બહિષ્કૃત હિતકારીણી સભાના પ્રથમ રિપોર્ટમાં એવું અવલોકન કરવામાં આવ્યુ હતુ કે, ”સંસ્થા (સંગઠન) ની સફળતા તેના બધા જ ઘટકોની સંગઠનના હેતુઓ અને કાર્યક્રમ પ્રત્યેની પ્રામાણિકતા અને નિષ્ઠા ઉપર જ આધારિત હોય છે. દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના કાર્યકર્તાઓને પુરતો અવકાશ આપ્યો હોવા છતાં સંસ્થાના પ્રમોટર્સનું માનવુ છે કે આ પ્રચંડ કાર્યક્રમ સવર્ણોના સહકાર અને સહાનુભૂતિ વગર ચલાવી શકાય નહી. ઉપરાંત એ અવલોકન કરવામાં આવ્યુ કે, અસ્પૃશ્યોના હિતમાં જોતા સવર્ણ વર્ગો તરફથી મળતા દાનને નકારવુ એ આત્મઘાતી જ ગણાય.
ડૉ. આંબેડકરના વિચારો સમયથી ઘણાં જ આગળના હતા. ડૉ. આંબેડકરના વિચારોમાં માત્ર તત્કાલીન સામાજિક પરિસ્થિતિ જ અનુસંધાને નહતી પરંતુ એમાં ભવિષ્યમાં ઉભી થઈ શકે એ પરિસ્થિતિની કલ્પના તથા વાસ્તવિક, પ્રેક્ટીકલ ઉપાયોના પરિપ્રેક્ષ્યમાં હતા. ડૉ. આંબેડકરની સામાજિક ક્રાંતિનો દ્રષ્ટિકોણ જોતા એટલું કાચ જેવું સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ક્રાતિ સચ્ચાઈથી ભરપુર હતી.
છત્રપતિ શાહુજી મહારાજે કહ્યું હતું કે, ”સ્વરાજ આપણે ઈચ્છીએ છીએ, તેના દ્વારા આપણામાં ચેતના આવશે પરંતુ જ્યાં સુધી આપણામાં જાતિગત ભેદભાવ તેમ જ ઈર્ષ્યા જીવંત છે ત્યાં સુધી આપણે અંદરોઅંદર લડતા ઝઘડતા રહીશુ અને પોતાના જ હિતોને નુકશાન પહોંચાડતા રહીશુ. આપણામાં વ્યાપ્ત આંતરકલહનો નાશ કરવા માટે તથા સ્વરાજ પ્રાપ્તિ માટે યોગ્ય બનવા માટે, અનર્થકારી જાતિ વ્યવસ્થાને તોડી ફોડીને ફેંકી દેવી અત્યંત આવશ્યક છે. આજની જાતિ વ્યવસ્થા કાયમ રહેવાથી તો સ્વતંત્રતાનો અર્થ, મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તાનું જવુ થશે. મારો કહેવાનો અર્થ એવો ન કરશો કે હું સ્વતંત્રતાનો વિરોધી છુ.” (દત્તોપંત થેંગડી પેજ નંબર 37)
તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી બહિષ્કૃત હિતકારીણી સભા પોતાના જન્મ સાથે જ કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોને પોતાના ઉત્કર્ષ, ઉત્થાન માટે એક નવલા કીરણની જેમ ભાસતી હતી. બહિષ્કૃત હિતકારીણી સભાએ પોતાના કાર્યોનો પ્રારંભ કરી જ દીધો હતો.
અસ્પૃશ્ય વર્ગોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને શિક્ષણનુ પ્રમાણ વધે, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં પગલુ ભરતા બહિષ્કૃત હિતકારીણી સભાએ 4થી જાન્યુઆરી 1925 ના દિવસે સોલાપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવતાં અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલની શરૂઆત કરી. દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, શિક્ષણનો પ્રસાર થાય, શિક્ષણ માટે પ્રોત્સાહન મળે એ કાર્યની શરૂઆત જ ગંગાવતરણ જેટલા કઠિન યજ્ઞનો આરંભ હતો.
બહિષ્કૃત હિતકારીણી સભા દ્વારા સોલાપુરમાં શરૂ કરવામાં આવેલી માધ્યમિક શિક્ષણ મેળવતા અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે ની છાત્રાલયના વિદ્યાર્થીઓના કપડા, પુસ્તકો, અન્ય સ્ટેશનરી તથા રહેવાનો ખર્ચ સ્વયં સભા ઉપાડવાની હતી. સોલાપુર મ્યુનિસિપાલિટીએ આ નવનિર્મિત હોસ્ટેલની સારસંભાળ માટે 40 રૂપિયા ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું. હોસ્ટેલના મેનેજમેન્ટની જવાબદારી અસ્પૃશ્ય વર્ગમાંથી જ આવતાં કાઉન્સિલર શ્રી જીવાપ્પા શુભા અયદાલે એ સંભાળી હતી.
બહિષ્કૃત હિતકારીણી સભાથી સામાન્ય અસ્પૃશ્ય નાગરિક ડૉ. આંબેડકરના કાર્યો અને વિચારો સાથે આકર્ષણ અને વિશ્વાસ ધરાવતા થયા હતા.
ક્રમશ: