સીરિયામાં બળવાખોરોની માંગણીઓ સમયાંતરે અને વિવિધ જૂથો અનુસાર બદલાતી રહે છે. તેમની સૌથી મોટી માંગ બશર અલ-અસદના શાસનને ખતમ કરવાની હતી. જો કે, આ જૂથો વચ્ચે તકરાર પણ ચાલતી રહે છે.
સીરિયાના વિદ્રોહી જૂથોએ દાવો કર્યો છે કે તેઓએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. ઘણા મીડિયા આઉટલેટ્સે, બળવાખોર દળોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડી ભાગી ગયા છે. અહેવાલ એવા પણ આવ્યા હતા કે બશર અલ-અસદનું વિમાન તુટી પડ્યું હતું. બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટર કરતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, સીરિયન વિદ્રોહી જૂથોએ જણાવ્યું હતું કે બળવાખોરો રવિવારે વહેલી સવારે દમાસ્કસમાં પ્રવેશ્યા હતા અને એ સાથે લાંબા ગૃહયુદ્ધ બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદે સીરિયા પરથી નિયંત્રણ ગુમાવ્યું હતુ. આ લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધમાં કોણ કોને સાથ આપી રહ્યું છે? અને કોની ભૂમિકા ભજવી છે?
કુર્દિશ દળો કોની સામે લડી રહ્યા છે?
ISIS સામેની લડાઈમાં કુર્દિશ દળોએ મહત્વની ભૂમિકા ભજવી છે. કુર્દિશ દળોએ ISISના કબજામાં રહેલા વિસ્તારોને મુક્ત કરવા માટે યુએસની આગેવાની હેઠળના ગઠબંધન સાથે મળીને કામ કર્યું છે. તુર્કિયે કુર્દને અલગતાવાદી માને છે અને સીરિયામાં સ્વાયત્ત કુર્દિશ પ્રદેશની રચનાનો વિરોધ કરે છે. તુર્કીયે પણ સીરિયામાં કુર્દિશ દળો વિરુદ્ધ અનેક સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. જો કે સીરિયન સરકાર અને કુર્દ બંને ISIS સામે લડ્યા છે, તેમની વચ્ચે પણ અવિશ્વાસ અને સંઘર્ષનો લાંબો ઇતિહાસ છે. સીરિયન સરકાર કુર્દના સ્વાયત્ત વિસ્તારને નષ્ટ કરવા માંગે છે.
કુર્દિશ દળો શું ઈચ્છે છે?
કુર્દિશ દળોનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાના ઉત્તર-પૂર્વમાં સ્વાયત્ત કુર્દિશ પ્રદેશની સ્થાપના કરવાનો છે. કુર્દિશ દળો તુર્કીના હસ્તક્ષેપનો વિરોધ કરે છે અને પોતાના વિસ્તારની રક્ષા કરવા માંગે છે. કુર્દિશ દળો સીરિયામાંથી ISISનો સંપૂર્ણ નાશ કરવા માંગે છે. આ બધા વચ્ચે કુર્દિશ દળોને અમેરિકાનું સમર્થન છે, પરંતુ અમેરિકાએ તાજેતરના વર્ષોમાં તેનું સમર્થન પાછું ખેંચવાનું શરૂ કર્યું છે.
ISISએ સીરિયામાં સંકટ વધાર્યું
વૈશ્વિક આતંક્વાદી સંગઠન ISIS એ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કર્યા છે. સીરિયામાં ISISની ભૂમિકા અત્યંત વિનાશક અને વિવાદાસ્પદ રહી છે. ISISના કારણે સીરિયાને ઘણું નુકસાન થયું છે. ISIS એ સીરિયા અને ઇરાકના મોટા વિસ્તારો પર કબજો કરી લીધો હતો અને આ વિસ્તારોને જોડીને ઇસ્લામિક ખલિફા રાજ્ય જાહેર કર્યું હતુ. ISIS દ્વારા મોટા પાયે નરસંહાર કરવામાં આવ્યો હતા. ISIS એ ધાર્મિક લઘુમતીઓ પર પણ અત્યાચાર ગુજારવામાં કશુ બાકી નથી રાખ્યું. ISIS એ તેના કબજા હેઠળના વિસ્તારોમાં તેલ અને અન્ય કુદરતી સંસાધનોનું શોષણ કરીને તેના નાણાકીય સંસાધનોને મજબૂત કર્યા છે.
સીરિયામાં કયા કયા બળવાખોર જૂથો સક્રિય છે?
સીરિયામાં બળવાખોર જૂથોની સંખ્યા ઘણી મોટી છે અને તેમની સંરચના અને એકબીજા સાથેના જોડાણો સમયાંતરે બદલાતા રહ્યા છે. આ જૂથોને વિવિધ રાજકીય વિચારધારાઓ અને બહારના દેશોમાંથી પણ સમર્થન મળતું રહ્યું છે. સીરિયામાં બળવાખોર જૂથો વચ્ચે અંદરોઅંદર ઘણી ફાટફુટો છે. તેમની લડાઈના કારણો અને ઉદ્દેશ્ય પણ જુદા જુદા છે. કેટલાક જૂથો બશર અલ-અસદ શાસનને ઉથલાવી દેવા માંગે છે, જ્યારે અન્ય ધાર્મિક કારણોસર લડી રહ્યા છે.
કેટલાક મુખ્ય બળવાખોર જૂથોની યાદી
હયાત તહરિર અલ-શામ (HTS): આ જૂથ અલ-કાયદા સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે અને તે સીરિયાના સૌથી શક્તિશાળી બળવાખોર જૂથોમાંનું એક છે. તેણે સીરિયાના ઘણા વિસ્તારો પર કબજો જમાવી લીધો છે.
સીરિયન નેશનલ આર્મી (SNA): તુર્કી દ્વારા સમર્થિત આ જૂથ સીરિયન વિરોધપક્ષોનું મજબૂત જૂથ છે. તેને વિવિધ નાના જૂથોનું સમર્થન પ્રાપ્ત છે.
અહરાર અલ-શામ: સીરિયામાં સક્રિય કટ્ટરવાદી ઇસ્લામિક વિદ્રોહી જૂથ છે.
અલ-નુસરા ફ્રન્ટ: આ જૂથ અલ-કાયદા સાથે પણ સંકળાયેલું હતું, પાછળથી તેનું નામ બદલીને હયાત તહરિર અલ-શામ કરવામાં આવ્યું.
શું છે સીરિયામાં બળવાખોરોની માંગ?
સીરિયામાં બળવાખોરોની માંગણીઓ સમયાંતરે અને વિવિધ જૂથો અનુસાર બદલાતી રહે છે. તેમની સૌથી મોટી માંગ બશર અલ-અસદના શાસનનો અંત લાવવાની છે. મોટાભાગના બળવાખોર જૂથોનો મુખ્ય ઉદ્દેશ બશર અલ-અસદને સત્તા પરથી હટાવવાનો અને નવી સરકાર સ્થાપિત કરવાનો છે. ઘણા બળવાખોર જૂથો દેશની એકતા અને અખંડિતતા જાળવવા માંગે છે અને દેશને વિભાજીત થતા બચાવવા માંગે છે. કેટલાક ધાર્મિક જૂથો ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા અને ઇસ્લામિક કાયદા અનુસાર દેશ ચલાવવા માંગે છે.