતા. પરિણામે, પંજાબમાં કોંગ્રેસની 77 સીટ હવે સરળતાથી કોંગ્રેસને મળી જાય નહીં એવી ગેમ ગોઠવાઈ રહી છે. મોદી સરકારના કૃષિ કાયદા પરત લેવાના નિર્ણયથી પંજાબની ચૂંટણી જંગ જે પહેલા કોંગ્રેસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો લાગતો હતો તે હવે ભાજપ અને કેપ્ટન અમરિંદરસિંહ મજબૂત બનતા પંચકોણીય જંગમાં ફેરવાઈ ગયો છે જે ભાજપ અને કેપ્ટન અમરિંદરસિંહ માટે ફાયદાકારક સાબિત થશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *