- ગુજરાત એટીએસે આણંદથી ઝડપ્યો જાસુસ
- પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી
- ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો
ગુજરાત એટીએસને આજે બહુ મોટી સફળતા મળી છે, ગુજરાત એટીએસે આજે એક પાકિસ્તાની જાસુસને આણંદથી ઝડપી પાડ્યો છે. આ જાસુસ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા માટે જાસૂસી કરતો હતો, ગુજરાત ATSની છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ પર નજર હતી. આ વ્યક્તિ મૂળ પાકિસ્તાની છે અને ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને જાસૂસી કરતો હતો અને ભારતની ખૂબ જ મહત્વની અને ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનમાં મોકલતો હતો. પાકિસ્તાન માટે જાસુસી કરવાના બદલામાં તેને મોટી રકમ મળતી હતી. આ જાસુસ હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે અને તેની સઘન ઊલટ તપાસ ચાલી રહી છે.
ઈન્ડિયા ટુડે સાથે સંકળાયેલા અરવિંદ ઓઝાના અહેવાલ મુજબ, જુલાઈના ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં, આર્મી ઈન્ટેલિજન્સ અધિકારીઓને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) દ્વારા એક અભિયાન વિશે જાણ થઈ. જેમાં વોટ્સએપ નંબર 90****6792 દ્વારા સંરક્ષણ દળના કર્મચારીઓના એન્ડ્રોઈડ મોબાઈલ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મોટાભાગે જેમના બાળકો દેશની વિવિધ આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે એવા કર્મચારીઓ સાથે થયું છે. તેઓને સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનની આડમાં એક વોટ્સએપ મેસેજ દ્વારા એન્ડ્રોઇડ એપ્લિકેશન (.apk ફાઇલ) મોકલીને એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને તમને રાષ્ટ્રધ્વજ સાથે પોતાના બાળકનો ફોટોગ્રાફ અપલોડ કરવાનું તથા સ્પર્ધામાં ભાગ લેવા મેસેજમાં જણાવાયું હતું. આ મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાનો પરિચય આર્મી પબ્લિક સ્કૂલના અધિકારી તરીકે આપ્યો હતો.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાની એજન્સીએ એપીએસ વેબસાઈટ અથવા એન્ડ્રોઈડ એપ્લીકેશન ડિજીકેમ્પ્સ દ્વારા જૂના અને વર્તમાન કર્મચારીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. ડિજીકેમ્પ્સ નો ઉપયોગ મોટાભાગે એપીએસમાં ફી ચૂકવવા માટે થાય છે.
આ કેસમાં આર્મી ઈન્ટેલિજન્સ અને ગુજરાત એટીએસની મદદથી મુખ્ય આરોપી લાભશંકર મહેશ્વરીની ઓળખ થઈ હતી.તપાસમાં જાણવા મળ્યું કે લાભશંકરને તે વોટ્સએપ નંબર પાકિસ્તાની એજન્સી દ્વારા ખરીદ્યો હતો.
પુછપરછ દરમિયાન 53 વર્ષની ઉંમર ધરાવતા લાભશંકર મહેશ્વરીએ જણાવ્યું કે તે વર્ષ 1999માં તેની પત્ની સાથે ફર્ટીલિટી માટેની ટ્રીટમેન્ટ લેવા ભારત આવ્યો હતો. શરુઆતમાં તે તારાપુરમાં તેની સાસરીમાં રહેતો હતો કેટલાક વર્ષોથી તે આણંદમાં રહી રહ્યો છે. થોડા સમય બાદ તેના સાસુ-સસરા પણ ભારત રહેવા આવ્યા હતા. ત્યાર બાદ લાભશંકર મહેશ્વરીએ લાંબા ગાળાના વિઝા માટે આવેદન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006 માં લાભશંકરને ભારતીય નાગરિકતા મળી હતી.

ગુજરાત એટીએસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ઘણા સમયથી જાસૂસ તરીકે કામ કરતો હતો અને તે મોબાઈલ નંબર અને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી ડિટેઇલ અને તેમની ડિટેઇલ જાસૂસી કરીને પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો હતો. ઘણા સમયથી ચાલતી તેની આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને થતા સેન્ટ્રલ એજન્સીએ આ વ્યક્તિનો નંબર આંતરીને તેની વિગતો ગુજરાત એટીએસને સોંપી હતી. જેથી ATS તેનું સર્વેલન્સ કરી રહી હતી. લાભ શંકર સામેના ઘણા એવા ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. જેનાથી તે જાસૂસ હોવાનું સાબીત થઇ રહ્યુ છે. ત્યારે ATS દ્વારા તેની ધરપકડ કરી તેણે અત્યાર સુધીમાં કઇ કઇ ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે તેની જાણકારી મેળવવા પ્રયાય શરુ કરવામાં આવી રહ્યા છે તથા તેની પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.