ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 94
– કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 94
મુસ્લિમ લીગે સળગાવેલી હિંસાની આગમાં લાખો લોકોની કતલ થઇ
– ‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડહિન્દુસ (1947)’ પુસ્તકમાં આપેલી માહિતીને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. પૃષ્ઠ 259 થી 453 સુધી લગભગ 200 પાનાની સામગ્રી ભાગલા સમયે પંજાબના દરેક જિલ્લા, નગર, અહીં સુધી કે નાના-નાના ગામડાઓમાં પણ હિન્દુઓ અને શીખો પર મુસ્લિમ લીગના નેતૃત્વમાં થયેલા હુમલા, ભયાનક અત્યાચાર તથા ભીષણ નરસંહારની કાળજુ કંપાવનારી કથા, એ ઘટનાઓનો ભોગ બનેલાઓના શબ્દોમાં, અખબારોમાં સમાચારો તથા સરકારી દસ્તાવેજોના માધ્યમથી રજૂ કરે છે.
ભાગલા પછી સરહદની રેખા જાહેર થતા જ ભયાનક બર્બર નરસંહાર સર્જાવાનો જ હતો. પરંતુ સૌથી દુ:ખની વાત તો એ છે આપણા નેતા આવનારી આવી ભયાનક વિનાશલીલા તરફ તદ્દન ઉદાસીન રહ્યા. તેને જ્યારે એની ભીષણ આગની ઝાળ લાગી ત્યારે જ તે ચેત્યા. કાશ, તમેણે આટલું મોડું ન કર્યું હોત ! સંકટ ખૂબ ભયાનક અને મોટું હતું. પં. નહેરુ વિમાન દ્વારા પંજાબ ગયા. તેમણે ત્યાં થોડાક તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે ત્યાં જે હૃદયદ્રાવક અને કરુણ દ્રશ્યો જોયાં તે જોઈને તે દિગ્મૂઢ બની ગયા. પહેલી વખત તેમને ખબર પડી કે ક્રૂરતા કોને કહેવાય? લાખો –કરોડો દેશવાસીઓ માટે ભાગલા કેટલા મોંઘા પડ્યા હતા ! પાશવી પીડા અને કષ્ટ એ લોકોએ સહન કર્યું હતું. કૉંગ્રેસી નેતાઓની નજર સામે લોહીની હોળી રમાઈ. મોપલા વિદ્રોહથી શરૂ થયેલી હોળીએ આખા દેશને લપેટમાં લઈ લીધો હતો. કલકત્તા અને નોઆખલીમાં હજુ પણ ‘જેહાદ’ની લોહિયાળ જ્વાળા ઊઠી રહી હતી. પંજાબમાં રાવળપિંડી અને પશ્ચિમોત્તર સરહદ પ્રાંતના અનેક સ્થળો પર આગ ભડકી હતી.
લોકોની અદલાબદલીના મહંમદઅલી ઝીણાના આદેશને ઠોકર મારીને કોન્ગ્રેસના નેતા પાકિસ્તાની ક્ષેત્રના હિન્દુઓને ઉપદેશ આપતા રહ્યા કે લોકો જ્યાં છે, ત્યાં જ રહે. બીજી તરફ વિનાશનો રાક્ષસ એની આગ ઝરતાં આંખો વડે તેમની સામે ડોળા કાઢી રહ્યો હતો. ગાંધીજીએ હિન્દુઓને ધીરજ અને અહિંસાથી સ્થિતિનો સામનો કરવાનો ઉપદેશ આપ્યો અને જરૂર પડે તો પોતાના પ્રાણ આપીને પણ અહિંસા અને શાંતિ જેવા મૂલ્યોનું રક્ષણ કરવા આહવાન કર્યું, પરંતુ ભયાનક હત્યાકાંડના તોફાનમાં ફસાએલા સામાન્ય હિન્દુઓ નેતાઓના કહેવાતા ‘ઉચ્ચ આદર્શો’નું પાલન ન કરી શક્યા અને પોતાનાં ઘરબાર છોડીને ભાગવા લાગ્યા. થોડાં રડ્યાં –ખડ્યાં માનવ પિંજરોનાં ઝુંડે ઝુંડ સલામત જગ્યા શોધવા ફાંફાં મારવા લાગ્યાં. આ લોકો એમના પ્રિયજનોને ખોઈ ચૂક્યા હતા. પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂક્યા હતા.
કૃપલાણીએ લખ્યું છે :
‘ગાંધીજી અને અન્ય નેતાઓ ઈચ્છતા હતા કે પ્રજાની અદલાબદલી ન થાય, પરંતુ આ નવા તોફાનોના કારણે પંજાબ, સરહદ પ્રાંત અને સિંધમાં તેની મેળે જ વસ્તીની અદલાબદલી થઈ ગઈ. દુર્ભાગ્યે આપણે તેનું પૂર્વ અનુમાન નહોતા લગાવી શક્યા. ભારતમાં આ સ્થળો પરના હિન્દુ શરણાર્થીઓનું પૂર આવ્યું હતું. રસ્તામાં તેમને લૂંટ્યા, માર્યા. ભારતથી પાકિસ્તાન જનાર મુસલમાનોએ પણ આવી જ બર્બરતાનો શિકાર બનવું પડ્યું.’ (આચાર્ય કૃપલાણી : ગાંધી, પૃષ્ઠ: 291)
ગાંધીજી હિંસાની આગમાં લપેટાયેલા પંજાબ જવા માંગતા હતા પરંતુ વાતાવરણ એટલું ખળભળાટભર્યું હતું કે પં. નહેરું અને સરદાર પટેલે ગાંધીજીને પંજાબ જતા રોક્યા. કારણ કે ક્યાંક ગાંધીજી ભારત આવી રહેલા શરણાર્થીઓના ગુસ્સાનો શિકાર ન બને એવો બંનેને ભય હતો.
ભારતીય લશ્કરના સેનાપતિ સર કલાડ આચેનલેકની ભૂમિકા વિશે ‘ઈન્ડિયન ન્યૂઝ ક્રાનિકલ’ના તત્કાલીન તંત્રી જે. એન. સાહનીએ લખ્યું છે : ‘મુસ્લિમ લીગના પ્રભાવમાં આવ્યા પહેલાં તેમનું ખૂબ સન્માન હતું. તે એક મહાન સૈનિક અને સેનાપતિ ગણાતા હતા. એક નજીકના રાજ્યના મુસ્લિમ અધિકરીનો પુત્ર તેમનો અત્યંત મહત્વનો જનરલ સહાયક હતો. એક મુસ્લિમ લશ્કરી અધિકારી, જે પાછળથી પાકિસ્તાનમાં મહત્વનો જનરલ બન્યો અને કાશ્મીરમાં પ્રથમ આક્રમણનું નેતૃત્વ લીધું હતું તે તેમનો મુખ્ય સૈનિક સહાયક હતો.’
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ અને ‘ઈન્ડિયન ન્યૂઝ ક્રાનિકલ’ – બંને દૈનિક પત્રોએ સરહદ દળના અને ખાસ કરીને આચેનલેકની ભારત વિરોધી ભૂમિકાનાં છોતરાં ઉખાડી નાખ્યાં હતાં. એક દિવસ સાહની અને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ ના તંત્રી દેવદાસ ગાંધીને માઉન્ટબેટને બોલાવ્યા. સાહનીએ કહ્યું છે : ‘જેવો અમે પ્રવેશ કર્યો, વાઈસરૉય ખૂબ જ ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું… તેમણે મારા અખબાર અને હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રગટ થયેલા સમાચારોનો ઉલ્લેખ કર્યો. સમાચારોનો સંબંધ સરહદ – દળની પૂર્વગ્રહિત ભૂમિકા, બલૂચ રેજિમેન્ટના અત્યાચારો, સંયુક્ત સેનાપતિ તરીકે આચેનલેકની નિષ્ફળતા અને સેનાપતિના ઘરના ભયાનક વાતાવરણ અંગે હતો. અમે કંઈ કહીએ તે પહેલાં જ તેમણે તોળી તોળીને, ગોખી રાખેલું ભાષણ આપી દીધું : ‘હવે હું તમને સૂચના આપી દઉં કે વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન પાસેથી મેં પરવાનગી મેળવી લીધી છે. તમે કરી રહ્યા છો એ હીન પ્રચાર બંધ થઈ જશે તેવું તમે મને સંતોષકારક આશ્વાસન આપો, નહીં તો તમારી ધરપકડ કરીશ.’ અમે માઉન્ટબેટનને કહ્યું કે …અમે જે કંઈ લખ્યું છે, તે દ્વેષરહિત છે. અમે તો લોકહિત પ્રત્યે અમારી કર્તવ્યભાવનાના લીધે આમ કર્યું છે. અમે બંનેએ માઉન્ટબેટન આગળ પ્રામાણિક પુરાવાઓનો પટારો ખોલીને મૂકી દીધી અને સાબિત કરી દીધું કે સત્ય તો વધારે ગંભીર અને કડવું છે, સમાચારોમાં તો તેનો અંશ માત્ર જ છપાયો છે.’ (જે. એન. સાહની : ધ લિડ ઓફ, પૃષ્ઠ: 211-212)
તે દિવસોના દિલ્હીના તંગ વાતાવરણની સ્થિતિનું વર્ણન આચાર્ય કૃપલાણીએ આ પ્રકારે કર્યું છે : ‘ભાગલા થતાં જ દિલ્હીનું વાતાવરણ તંગ બની ગયું. હજારોની સંખ્યામાં શરણાર્થીઓનાં ધાડેધાડાં પશ્ચિમ પંજાબથી ત્યાં આવતાં હતાં. પાકિસ્તાનમાં તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. તેમના પર ભયાનક અત્યાચાર થયા હતા. તેમનાં દુઃખડાં તે રડતા હતા. સેંકડો ગામડાં નષ્ટ કરી નાખવામાં આવ્યાં. મહિલાઓની આબરૂ લૂંટવામાં આવી. તેમનાં અપહરણ કરવામાં આવ્યાં અને ‘લૂંટેલા માલ’ ની માફક તેમના ભાગલા થયા. ક્યાંક – ક્યાંક તો તેમને ભરબજારે વેચવામાં આવી. દૂધ પીતાં બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. તેમને ભાલા વડે વીંધી નાખવામાં આવ્યાં. સઘવાઓ વિધવા બની ગઈ હતી. પતિ તેમની પત્ની ખોઈ ચૂક્યા હતા અને બાળકો અનાથ બની ગયાં હતાં. ધર્માન્તરની તો ગણતરી કરી શકાય તેમ નથી. આગ અને લૂંટફાટનું ઘોડાપૂર આવ્યું હતું. રસ્તામાં શરણાર્થીઓનાં ટોળા અને તેમની રેલગાડીઓ પર આક્રમણ થયાં. હજારો મરાયા અને લાખો ઘાયલ અવસ્થામાં દિલ્હી પહોંચ્યા. ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં તોફાનોને કારણે જે મુસલમાન ભયભીત થઈને પાકિસ્તાન ભાગી ગયા તેમની સ્થિતિ પણ ખરાબ થઈ. ઈતિહાસમાં પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. દિલ્હીમાં અત્યંત ભયંકર સ્થિતિ પેદા થઈ ગઈ. દિલ્હી શરણાર્થીઓથી ઊભરાઈ ગયું હતું. ત્યાં દર ચોથી વ્યક્તિ પાકિસ્તાનથી આવનાર હિન્દુ કે શીખ શરણાર્થી હતો. તેમનો આક્રોશ મુસલમાનો અને કૉંગ્રેસ – બંને પર હતો કારણ કે મુસલમાન દેશના ભાગલા કરવાના મૂડમાં હતા અને કૉંગ્રેસે ભાગલા સ્વીકાર્યા હતા.
ભાગલા સમયની ઐતિહાસિક બર્બરતા અને સૌથી વિશ્વસનીય હકિકતો લગભગ બહાર આવી નથી. પરંતુ આ દિશામાં એક સાહસિક અને અભિનંદનીય પ્રયત્ન ભાગલા પછી તરત જ થયો હતો. ‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડહિન્દુસ (1947)’ શીર્ષક હેઠળ 453 પાનાનો એક દળદાર ગ્રંથ 1950 (પ્રકાશક : વૉઇસ ઑફ ઇન્ડિયા, 2/18 અંસારી રોડ, નવી દિલ્હી) માં શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી -અમૃતસરે પ્રગટ કર્યો હતો. તેનું સંકલન સુપ્રસિદ્ધ શીખ વિદ્વાન સ્વ. સ. ગુરવચનસિંહ તાલિબે કર્યું હતું. આ ગુરવચનસિંહ તે વખતે જલંધરના લાયલપુર ખાલસા વિશ્વ વિદ્યાલયના આચાર્ય હતા. તાલિબે ગુરુ ગ્રંથ સાહિબના અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે. આ અનુવાદ પંજાબ યુનિવર્સિટી (પટિયાળા) એ પાંચ ખંડોમાં પ્રકાશિત કર્યો છે. આ પાંચેય ખંડો ખૂબ જ ખ્યાતિ પામ્યા છે પરંતુ તેમના અમૂલ્ય ઐતિહાસિક ગ્રંથ ‘મુસ્લિમ લીગ એટેક ઓન શીખસ્ એન્ડ હિન્દુસ’ ને ખૂબ જ ઇરાદાપૂર્વક ભૂલાવી દેવામાં આવ્યો. ભાગલા તરફ દોરી જનારી ઘટનાઓ, તે વખતના હૃદય હચમચાવી નાખે તેવાં દ્રશ્યો, હિંસા અને ભયના વાતાવરણનો આંખે દેખ્યો પ્રત્યક્ષ અહેવાલ વાંચવો હોય તો કદાચ એક માત્ર પુસ્તકમાં મળી શકે છે. આ પુસ્તકના શીર્ષક પરથી એમ લાગે કે તેમાં માત્ર પંજાબની ઘટના પર જ ધ્યાન કેન્દ્રિત છે પરંતુ તેમાં સિંઘ, ઉત્તર-પશ્ચિમ સરહદ પ્રાંત, બલુચિસ્તાન અને બંગાળની સ્થિતિ પર પણ પૂરતો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં આપેલી માહિતીને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. પૃષ્ઠ 259 થી 453 સુધી લગભગ 200 પાનાની સામગ્રી ભાગલા સમયે પંજાબના દરેક જિલ્લા, નગર, અહીં સુધી કે નાનાં-નાનાં ગામડાંઓમાં પણ હિન્દુઓ અને શીખો પર મુસ્લિમ લીગના નેતૃત્વમાં થયેલા હુમલા, ભયાનક અત્યાચાર તથા ભીષણ નરસંહારની કાળજુ કંપાવનારી કથા, એ ઘટનાઓનો ભોગ બનેલાઓના શબ્દોમાં, અખબારોમાં સમાચારો તથા સરકારી દસ્તાવેજોના માધ્યમથી રજૂ કરે છે. પૃષ્ઠ 358 થી 453 સુધી લગભગ 100 પાના પર આક્રમણની 600 ઘટનાઓની એક લાંબી યાદી આપેલી છે. તેમાં દરેક ઘટનાનું સ્થળ, જિલ્લો, તારીખ,આક્રમણકારીઓ કોણ હતા અને આક્રમણકારીઓએ કરેલા અત્યાચારોની માહિતી આપી છે. વિશાળ ક્ષેત્રમાં ઘટેલી સેંકડો ઘટનાઓની પ્રામાણિક તથા પુરાવા સહિત માહિતી એકઠી કરવી એકાદ વ્યક્તિનું કામ નથી, એટલા માટે આ પુ્સ્તકને દુર્લભ ઐતિહાસિક દસ્તાવેજોની શ્રેણીમાં મૂકી શકાય તેવું છે. વિદ્વાન સંકલનકર્તાની દ્રષ્ટિએ આક્રમણો અને અત્યાચારોની ઘટનાઓનું આ સંકલન પૂર્ણ અને અંતિમ નથી. આ પુસ્તકતો તે સમયનો એક અત્યંત નાનકડો અંશ માત્ર છે. તે વખતના વાતાવરણ અને સ્થિતિની ઝલક આપવાનો નાનકડો પ્રયાસ છે. આ ઘટનાઓને વાંચતી વખતે રડવું આવે છે. ગુસ્સો ચઢે છે. તો બીજી તરફ મોતના મુખમાં ફસાયેલા નિઃસહાય હિન્દુ-શીખ પુરુષો અને સ્ત્રીઓના વીરતાપૂર્ણ બલિદાનોનાં દ્રશ્યો જોઈને મસ્તક ગર્વથી ઊંચું થઇ જાય છે.
|: ક્રમશ:|
©️kishormakwana