• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 73
• મહંમદઅલી ઝીણાની અક્ડતા અને ગાંધીજીના વ્યક્તિત્વનો સૂર્યાસ્ત…
- કૉંગ્રેસના ભાગે આવતા 5 માંથી 2 હિન્દુ, 1 મુસ્લિમ, 1 ઈસાઈ અને 1 પારસી હતા. અંતિમ સ્થિતિ આ પ્રકારે હતી : 14 સભ્યોની ટોળીમાં 7 મુસલમાન હતા. 2 સવર્ણ હિન્દુઓ, અનુસૂચિત જાતિના 2, 1 શીખ, 1 ઈસાઈ અને 1 પારસી હતા. અંગ્રેજોએ બીછાવેલી ‘ભાગલા પાડો જાળ’માં પ્રસ્તાવિત વચગાળાની સરકારનું આવું ‘અદ્દભુત સાંપ્રદાયિક’ જોડાણ હતું
- ભૂલાભાઇ દેસાઇએ ગાંધીજીની સહમતિ પછી જ સમજૂતિ માટે આગળ વધ્યા હતા. પરંતુ જેવા કોંગ્રેસના નેતા જેલમાંથી મુક્ત થઇને બહાર આવ્યા એ સાથે જ કોંગ્રેસમાં તોફાન મચી ગયું. ભૂલાભાઇ પર ગાંધીજીની પીઠ પાછળ કારસ્તાન કરવાનો અને કોંગ્રેસને દગો દેવાનો આરોપ મૂકવામાં આવ્યો. આ આરોપ કોન્ગ્રેસના ટોચના નેતાઓ દ્વારા પ્રજા અને પ્રેસમાં લગાવવામાં આવ્યો હતો.
- અહીં એક વાત કરવી જરુરી છે કે 1944 પછી કોન્ગ્રેસમાં ગાંધીજી ધીરે ધીરે પ્રભાવહિન બનતા જતા હતા. એનો સંકેત ખુદ ગાંધીજીએ વેવલને મોકલેલા તારમાં દેખાય છે. સિમલા સંમેલનનું નિમંત્રણ વેવલ દ્વારા મોકલેલું મળ્યું ત્યારે વાઇસરોય વેવલને જવાબમાં તાર મોકલ્યો કે ‘પોતે કોઇ પક્ષ કે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી અને 1934 પછી કોન્ગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી રહ્યા.’
ગાંધીજી જેવા મહાન વિરાટ વ્યક્તિત્વને વામણા-સંકુચિત અને કટ્ટરવાદી મહંમદઅલી ઝીણાની ચાલબાજી આગળ ઘૂંટણીએ પડતા જોયા ત્યારે લેકોને બહું મોટો આઘાત લાગ્યો. કૉંગ્રેસ પણ નિરાશા અને વિષાદથી મૂઢ બની ગઇ. જોકે આ તો હાથના કર્યા હૈયે વાગ્યા હતા, પણ પરિણામ સમગ્ર દેશને ભોગવવાનું હતું. મુસ્લિમ કટ્ટરવાદ આગળ હંમેશા ઝૂકી જવું એ કોંગ્રેસ અને એના નેતાઓની માનસિકતા રહી છે.
ગાંધી-ઝીણા વાટાઘાટો પડી ભાગી ત્યારે ગાંધીજીના વિશ્વાસપાત્ર અને કેન્દ્રીય ધારાસભાના કૉંગ્રેસી નેતા ભુલાભાઈ દેસાઈએ તૂટેલા દોરને ‘સગવડી’ ગાંઠથી જોડવાનો પ્રયત્ન કર્યો. 1945નું વર્ષ હજી શરૂ થયું હતું. ગાંધીજીને બાદ કરતાં બીજા બધા ટોચના કૉંગ્રેસી નેતાઓ હજી જેલમાં જ હતા. ભૂલાાભાઇ દેસાઈએ મુસ્લિમ લીગના ધારાસભા પક્ષના નેતા લિયાકત અલીખાં સાથે વાતચીત શરુ કરી. ભૂલાાભાઇ દેસાઈની યોજનામાં ગાંધીજીએ સ્વીકારેલી સુવિધાઓને મસાલો જ હતો, એ ઉપરાંત કેન્દ્રીય ધારાસભામાં કૉંગ્રેસ અને લીગની સ્થિતિ અંગે એક તદ્દન નવીન ‘સમતા’ની સંકલ્પના હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની 3/4 જનતાનું પ્રતિનિધિત્વ કરનાર કૉંગ્રેસની બરાબર 1/4 ભાગનું પ્રતિનિધિત્વ કરતી મુસ્લિમ લીગ છે. કેવું ચૌપટ ગણિત ! ઘોર અનર્થ ! ટકે શેર ભાજી, ટકે શેર ખાજા ! સમતાનો અદ્દભુત કેવો ધર્મકાંટો ! આ સિદ્ધાંત તો વચગાળાની સરકાર રચાયા પછી પણ ચાલુ રહેવાનો હતો. ભૂલાાભાઇ દેસાઈએ કહ્યું કે એમની યોજનાને ગાંધીજીના આશીર્વાદ હતા. હતું પણ એવું. ગાંધીજીએ પાછળથી ૧૫ જૂન 1945ના રોજ એક નિવેદન આપી સ્વીકાર્યું હતું કે એમણે અનુમોદન આપ્યું હતું. મહંમદઅલી ઝીણાએ આ પ્રસ્તાવને જોયો પણ નહિ; કારણ કે એમાં સ્પષ્ટપણે પાકિસ્તાનના સ્વાધીન રાજ્યની મૂળ માગણીને સ્વીકારવામાં આવી નહોતી. આ વખતે આ યોજનાને તોડવા માટે ઝીણાએ એક નવી યુક્તિ શોધી કાઢી. એમણે કેવળ એટલું જ કહ્યું કે એમને આ વિશે કોઇ પણ માહિતી નથી. આથી એમનો એની સાથે કોઈ સંબંધ નથી.
ભૂલાભાઈ –લિયાકત અલી સમજૂતીનું ભોંયભેગી થઈ ગઈ, પણ એનાથી મુસ્લિમ લીગનો સ્વાર્થ સધાઈ ગયો.
ભૂલાભાઇ દેસાઇએ ગાંધીજીની સહમતિ પછી જ સમજૂતિ માટે આગળ વધ્યા હતા. પરંતુ જેવા કોંગ્રેસના નેતા જેલમાંથી મુક્ત થઇને બહાર આવ્યા એ સાથે જ કોન્ગ્રેસમાં તોફાન મચી ગયું. ભૂલાભાઇ પર ગાંધીજીની પીઠ પાછળ કારસ્તાન કરવાનો અને કોન્ગ્રેસને દગો દેવાનો આરોપ મૂકવામાં આવ્યો. આ આરોપ કોન્ગ્રેસના ટોચના નેતાઓ દ્વારા પ્રજા અને પ્રેસમાં લગાવવામાં આવ્યો હતો. અંતે ગાંધીજીએ નિવેદન આપવું પડ્યું કે ‘ ભૂલાભાઇએ એમની સલાહ લીધા પછી જ એમણે લિયાકત સાથે સમજૂતિ માટે પ્રયત્નો કર્યા હતા.’ છતાં કોન્ગ્રેસના નેતાઓનો ગુસ્સો શાંત ન થયો અને પાર્ટી વિરુદ્ધ કામ કરવાના આરોપસર ભૂલાભાઇને કોન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ચૂંટણીની જાહેરાત થઇ, ત્યારે ભૂલાભાઈને ટિકિટ આપવામાં આવી હતી. એમની કોઈ વાત સાંભળવામાં આવી નહિ. એમણે કહ્યું કે, ગાંધીજીના આશીર્વાદ મળ્યા હતા તેમજ ગાંધીજીએ લેખિત સંમતિ આપી હતી તોય એમની વાત કાને ધરવામાં આવી નહિ. ભૂલાભાઈ કૉંગ્રેસના આજીવન નિષ્ઠાવાન સૈનિક અને ગાંધીજીના નજીકના સાથી રહ્યા હતા. એમને પોતાને ખૂબ મોટો આઘાત લાગ્યો. એમને એમના પક્ષના લોકોએ જ અપમાન અને અનાદરના ખાડામાં ધકેલી દીધા હતા. એમને આની અસહ્ય પીડા થઈ. એમને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યા. હૃદયરોગથી પીડાતા હતા, હવે એમને વારંવાર હૃદય રોગના હુમલા આવવા લાગ્યા. આખરે રુંધાઈને જર્જરિત બની તેઓ કાળના મોંમાં ચાલ્યા ગયા. એમનું નામ લેનારું કે એમને પાણી પાનારું કોઈ ન હતું. એમને કયો કોન્ગ્રેસી સન્માન આપે ! ભૂલાભાઈ સદાને માટે વિસ્મૃતિ ભૂલભુલામણીમાં ખોવાઈ ગયા.
‘દેસાઇ-લિયાકત સમજૂતિ’ કોન્ગ્રેસનું સમર્થન ન મળવાનો કારણે નિષ્ફળ ગઇ.
આગળ જતાં કૉંગ્રેસ – લીગ વચ્ચે વાટાઘાટો થઈ. એમાં એણે (લીગે) કૉંગ્રેસ પાસેથી મળેલી ‘સમતા’ ના આ નવ-સર્જિત અધિકારોની પૂંછડીને ખેંચી રાખી અને અંગ્રેજોએ પણ એમનાં બધાં ભાવિ ષડ્યંત્રો એમાં બરાબરના ઘૂસાડ્યાં. ઝીણા ભાગલા તરફ એકપછી એક ડગલું આગળ વધતા હતા ને કોન્ગ્રેસ એકપછી એક પગલું પાછળ હટતી ગઇ. જેમ જેમ વિકલ્પો ઓછા થતા ગતા તેમ તેમ નિર્ણાયક રમત વધુ જટિલ અને તનાવયુક્ત બનતી ગઇ.
એવામાં વાઇસરોય લિનલિથગોના ઉત્તરાધિકારી તરીકે ભારતના વાઇસરોય તરીકે ફિલ્ડ માર્શલ વેવલ આવ્યા.
‘સ્થિતિ સુધરે અને ભારત જવાબદારીભર્યા શાસનના માર્ગે આગળ વધી શકે’ એવા બહાના હેઠળ વાઈસરૉય વેવેલ એક નવી ચાલ ચાલ્યા. 25 જૂનના રોજ સિમલામાં વેવેલે એક રાજકીય સંમેલનનું આયોજન કર્યું અને એમાં ગાંધીજી, ઝીણા, કૉંગ્રેસ તથા લીગના કેટલાક અન્ય પ્રમુખ નેતાઓ, પ્રાંતોના મુખ્યમંત્રીઓ અને વિવિધ કેન્દ્રીય વિધાયક પક્ષોના 21 નેતાઓને આમંત્રણ આપ્યું.
અહીં એક વાત કરવી જરુરી છે કે 1944 પછી કોન્ગ્રેસમાં ગાંધીજી ધીરે ધીરે પ્રભાવહિન બનતા જતા હતા. એનો સંકેત ખુદ ગાંધીજીએ વેવલને મોકલેલા તારમાં દેખાય છે. સિમલા સંમેલનનું નિમંત્રણ વેવલ દ્વારા મોકલેલું મળ્યું ત્યારે વાઇસરોય વેવલને જવાબમાં તાર મોકલ્યો કે ‘પોતે કોઇ પક્ષ કે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી અને 1934 પછી કોન્ગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી રહ્યા.’ એ પછી વાઇસરોયને આમંત્રણ કોન્ગ્રેસ પ્રમુખને મોકલ્યું પરંતુ વેવલની ઇચ્છાને માન આપી ગાંધીજી સિમલામાં વેવલને મળ્યા.
સંમેલનમાં ભારતની કામચલાઉ સરકારની રચનાના પ્રસ્તાવ પર વિચાર કરવાનો હતો. આમંત્રિતોમાં હિન્દુ મહાસભાનું ક્યાંય નામ ન હતું. આ યુક્તિ દ્વારા કૉંગ્રેસ માત્ર એક હિન્દુ પક્ષ છે અને આથી હિન્દુઓના પક્ષકાર તરીકે હિન્દુ મહાસભાની ઉપસ્થિતિનો કોઈ પ્રશ્ર જ પેદા થતો નથી એવા મુસ્લિમ લીગના વિચારને માન્યતા આપવામાં આવી હતી.
વાઈસરૉયે કહ્યું કે નવી કાર્યકારી પરિષદ રચવામાં આવશે. એમાં ‘સવર્ણ હિન્દુઓ’ અને મુસલમાનોનું પ્રમાણ સરખું હશે. ગાંધીજીએ વાઈસરૉયના નિવેદનમાં ‘સવર્ણ હિન્દુઓ’ શબ્દ પર ભારે વિરોધ કર્યો. એમણે એ પણ કહ્યું કે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેની સમતાની વાત તો સમજમાં આવે છે; પરંતુ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સમતાનો ક્યારેય સ્વીકાર કરી શકાય નહિ; પરંતુ આ વિરોધ માત્ર કાગળનો વિરોધ રહ્યો. વ્યવહારમાં કૉંગ્રેસ ઘૂંટણિયે પડતી રહી અને વાટાઘાટો ચાલતી રહી. અંતિમ નિષ્કર્ષ રૂપે મંત્રીઓની કુલ સંખ્યા 14 રહેવાની હતી. એમાં 5 કૉંગ્રેસ અને 5 લીગના લેવાના હતા. બાકીના 4માં : ‘અનુસૂચિત જાતિના 2, શીખ 1 અને પંજાબની યુનિયનિસ્ટ પાર્ટીના હયાતખાં.
કૉંગ્રેસના ભાગે આવતા 5 માંથી 2 હિન્દુ, 1 મુસ્લિમ, 1 ઈસાઈ અને 1 પારસી હતા. અંતિમ સ્થિતિ આ પ્રકારે હતી : 14 સભ્યોની ટોળીમાં 7 મુસલમાન હતા. 2 સવર્ણ હિન્દુઓ, અનુસૂચિત જાતિના 2, 1 શીખ, 1 ઈસાઈ અને 1 પારસી હતા. અંગ્રેજોએ બીછાવેલી ‘ભાગલા પાડો જાળ’માં પ્રસ્તાવિત વચગાળાની સરકારનું આવું ‘અદ્દભુત સાંપ્રદાયિક’ જોડાણ હતું. ભારતીયોની ભાવિ આકાંક્ષાઓની પૂર્તિ માટે તેઓ માર્ગ પ્રશસ્ત કરશે એવી આશા રાખવામાં આવતી હતી !
પણ તરત જ એક વિઘ્ન ઊભું થયું. અંગ્રેજોએ કૉંગ્રેસના પાંચેય પ્રતિનિધિઓ ‘સવર્ણ’ હિન્દુ હોવા જોઈએ એમ માન્યું હતું. મુસ્લિમ લીગે કૉંગ્રેસના 5 સભ્યોમાં 1 મુસ્લિમ પસંદ કર્યો એની સામે વિરોધ ઊઠાવ્યો. મહંમદઅલી ઝીણાના વિરોધથી અનેક લોકોને આશ્ચર્ય થયું કારણ કે આ વહેંચણીમાં અડધો ભાગ મુસલમાનોને મળવાનો હતો અને બાકીના 50% માં બીજા બધા લોકો ભાગીદાર હતા. સરકારમાં મુસલમાનો આદેશાત્મક સ્થિતિમાં હતા, પરંતુ મહંમદઅલી ઝીણા એ વાત પર અક્કડ રહ્યા કે મુસ્લિમ સદસ્યો પસંદ કરવાનો અધિકાર કેવળ લીગને જ છે, કૉંગ્રેસને નહિ. કૉંગ્રેસ પણ એકની બે થવા તૈયાર ન હતી. આમ અનેક યોજનાઓની જે દુર્ગતિ થઈ એવી જ દુર્ગતિ વેવેલ યોજનાની પણ થઈ. એણે કચરાટોપલીની શોભા વધારી.
ઉપરથી આકર્ષક લાગતી આ યોજનાનો ઝીણાએ કેમ અસ્વીકાર કર્યો ? એના નક્કર કારણો હતાં. ઝીણાએ દ્રઢપણે બધા ભાવિ ઉમેદવારોને જણાવી દીધું હતું કે કોઈ પણ મુસલમાન કૉંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષની શક્તિથી મંડપમાં પ્રવેશવાની આશા રાખે નહિ. એણે પોતાનું રાજકીય ભાવિ ઘડવું હશે તો એ કેવળ મુસ્લિમ લીગના માધ્યમથી જ ઘડી શકશે. પત્રકાર દુર્ગાદાસે મહંમદઅલી ઝીણાને એમણે સમતાની વાત મનાવી લીધી હતી તો પછી આ યોજના કેમ ફગાવી દીધી એમ પૂછ્યું તો એમનો ઉત્તર હતો, ‘હું એટલો મૂરખ છું કે એને સ્વીકારી લઉં ? મને તાસકમાં મૂકીને પાકિસ્તાન અપાઈ રહ્યું છે.’ દુર્ગાદાસે એમ પણ કહ્યું કે એમને એક ઉચ્ચ અધિકારી અને રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વાઈસરૉયની કાર્યકારિણીના એક સભ્યે મુસ્લિમ લીગ સાથે સ્થાપેલ પોતાના સંપર્કોના માધ્યમથી ઝીણાને એક ગુપ્ત સંદેશો પહોંચાડ્યો હતો.’ (દુર્ગાદાસ : ઈન્ડિયા ફ્રો કર્ઝન ટુ નહેરુ એન્ડ આફ્ટર, પૃષ્ઠ: 260)
ઝીણાએ સાર્વજનિક રૂપે યોજનાનો અસ્વીકાર કરવાનું એક બીજું કારણ પણ બતાવ્યું હતું. એમનું કહેવું હતું કે મુસ્લિમ લીગની સભ્યસંખ્યા કુલ સંખ્યાનો 1/3 ભાગ જ હશે. મુસ્લિમ લીગના વિરોધમાં બાકીનાં બધાં જૂથો સંગઠિત થશે કારણ કે એમના કહેવા પ્રમાણે અનુસૂચિત જાતિઓ, શીખો, ઈસાઈ અને પારસી સભ્યો કૉંગ્રેસની સાથે મળી જશે. આમ મુસ્લિમ હિત સુરક્ષિત નહિ રહે. ઝીણાએ આ યોજનાને એક ફંદો ગણાવી કહ્યું કે એનો સ્વીકાર કરવો એટલે મુસ્લિમ લીગનું ઘોર આત્મસમર્પણ. એનો અર્થ એ કે પોતાની જાતે જ પોતાના ગળામાં ફાંસો નાખવો. મુસ્લિમ લીગ અને કૉંગ્રેસની સમતા જ પૂરતી નથી. ‘સવર્ણ હિન્દુઓ’ અને મુસ્લિમો વચ્ચે પણ પૂરતી સમતા નથી. અન્ય બધા સમુદાયો અને પક્ષો ઉપર એકલા મુસ્લિમ લીગનો જ જોહુકમી રહેવી જોઈએ એવા આ તર્ક પાછળ ઝીણાનો દાવો હતો.
: ક્રમશ:
©kishormakwana