- ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના 8 નવા ધારાસભ્ય ચુંટાયા
- નવા ચુંટાયેલા ધારાસભ્યોના આજે શપથગ્રહણ
- આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં લેશે શપથ
ભાજપના નવા ચુંટાયેલા ધારાસભ્યોનો આજે શપથવિધિ
ગુજરાતની 8 બેઠકોની પેટા ચુંટણીમાં જીતેલા ભાજપના 8 ધારાસભ્યોનો આજે વિજય મુહૂર્તમાં શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપના પ્રવકતા પંકજ દેસાઈએ માહિતી આપી કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે.
કોણ કોણ રહેશે આજના શપથવિધિ સમારોહમાં ?
વિધાનસભા સંકુલના ચોથા માળે આજે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાનારા ભાજપના નવા ચુંટાયેલા ધારાસભ્યોના શપથવિધિ સમારોહમાં મર્યાદિત લોકો ઉપસ્થિત રહેશે. આજના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં નવા ચુંટાયેલા 8 ધારાસભ્યો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજ્ય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહેશે.
ભાજપની સભ્ય સંખ્યા વધીને 111 થશે
તાજેતરમાં જ ગુજરાતમાં થયેલી 8 વિધાનસભા બેઠકોની ચુંટણીમાં ભાજપે આઠે આઠ બેઠકો જીતીને કોંગ્રસના સૂપડા સાફ કરી નાખ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપનો આઠેય બેઠકો ઉપર વિજય થતા ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી છે. 182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 111 થશે જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસની સભ્ય સંખ્યા 65 થઈ જશે.