Spread the love


• કિશોર મકવાણા 

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 92

• રૈડક્લિફના મનસ્વી નિર્ણયથી લાહોર પાકિસ્તાન પાસે ગયું

  • રૈડક્લિફે ઉપરછલ્લી ટિપ્પણી કરી : ‘કલકત્તા અને લાહોર – બે મોટાં શહેર માત્ર ભારતને જ આપી દેવામાં આવે તે કેવી રીતે બની શકે ?’ મહાજને વિનંતી કરી કે નિર્ણય માટે કોઈ સમાન કસોટી નક્કી કરવી જોઈએ, પરંતુ તેમની વાત તરફ જરાય ધ્યાન આપવામાં આવ્યું નહીં. આવી અનેક શંકાસ્પદ ઘોષણાઓ પછી પણ હિન્દુઓ અને શીખોની ઊંઘ ઊડી નહીં. એમના પેટનું પાણી પણ હલ્યું નહીં.
  • વિશ્વની સૌથી સુંદર અને મોટી – મોટી મોટાભાગની નહેરો, ઘઉં રૂપી સોનું ઉગાડતી શીખો અને હિંદુઓની મોટાભાગની ધરતી, નનકાના સહિત શીખોના મોટાભાગના ગુરુદ્વારાઓ પાકિસ્તાનની ઝોળીમાં નાખી દેવામાં આવ્યા અને લાહોર પણ.
  • શીખોએ જે સ્થાનો મેળવવાની આશા રાખી હતી તે બધાં એમની પાસેથી ઝૂંટવી લઈ મુસલમાનોને આપી દેવામાં આવ્યાં અને તેમાંથી 40 ટકાથી પણ વધારે લોકો ઘરબાર વગરના અને ગરીબ બની ગયા.

ભારતના ભાગલા માટે સરહદની આંકણી 1941ની વસ્તી ગણતરીના આંકડાના આધાર પર કરવામાં આવી. અહીં પણ કૉંગ્રેસની અગાઉની અવ્યાવહારિક નીતિએ લોકોને વધારે આઘાત પહોંચાડ્યો. કૉંગ્રેસે લોકોને 1931ની વસ્તી ગણતરીનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું. કારણ તેમના જણાવ્યા મુજબ તેમાં ‘સાંપ્રદાયિક’ આધાર પર વસ્તી ગણતરીની શક્યતા હતી. તેના ફળસ્વરૂપે કૉંગ્રેસના આદેશનું આંધળું અનુકરણ કરી અનેક હિન્દુઓએ વસ્તી ગણતરીનો બહિષ્કાર કર્યો. બીજી તરફ મુસ્લિમ નેતાઓ એ મુસલમાનોને વસ્તી ગણતરીમાં પૂરેપૂરા ભાગીદાર થવા વિનંતી કરી. ૧૯૪૧માં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. બંગાળમાં મુસ્લિમ લીગે એવું ષડયંત્ર રચ્યું – બંગાળમાં હિન્દુ અનુસૂચિત જનજાતિઓના એક મોટા વર્ગની, જે વસ્તીનો 15 ટકા ભાગ હતો, તેમની ગણતરી જ કરી નહીં. તેના પરિણામે અનેક જિલ્લામાં મુસલમાનોનું પલ્લું ભારે થઈ ગયું.

વીર સાવરકરે કૉંગ્રેસની નીતિની ટીકા કરતાં કહ્યું કે આ આત્મઘાતી પગલું છે. તેમણે મુસલમાનોની વસ્તી ગણતરી પર સરકારને ઝીણવટભરી નજર રાખવા વિનંતી કરી; જેથી તે ઘાલમેલ કરી એમની સંખ્યા ન વધારી નાખે. હિન્દુઓને તેમણે આગ્રહ કર્યો કે તેમની જાતિ, વર્ગ ભલે ગમે તે હોય પરંતુ સમુદાયના ખાનામાં તે પોતાને ‘હિન્દુ’ જ લખાવે.

કૉંગ્રેસે વસ્તી ગણતરીનો બહિષ્કાર તો કર્યો પરંતુ તેણે આ જ વસ્તી ગણતરીના આંકડાના આધાર પર 1937ની ચૂંટણીમાં અને 1945-46ની ચૂંટણીમાં તથા અન્ય બંધારણીય વ્યવસ્થામાં ભાગ લીધો ત્યારે તેને જરાય સંકોચ કે શરમ ન આવી. 1931 ની વસ્તી ગણતરીના આંકડાનો પ્રભાવ 1935ના ભારત અધિનિયમ પર આંકવા માટેનો મુખ્ય આધાર સાબિત થયો હતો.

રૈડક્લિફ ચતુર-ચાલાક માણસ હતો. કમિશનનો દરેક સભ્ય વાતચીત પછી એવી જ માન્યતા લઈને પાછો ફરતો કે રૈડક્લિફ તેમની વાતથી પૂર્ણ સંતુષ્ટ થઈ ગયા છે. હિન્દુ સભ્યોની ખાસ કરીને આવી જ સ્થિતિ હતી. તે પોતે પણ હિન્દુઓને એવો ભરોસો આપતા હતા કે રૈડક્લિફ એમની માગણી સ્વીકારી લેશે. આમ કરીને તેઓ હિન્દુઓને ખુશ કરતા હતા. પંજાબ કમિશનના સભ્ય એમ. સી. મહાજનને તો લાહોર ભારતમાં જ રહેશે એવો એટલો પાક્કો વિશ્વાસ હતો કે તેમણે તેમના પરિવારને ત્યાંથી હટાવવાનો વિચાર સુધ્ધાં કર્યો નહોતો. એક અન્ય સભ્ય તેજસિંહ હતા. તેમણે પણ લાહોરમાંથી તેમના પુસ્તકાલયને ખસેડવાનો વિચાર કર્યો નહોતો. ભાગલા સમયે લાહોરમાં માત્ર 25 ટકા મુસલમાન હતા. તે પણ એવું જ વિચાર હતા કે લાહોર ભારતમાં જ રહેશે આથી મોટા પ્રમાણમાં ભાગી છૂટ્યા. મધ્ય પંજાબના શીખો અને હિન્દુઓને પણ એવો જુઠ્ઠો ભરોસો આપવામાં આવ્યો કે પૂર્વ પંજાબની વિભાજન રેખા ચિનાવ નદી રહેશે. તેમનો આ ભ્રમ 17 ઓગસ્ટના દિવસે પંચનિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારે જ તૂટ્યો. પરંતુ રૈડક્લિફે એનો ભેદ કોઈને બતાવ્યો નહીં. તેણે વાસ્તવમાં પંજાબની દસ બેઠકોમાંથી એક પણ બેઠકમાં ભાગ લીધો નહોતો. બેઠકની ચર્ચાનો રીપોર્ટ મંગાવીને તે તેને વાંચી લેતો. તેની દ્રષ્ટિએ સભ્યોનો વિચાર માત્ર સૂચન હતું. અંતિમ નિર્ણય લેવાનો અધિકાર તો એનો પોતાનો જ હતો. ભલે વિવિધ પક્ષોની માગણી સાચી હોય કે ન હોય.19 ઓગસ્ટ 1947ના દિવસે કૉંગ્રેસી અને શીખ નેતા તથા હિન્દુઓની – ખાસ કરીને શીખોની આંખો ખુલી ગઈ. તેમની સાથે ઘોર અન્યાય થયો હતો. અંધકારમય તથા ભયાનક ભવિષ્ય તેમની સામે હતું.

3 જૂનની ઘોષણામાં સ્પષ્ટ રીતે નહોતું જણાવવામાં આવ્યું કે ભારત સરકારની સંપત્તિ અને વહિવટીતંત્રના ભાગલા કઈ રીતે થશે. પરંતુ તેમાં એ વાતના પૂરતા સંકેત હતા કે ભાગલા વિસ્તારની વસ્તીના આધાર પર થશે. સરહદ આંકણી અંગે પણ સરહદ – કમિશને ‘વસ્તી તથા અન્ય બાબતો’ ને આધાર બતાવ્યો હતો, પરંતુ તે ‘અન્ય બાબતો’ શું હશે તે સ્પષ્ટ કર્યું નહોતું. છતાં પણ જુલાઈ 1947ના મધ્યમાં કન્ઝરવેટિવ પાર્ટીના ઉપનેતા એલેકજેન્ડર બટલરે જે નિવેદન આપ્યું હતું તેનાથી શીખોના મનમાં આશા જાગી હતી: ‘સરહદ કમિશન એવી રીતે સરહદ આંકશે કે શીખોના ગુરુદ્વારા, સંપત્તિ તથા અન્ય પ્રિય વસ્તુઓ શક્ય હશે ત્યાં સુધી એક જ સરહદમાં આવી જાય તેવી આશા છે.’ આર્થર હેન્ડરસને પણ ‘અન્ય બાબતો’નું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું હતું કે પંજાબમાં આવેલા શીખ ગુરુદ્વારાઓ તેમાં સામેલ છે.પરંતુ મુસ્લિમ લીગે તરત આવી કોઇપણ સંભાવનો જોરદાર વિરોધ કર્યો. મુસ્લિમ લીગના મુખપત્ર ‘ડૉને’ પડકાર ફેંક્યો કે વસ્તી ગણતરી સિવાય કોઈ અન્ય વાતોનો વિચાર કરવામાં આવશે તો મુસ્લિમ લીગ સરહદ – કમિશનના નિર્ણયનો વિરોધ કરશે. પરિણામ શું આવશે તેની ચિંતા નથી. મહંમદઅલી ઝીણા અને લિયાકત અલીએ આકરા શબ્દોમાં વિરોધ કરતો એક પત્ર માઉન્ટબેટનને મોકલ્યો. તે પહેલાં પણ 2 જૂનના સંમેલનમાં માઉન્ટબેટન નેતાઓને સ્પષ્ટ રીતે સ્થિતિ જણાવી ચૂક્યા હતા. ટૂંકમાં – તેમણે જણાવ્યું કે વારંવાર શીખોને પૂછતા રહ્યા હતા કે તે પંજાબના ભાગલા ઈચ્છે છે કે નહીં. શીખ આખા પંજાબમાં એવી રીતે ફેલાએલા હતા કે ભાગલા થયા પછી તેમના સમુદાયના પણ ભાગલા થઈને જ રહેવાના હતા; છતાં પણ તેમણે ભાગલાને ટેકો આપ્યો. તેના માટે અલગ – અલગ પાસાંઓ પર વિચાર કરવામાં આવ્યો, પરંતુ શીખોના હિતોના રક્ષણ બાબતે કોઈ ઉકેલ લાવી શકાયો નહીં. ઉપરાંત મુસ્લિમ બહુમતી ધરાવતાં ક્ષેત્રોને બિન મુસ્લિમ બહુમતીવાળાં ક્ષેત્રોની અલગ કરી દેવામાં આવે તેવો કોઈ અન્ય સિદ્ધાંત સ્વીકારી શકાયો નહીં.’ (વી. પી. મેનન : ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 379)ફરી 4 જૂનના રોજ પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવ્યું કે સરહદ કમિશન સંપત્તિને આધાર માનશે ? ત્યારે માઉન્ટબેટને જવાબ આપ્યો કે બ્રિટિશ સરકાર અને તે પણ મજૂર સરકાર પાસે ક્યારેય તે ભૂમિ – સંપત્તિ પર આધારિત કોઈ પણ ભાગલાનું સમર્થન કરશે એવી આશા ન રાખી શકાય.

રૈડક્લિફનો મનસ્વી વ્યવહાર અને તેની કુટિલ નીતિ એમ. સી. મહાજન સાથે તેની ચર્ચા થઈ તે સમયે ઉઘાડી પડી. મહારાજને પુરાવા અને આંકડા રજૂ કરીને કહ્યું કે લાહોરને પૂર્વ પંજાબ સાથે રાખવું જોઇએ. તેની સામે રૈડક્લિફે ઉપરછલ્લી ટિપ્પણી કરી : ‘કલકત્તા અને લાહોર – બે મોટાં શહેર માત્ર ભારતને જ આપી દેવામાં આવે તે કેવી રીતે બની શકે ?’ મહાજને વિનંતી કરી કે નિર્ણય માટે કોઈ સમાન કસોટી નક્કી કરવી જોઈએ, પરંતુ તેમની વાત તરફ જરાય ધ્યાન આપવામાં આવ્યું નહીં. આવી અનેક શંકાસ્પદ ઘોષણાઓ પછી પણ હિન્દુઓ અને શીખોની ઊંઘ ઊડી નહીં. એમના પેટનું પાણી પણ હલ્યું નહીં. 17 ઓગસ્ટના દિવસે જ કઠોર વાસ્તવિક્તા સાથે એમનું માથું અફળાયું. વિશ્વની સૌથી સુંદર અને મોટી – મોટી મોટાભાગની નહેરો, ઘઉં રૂપી સોનું ઉગાડતી શીખો અને હિંદુઓની મોટાભાગની ધરતી, નનકાના સહિત શીખોના મોટાભાગના ગુરુદ્વારાઓ પાકિસ્તાનની ઝોળીમાં નાખી દેવામાં આવ્યા અને લાહોર પણ. શીખોએ જે સ્થાનો મેળવવાની આશા રાખી હતી તે બધાં એમની પાસેથી ઝૂંટવી લઈ મુસલમાનોને આપી દેવામાં આવ્યાં અને તેમાંથી 40 ટકાથી પણ વધારે લોકો ઘરબાર વગરના અને ગરીબ બની ગયા.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love