– ઉત્તમ કવયિત્રી હતા સરોજિની નાયડુ
– મહિલા સશક્તિકરણના પ્રણેતા
– મહાન સ્વતંત્રતા સેનાની
– હિમાદ્રી આચાર્ય દવે
આજે વિશ્વમાં ચોતરફ મહિલા સશક્તિકરણની લહેર ચાલી રહી છે. પરંતું ભારતીય સમાજમાં જ્યારે મહિલા સશક્તિકરણ શબ્દની વ્યાખ્યા પણ કોઈ જાણતું ન હતું ત્યારે પણ ઘણા નારીરત્નોએ, સશક્ત મહિલાઓએ પોતાના અનોખા અને આગવા અને વળી સમાજોપયોગી કાર્ય દ્વારા ઇતિહાસમાં નામ નોંધાવ્યું છે. આપણી આઝાદીની લડાઈમાં ઘણી ભારતીય મહિલાઓએ યોગદાન આપીને સાબિત કર્યું કે તેઓ પણ આ સમાજનો એક મજબૂત હિસ્સો છે. ‘ભારત કોકિલા’ સરોજિની આવા જ એક મહિલા વિશેષ હતા જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં તેમજ મહિલા ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ભારતીય શિક્ષા ક્ષેત્રે સુધારાવાદી તેમજ સમાજસુધારક અઘોરનાથ ચટ્ટોપાધ્યાય, કે જેઓ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરનાર પહેલા ભારતીય તેમજ હૈદરાબાદ સ્થિત નિઝામ કોલેજના તેઓ પ્રથમ પ્રિન્સિપાલ હતા. અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના પત્ની એટલે બાંગ્લાના વિખ્યાત કવયિત્રી બરદા સુંદરી દેવી. આ અતિ પ્રતિભાશાળી દંપતીને ત્યાં જન્મેલા સરોજિની નાયડુ…!
નાનપણથી જ ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર સરોજિની નાયડુ માત્ર બાર વર્ષની ઉંમરે એ 12મા ધોરણની પરીક્ષામાં ખૂબ જ ઓછા ગુણ સાથે ઉત્તીર્ણ થયા. વિજ્ઞાનના વિદ્યાર્થીનીની પ્રતિભા જોઈને, નિઝામ ખૂબ જ પ્રભાવિત થયા અને સરોજિનીએ હૈદરાબાદના નીઝામની છાત્રવૃત્તિ મેળવી. આ અંતર્ગત સરોજીનીને લંડનની કિંગ્સ કોલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજની ગીરટન કોલેજમાં ઊચ્ચ અભ્યાસનો મોકો મળ્યો.
શિક્ષાવિદ, રસાયણશાસ્ત્રી પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રી પણ વૈજ્ઞાનિક બને, પરંતુ કવિહ્રદયા સરોજિની કશુંક બીજું જ કરવાની ધૂનમાં રહેતા. સરોજિની નાયડુને કવિતાઓ સાથે ગાઢ પ્રેમ હતો અને કવિતા સાથેનો તેમનો નાતો, આ પ્રેમ હંમેશા હંમેશા રહ્યો. આ ઉપરાંત ગુલામ ભારતને આઝાદ કરવાની લડત, ચળવળ, દેશની પરિસ્થિતિ જોઈને તેઓ આઝાદી માટે લડવા પ્રેરાયા. આમ, સરોજિની નાયડુ ભારતના પ્રખ્યાત કવયિત્રી અને ભારતના શ્રેષ્ઠ રાષ્ટ્રીય નેતાઓમાંના એક બની રહ્યા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ હંમેશા આગળ પડતો ભાગ ભજવ્યો.
કવિતાઓ લખવામાં સરોજીનીની પ્રખર કુશળતા હતી. તેમણે પ્રેમ, દેશભક્તિ અને સહિતના અનેક વિષયો પર ઘણી કવિતાઓ લખી છે. સરોજિની જ્યારે શાળામાં હતા ત્યારે તેણે ‘મહેર મુનીર’ નામનું પર્શિયન નાટક લખ્યું હતું. તે એટલું સરસ લખાયું હતું કે હૈદરાબાદના સમકાલીન નિઝામે આ નાટકની ભરપેટ પ્રશંસા કરી હતી.માત્ર 13 વર્ષની ઉંમરે 1300 પંક્તિઓની ‘ધ ક્વીન ઓફ ધ લેક'(જીલ કી રાની) નામની લાંબી કવિતા અને વિસ્તૃત નાટક લખીને અંગ્રેજી ભાષા પરની તેમની પકડનું ઉદાહરણ આપ્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’ (1905) માં પ્રકાશિત થયો હતો, જે આજે પણ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘ધ બર્ડ ઑફ ટાઈમઃ સોંગ્સ ઑફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ’ 1912માં પ્રકાશિત થયો. આ પુસ્તકમાં તેમના દ્વારા લખાયેલી સૌથી લોકપ્રિય કવિતાઓ છે. સાહિત્ય અને કવિતાના જીવ સરોજિની અંગ્રેજી ભાષાનું વધુ ને વધુ જ્ઞાન મેળવવા ઈંગ્લેન્ડ ગયા હતા, પરંતુ ત્યાંનું પ્રતિકૂળ હવામાન અનુકુળ ન આવવાને કારણે તેઓ ભારત પરત થયા હતા. સરોજિની નાયડુને શબ્દોના જાદુગરણી કહેવાતા. તેમના જીવનકાળ દરમિયાન ઘણી કવિતાઓમાની એક, તેમની એક અમર કૃતિ ‘ઇન ધ બઝાર્સ ઑફ હૈદરાબાદ’માં તેમણે પોતાના શબ્દો વડે બજારની સુંદર છબી ઉપસાવી છે. તો બીજી તરફ, કવિતા ફકત તેમના શોખનો વિષય જ ન બની રહ્યો પણ તેમણે તેમની જુસ્સાદાર કવિતાઓ દ્વારા લોકોમાં દેશભક્તિની લાગણી જગાડી. તેમની હાસ્ય કવિતાઓનું પણ ભારતીય સાહિત્યમાં ઘણું મહત્વ છે.તેઓ બહુભાષી હતી. જે પ્રદેશમાં હોય તે પ્રમાણે તેઓ અંગ્રેજી, હિન્દી, બાંગ્લા કે ગુજરાતી ભાષામાં ભાષણ આપીને લોકોને મંત્રમગ્ધ કરી દેતા. ખૂબ જ મધુર સ્વરમાં પોતાની કવિતાનું પઠન કરનાર સરોજિનીને ‘ભારત કોકિલા’નું બિરુદ મળ્યું હતું. જો કે, જલિયાવાલા બાગના હત્યાકાંડથી દુઃખી થઈને તેમણે વર્ષ 1919માં કવિતા લખવાનું બંધ કરી દીધું.
સરોજિની નાયડુ ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ ડૉ. ગોવિંદરાજુલુ નાયડુ સાથે તેમના લગ્ન થયા. ડૉ. ગોવિંદ રાજુલુ લશ્કરી ડૉક્ટર હતા જેમણે લગ્નનાં ત્રણ વર્ષ પહેલાં સરોજિનીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પહેલા તો સરોજિનીના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા પરંતુ બાદમાં આ સંબંધ નક્કી થઈ ગયો. સરોજિની નાયડુએ હૈદરાબાદમાં તેમના સુખી લગ્ન જીવનની શરૂઆત કરી. તેણીએ ખૂબ પ્રેમથી ડૉ. નાયડુની સંભાળ રાખી. તેમણે પોતાના ચાર સંતાનોને સ્નેહ અને પ્રેમથી ઉછેર્યા. તેમના હૈદરાબાદના ઘરમાં હંમેશા હાસ્ય, પ્રેમ અને કિલ્લોલનું વાતાવરણ રહેતું.
શિક્ષણ અને જ્ઞાનપીપાસુ પરિવારમાં મળેલા ખૂબ જ સકારાત્મક વાતાવરણના કારણે તેમનું ચિંતન હમેશાં પ્રગતિશીલ વિચારો અને ઉચ્ચ મૂલ્યો પરત્વે રહેતું. આ જ્ઞાન સંસ્કારને કારણે તેઓ ફકત એક ઉમદા સર્જક જ પરંતુ ઉમદા વ્યક્તિ કે જે, માનવતામાં માનતી હોય એવું, તેમનું ઉમદા વ્યક્તિત્વ નિખર્યું હતું. બધા માટે સમાનતા અને ન્યાયમાં માનનારા સરોજીનીએ, જ્યારે બ્રિટિશ સરકારે રાજ્યનું વિભાજન કરીને બંગાળમાં આઝાદીની ચળવળને રોકવા માટે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ લાગુ કરી, ત્યારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી હતી. તેમણે રાજકીય કાર્યકર તરીકે ઘણી જગ્યાએ આ બાબતે જનતાને જાગૃત કરવા તેજાબી અને મુદ્દાસરના ભાષણ આપવાનું શરૂ કર્યું. આ દ્વારા તેમણે બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના જુલમ સામે સમકાલીન ભારતના તમામ વતનીઓને એક કરવા પ્રયત્ન કર્યા. તેમના તમામ ભાષણો રાષ્ટ્રવાદ અને સમાજ કલ્યાણ પર કેન્દ્રિત રહેતા. આ લડાઇમાં મહિલાઓ વધુને વધુ રસ લે એ માટે તેમણે 1917માં મહિલા ભારતીય સંઘની રચના કરી.
1905માં આઝાદીની લડત પ્રત્યે સભાન થયેલા અને ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજનૈતિક ગુરુ માનનારા સરોજિની નાયડુ 1914માં લંડનમાં પ્રથમવાર ગાંધીજીને મળ્યા. આ પછી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી સાથે અગ્રેસર રહેનારા રહેનારાઓમાં સરોજિની નાયડુ પણ હતા. તેમણે જીવનભર ગાંધીજીના વિચારો અને માર્ગનું અનુસરણ કર્યું. આઝાદીના વિવિધ સંગ્રામોમાં બ્રિટિશ પોલીસે સરોજિની નાયડુ અને કેટલાક દેખાવકારોની ધરપકડ કરી હતી. તેઓ સવિનય આજ્ઞાભંગ ચળવળ અને ભારત છોડો ચળવળનું નેતૃત્વ કરવામાં અગ્રેસર રહ્યા હતા.જેમાં ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ પણ પ્રવૃત્ત હતા. ઇતિહાસ સાક્ષી છે કે આ બંને આંદોલનોએ બ્રિટિશ શાસનના સ્તંભોને હચમચાવી દીધા.
ભારતને આઝાદી મળ્યા પછી, તેઓ સંયુક્ત પ્રાંતના પ્રથમ ગવર્નર તરીકે નિયુક્ત થયા. આમ, તેઓ ભારતના પ્રથમ મહિલા ગવર્નર બન્યા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો તેમનું મહત્ત્વનું યોગદાન હતું એટલું જ નહીં, તેમણે ભારતીય સમાજમાં જાતિવાદ અને લિંગ-ભેદને નાબૂદ કરવા માટે ઘણા કાર્યો કર્યા હતા .વર્ષ 1928માં, સરોજિની નાયડુને, ભારતમાં પ્લેગ રોગચાળા દરમિયાન તેમના સેવાકીય કાર્ય માટે બ્રિટિશ સરકાર દ્વારા ‘કૈસર-એ-હિંદ’ પુરસ્કાર આપવામાં આવ્યો.
2 માર્ચ 1949ના રોજ હ્રદયરોગના તીવ્ર હુમલાને કારણે લખનૌ ખાતે સરોજિનીનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી તેમની પુત્રીએ તેમની યાદમાં સરોજિની નાયડુનું છેલ્લું પુસ્તક ‘ધ ફેધર ઓફ ધ ડોન’ પ્રકાશિત કર્યું.
મહિલાઓના અધિકારો સ્થાપિત કરવાની તેમની અદમ્ય ભાવના અને એ ક્ષેત્રે તેમના અજોડ યોગદાન વિશ્વ હંમેશા યાદ રાખશે. ભારતમાં મહિલાઓના વિકાસ માટે સરોજિની નાયડુ દ્વારા કરવામાં આવેલા કાર્યોને માન્યતા તેમજ આદર આપવા હેતુ તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ જાહેર કરવા અંગે ભારતીય મહિલા સંઘ અને અખિલ ભારતીય મહિલા પરિષદના સભ્યો દ્વારા આ દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સ્વીકારીને આ દિવસને ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે, જેની શરૂઆત સૌપ્રથમ વર્ષ 2014માં 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે.
– હિમાદ્રી આચાર્ય દવે