- કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવી
- રાહુલ ગાંધી કરી રહ્યા છે નેતૃત્વ યાત્રાનું
- મણિપુરના થૌબલથી શરૂ થઈ ભારત જોડો ન્યાય યાત્રા
કોંગ્રેસની દ્રષ્ટીએ આવનારી લોકસભા ચૂંટણીમાં સંજીવની બનવાની છે તેવી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી આજે થઈ છે. આ યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને મણિપુર જવાનો સમય નથી મળ્યો. ભાજપ-RSS માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી..’. પોતાની યાત્રા વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભવિષ્યના એક એવા દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવો છે જે સદભાવના, સમાન ભાગીદારીવાળો, અને ભાઈચારાથી ભરપૂર હોય.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘ભારત મોટા અન્યાયનો સામનો કરી રહ્યું છે અને તેથી આ મુલાકાત જરૂરી છે.’ તેણે કટાક્ષ કરતાં કહ્યું, “અમે અમારા મન કી બાત કરવા નથી માંગતા, અમે તમારા મન કી બાત સાંભળવા માંગીએ છીએ.”
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં મણિપુરમાં કોંગ્રેસ નેતાઓની ફ્લાઇટ રદ થવા બદલ માફી પણ માગી હતી. રાહુલે કહ્યું હતું કે હું 2004થી રાજનીતિમાં છું પ્રથમ વખત એવા પરદેશમાં આવ્યો છું જ્યાં શાસન વ્યવસ્થાનું સમગ્ર માળખું ધ્વસ્ત થઇ ગયું છે જેને તમે મણિપુર કહો છો. આખા રાજ્યમાં નફરત ફેલાયેલી છે. તેમણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે આજ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય મળ્યો નથી. કદાચ તેઓ મણિપુરને ભારતનો ભાગ જ માનતા નહિ હોય. પોતાની આ યાત્રા વિષે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા માટે લોકોએ અલગ અલગ વિચારો આપ્યા. કોઈએ કહ્યું પૂર્વથી શરૂ કરો, કોઈએ કહ્યું પશ્ચિમથી શરૂ કરો. પરંતુ મેં કહ્યું હતું કે યાત્રા તો મણિપુરથી જ શરૂ થશે.
રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, અમે આ યાત્રા વડે નફરતના વાતાવરણને નાબૂદ કરવાનો અને સમગ્ર ભારતને એકસૂત્રતામાં બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ અભિયાનની શરૂઆત અમે ભારત જોડો યાત્રા-1 માં કરી હતી. તે સમયે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી યાત્રા કરી હતી. અત્યારે અમારી પાસે સમય ઓછો છે એટલે અમે બસ દ્વારા પણ પ્રવાસ કરીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરના થૌબલ જિલ્લામાંથી લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરાવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં તાનાશાહી વલણ ચાલી રહ્યું છે અને ભાજપ લોકતંત્રને ખતમ કરી રહી છે. ખડગેએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત માંગવા માટે મણિપુર આવ્યા હતા, પરંતુ જ્યારે રાજ્યના લોકો હિંસાથી મુશ્કેલીમાં હતા ત્યારે તેઓ દેખાયા નહતા.
રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરતા પહેલા ખોંગજોમ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ યાત્રામાં સામેલ થવા માટે દિલ્હીથી ખાસ ફ્લાઇટમાં સલમાન ખુર્શીદ, રાજીવ શુક્લા, આનંદ શર્મા, રણદીપસિંહ સુરજેવાલા, અશોક ગહેલોત, અભિષેક મનુ સિંઘવી, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, સચિન પાયલટ, દિગ્વિજયસિંહ, પ્રમોદ તિવારી સહિતના 70 જેટલા નેતાઓ રાહુલ ગાંધી સાથે ઇમ્ફાલ પહોંચ્યા હતા.