સુપ્રીમ કોર્ટમાં એક હત્યા કેસની સુનાવણી દરમિયાન, ફક્ત 11 વર્ષનો બાળક જ હાજર થયો ત્યારે સૌના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું હતું, સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યારે 11 વર્ષનો છોકરો કોર્ટમાં પોતાની જ હત્યા કેસમાં હાજર થયો અને કહ્યું કે તે જીવિત છે. બાળકના દાદા અને મામા પર તેની હત્યાનો આરોપ હતો. બાળકે કોર્ટમાં હાજર થઈને જણાવ્યું હતું કે તે જીવિત છે અને કોર્ટમાં હાજર છે ત્યારે તેના દાદા અને મામાને ખોટી રીતે હત્યાના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. યુપીના પીલીભીત આ મામલામાં અરજી સ્વીકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આગામી આદેશો સુધી અરજદાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી 2024માં થશે.
કોર્ટે આ મામલે યુપી સરકાર, પીલીભીતના એસપી અને ન્યુરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પણ નોટિસ પાઠવી છે તેમ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયુ છે.
11 વર્ષના બાળકને શા માટે તે સાબિત કરવા કોર્ટમાં હાજર થવું પડ્યું કે તે મૃત નથી એ વિશે અને આ કેસ સંબંધિત ઘટનાઓનો ખુલાસો કરતા વકીલ કુલદીપ જોહરીએ જણાવ્યું કે બાળક ફેબ્રુઆરી 2013થી તેના દાદાજી જે ખેડૂત છે તેમની સાથે રહેતો હતો. તેની માતાને તેના પિતાએ નિર્દયતાથી માર માર્યો હતો. આરોપ છે કે બાળકનો પિતા પરિવાર પાસેથી વધુ દહેજ માંગતો હતો.
એડવોકેટના જણાવ્યા અનુસાર, બાળકના માતા-પિતાના લગ્ન ફેબ્રુઆરી 2010માં થયા હતા. લગ્નના માત્ર ત્રણ વર્ષ પછી બાળકના પિતા દ્વારા ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યા બાદ બાળકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને માર્ચ 2013 માં બાળકની માતાનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ બાળકના નાનાએ તેમના જમાઈ વિરુદ્ધ IPC કલમ 304-B હેઠળ FIR નોંધાવી હતી. આ પછી જમાઈએ પુત્રની કસ્ટડીની માંગણી કરી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે કાયદાકીય લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈના કારણે બંને પક્ષોએ એકબીજા સામે કેસ કર્યા હતા.
વર્ષ 2023ની શરૂઆતમાં બાળકના પિતાએ પોતાના સસરા અને તેમના ચાર પુત્રો પર બાળકની હત્યાનો આરોપ લગાવતી FIR નોંધાવી હતી. પોલીસે બાળકના નાના અને ચાર મામાઓ સામે આઈપીસી કલમ 302 (હત્યા), 504 (ઈરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો.
એડવોકેટ કુલદીપ જોહરીના જણાવ્યા અનુસાર, તેમણે એફઆઈઆર રદ કરવા માટે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ, તેમણે બાળક જીવિત હોવાના પુરાવા તરીકે બાળક સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી 2024માં થશે.