ઈતિહાસ સાક્ષી છે જેમાં સુધી અન્યાય સહન કરનારા અન્યાય અને અન્યાયકર્તા વિરૂદ્ધ વિદ્રોહ નથી કરતા, અન્યાય તથા અન્યાયકર્તા સામે હિંમતપૂર્વક છાતી કાઢીને ઊભા નથી થતા ત્યાં સુધી અન્યાય દૂર થવાનું તથા અન્યાયકર્તાને સબક શીખવાડવાનું સ્વપ્નવત જ બની રહે છે. ઉપરાંત “કોઈ અન્ય અથવા અતિન્દ્રીય તત્વ કે શક્તિ આવશે અને અન્યાયકર્તાને નશ્યત કરશે તથા અન્યાયમાંથી છોડાવશે.” એવી માન્યતામાંથી અન્યાય સહન કરનારાઓએ બહાર આવી જવાની જરૂર છે કારણ કે તેવું માનવુ એટલું જ સત્ય છે જેટલુ અમાસની રાત્રે સૂર્ય ઉગીને અજવાળું ફેલાવશે એવું માનવુ. અન્યાય અને અપમાનનું અસ્તિત્વ ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી અન્યાય અને અપમાન સહન કરનારા તેનો પ્રતિકાર કરવાની હિંમત નથી કેળવતા. પોતાની સહાયતા સ્વયં જ કરવી પડે છે આ સનાતન સત્ય છે.
ડૉ. આંબેડકર ઉપર જણાવેલું સનાતન સત્ય ના માત્ર જાણતા હતા પરંતુ પોતાના અનુભવો થી સમજતા પણ હતા આ ઉપરાંત સ્વ નો ઉત્કર્ષ સ્વયં જ કરવો પડે એનું ડૉ. આંબેડકર જીવંત ઉદાહરણ પણ હતા જ. વાસ્તવિકતા ની ધરા પર રહીને જ સમાજનો ઉત્કર્ષ કરી શકાય છે તેવું ચોક્કસપણે ડૉ. આંબેડકરે હતાં એનો ઉદ્ઘોષ એમનાં આ પ્રસિદ્ધ વાક્યમાં દેખાય છે, ” ગુલામ ને તે ગુલામ છે તેનો અનુભવ કરાવી દો અને તે સ્વયં વિદ્રોહ કરી ઉઠશે.”
ડૉ. આંબેડકર સ્વશક્તિ, સ્વબળ ઉપર જ સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હતા અન્ય ઉપર આધારિત રહેવાની કલ્પના, વિચાર જ તેમને માન્ય નહોતી. અન્ય દ્રષ્ટિએ જોઈએ તો આધારિત રહેવાના વિચાર માત્રથી જ ડૉ. આંબેડકર સખત ઘૃણા કરતા હતા.
પોતે, પોતાના બળથી જ પોતાનો ઉત્કર્ષ કરી શકે છે એવુ ડૉ. આંબેડકર દ્રઢપણે માનતા હતા, સાથે સાથે એ વાસ્તવિકતા પણ એમની નજર સમક્ષ હતી જ કે અનેક વર્ષોથી દબાવવામાં, કચડવામાં આવેલા સમુદાયો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે અને આ સમુદાયોની સૌથી પ્રથમ આવશ્યકતા હતી કે તેમણે ગુમાવી દીધેલો આત્મવિશ્વાસ પરત મેળવે. સામાજિક, આર્થિક, રાજકીય તથા ધાર્મિક પરિસ્થિતિનું આકલન કરતા ડૉ. આંબેડકર એ નિશ્ચય ઉપર પહોંચ્યા હતા કે અસ્પૃશ્યોમાં આત્મવિશ્વાસનું સિંચન કરવું હોય તો તે સ્વાવલંબન અને શિક્ષણ થકી જ શક્ય બની શકે છે
ડૉ. આંબેડકરના દરેક વિચાર અને કાર્યના પાયામાં અસ્પૃશ્ય વર્ગોમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય એ માટે અત્યાવશ્યક એવાં સ્વાવલંબન અને શિક્ષણ જ હતા. ડૉ. આંબેડકરના ભાષણો પણ અસ્પૃશ્યોને સ્વાવલંબી બને શિક્ષિત બનવા તરફ અગ્રેસર બનવાની પ્રેરણા આપતા હતા.
ક્રમશઃ