Spread the love


• કિશોર મકવાણા 

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 93

• ભાગલાની વહેંચણીમાં છેતરપિંડી અને લોહિયાળ ભાગલા

  • ‘કલકત્તા’ ના તંત્રીએ રજૂ કરેલા તથ્યો હૃદય-વિદારક છે : ‘સર્વેક્ષણ વિભાગે રૈડક્લિફને જે નકશા આપ્યા, તે ભ્રામક અને કપોળકલ્પિત હતા. વાસ્તવિક્તાથી જોજનો દૂર હતા. કમિશનના હિન્દુ અને મુસલમાન સભ્યોને આપવામાં આવેલા નકશાઓ પણ એકસરખા ન હતા. રૈડક્લિફને પણ બંનેથી અલગ નકશા આપવામાં આવ્યા હતા.’ પાકિસ્તાન કુલ રાજ્ય – વિસ્તારનો 23 ટકા ભાગ પડાવી ગયું.
  • વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટનની મોટી મોટી વાતો અને આશ્વાસન નર્યું ગપ્પું સાબિત થયું. પશ્ચિમ પંજાબમાં મુસલમાનોએ હિન્દુઓનો ભયંકર સંહાર કર્યો અને પૂર્વ પંજાબમાં હિન્દુઓએ તેનો ભયંકર બદલો લીધો. માનવીય અત્યાચારના ઈતિહાસમાં આવાં ગણ્યાં – ગાંઠ્યાં ઉદાહરણ જોવા મળશે.

માઉન્ટબેટન અને રૈડક્લિફ સમક્ષ કૉંગ્રેસ અને શીખોએ સંયુક્ત માગણી કરી: શીખોની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનું રક્ષણ કરો, સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વની વાતોને ધ્યાનમાં લેવી જોઇએ, આર્થિક સુરક્ષા આપવામાં આવે અને સિંચાઈ પદ્ધતિ, નદી – નાળા તથા નહેરની જમીનના ભાગલા રાષ્ટ્રીય આધાર પર કરવા જોઈએ અને આના આધાર પર જ સરહદ આંકવી જોઇએ. પરંતુ આ માંગણીની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી. કુલ મળીને પૂર્વ પંજાબના ભાગમાં 38 ટકા ક્ષેત્રફળ અને 45 ટકા વસ્તી આવી. પશ્ચિમ પંજાબના ભાગમાં 38 ટકા ક્ષેત્રફળ અને 45 ટકા વસ્તી આવી. પશ્ચિમ પંજાબને 62 ટકા ક્ષેત્રફળ અને 55 ટકા વસ્તી મળી. સાથે – સાથે તેને અખંડ પ્રાંતની આવકનો બહુ મોટો ભાગ મળ્યો. અખંડ ભારતની કુલ 7 કરોડ એકર ખેતરની જમીનમાંથી ભારત સંઘને માત્ર 4.8 કરોડ એકર જમીન અથવા 6.8 ટકા જમીન મળી અને પાકિસ્તાનને 2.2 કરોડ એકર અર્થાત્ 32 ટકા જમીન મળી. એક તરફ શીખો તથા હિન્દુઓને લગભગ 4000 કરોડ રૂપિયાની ખોટ ગઈ, બીજી તરફ મુસલમાનોને ખૂબ જ થોડીક ખોટ ગઈ. બંગાળના મોરચા પર પણ આવી જ છેતરપિંડી થઈ. 3 ટકા મુસ્લિમ વસ્તીવાળા ચટગાંવના પહાડી વિસ્તારને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. એચ. એન. પંડિતે પોતાના પુસ્તક ‘ફ્રૈગ્મેંટ્સ ઓફ હિસ્ટ્રી’ માં જણાવ્યું છે કે માઉન્ટબેટને રૈડક્લિફ પર દબાણ કરીને પાકિસ્તાનને આ બધી સુવિધા અપાવી હતી. કૉંગ્રેસે અખંડ બંગાળના 59 ટકા ક્ષેત્રફળ અને 46 ટકા વસ્તીની માગણી કરી હતી. નિર્ણય અનુસાર જ્યારે પશ્ચિમ બંગાળના ભાગે માત્ર 56 ટકા ક્ષેત્રફળ અને 35 ટકા વસ્તી આવી. ચટગાંવના પહાડી વિસ્તાર સિવાય પણ ખુલના નામનો હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યો. ઉપરાંત પશ્ચિમ બંગાળના ભાગનો દર્જિલિંગ વિસ્તાર બાકીના પ્રાંતથી સાવ અલગ પડી ગયો.

‘કલકત્તા’ ના તંત્રીએ રજૂ કરેલા તથ્યો હૃદય-વિદારક છે : ‘સર્વેક્ષણ વિભાગે રૈડક્લિફને જે નકશા આપ્યા, તે ભ્રામક અને કપોળકલ્પિત હતા. વાસ્તવિક્તાથી જોજનો દૂર હતા. કમિશનના હિન્દુ અને મુસલમાન સભ્યોને આપવામાં આવેલા નકશાઓ પણ એકસરખા ન હતા. રૈડક્લિફને પણ બંનેથી અલગ નકશા આપવામાં આવ્યા હતા.

’ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્વ અને પશ્ચિમ ભાગના રાજ્ય – વિસ્તારના ભાગલા કરવામાં આવ્યા તેનાં તુલનાત્મક લેખાં – જોખાં આ પ્રકારે મળે છે : કુલ વસ્તીના 19 ટકાવાળું પાકિસ્તાન કુલ રાજ્ય – વિસ્તારનો 23 ટકા ભાગ પડાવી ગયું. પશ્ચિમ તરફના સરહદી પ્રાંત અંગે પણ ભારત સાથે જે ઉઘાડો ભેદભાવ કરવામાં આવ્યો તેની ચર્ચા તો થઈ ચૂકી છે. સિંધ પ્રાંતની વિધાનસભાને તો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ પશ્ચિમોત્તર સરહદી પ્રાંતને પડાવી લેવા માટે મુસ્લિમ લીગને એક વધુ મોકો આપવામાં આવ્યો. દેશભરમાં ‘સરહદના ગાંધી’ના નામથી વિખ્યાત અને પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની ખાન અબ્દુલ ગફારખાને જનમત સંગ્રહનો બહિષ્કાર કરવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે સ્વતંત્ર પખ્તૂનિસ્તાનનો વિકલ્પ તેમાં સામેલ નથી અને લોકોને એમ કહેવામાં આવ્યું છે કે તે ભારત અને પાકિસ્તાનમાંથી કોઇ પણ એકની પસંદગી કરી લે. મુસ્લિમ લીગને તેનાથી મોકળું મેદાન મળી ગયું. તેણે કબાઈલી મુસલમાનોની ઈસ્લામી ધર્માંધતાને ભડકાવી અને દારુલ – ઈસ્લામનો નારો લગાવ્યો.

પંજાબ અને બંગાળના ભાગલા થયા તેના પરિણામે ભયંકર વિનાશ થયો. તેનું વર્ણન શક્ય નથી. ભાગલાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘લોહીનું એક ટીપું પણ ધરતી પર ન પડે’ તે માટે સરહદ પર 50,000 જવાનો મૂકવામાં આવ્યા હતા. માઉન્ટબેટને આશ્વાસન આપ્યું હતું : ‘કમ સે કમ આ એક પ્રશ્ર (હત્યાકાંડ) વિશે હું પૂર્ણ આશ્વાસન આપવા માગું છું. રક્તપાત કે તોફાનો ન થાય તે માટે હું પૂરતી તૈયારી કરીશ. હું સૈનિક છું, અસૈનિક નહીં. ભાગલાનો એક વખત સિદ્ધાંત તરીકે સ્વીકાર કરી લેવામાં આવશે ત્યાર પછી દેશમાં કોઈ કોમી તોફાનો ન થાય તે પ્રકારના આદેશો આપીશ. ક્યાંય કોઈ થોડુંક પણ આંદોલન થશે તો હું આકરાં પગલાં લઈશ અને આંદોલન શરૂ થાય તે પહેલાં જ તેને દબાવી દઈશ. હું સશસ્ત્ર પોલીસનો પણ ઉપયોગ નહીં કરું. હું સ્થળસેના અને વાયુસેનાને આદેશ આપીશ. જો કોઈ તોફાનો કરાવવાનો પ્રયત્ન કરશે તો તેને દબાવવા માટે ટેંક અને વિમાનનો ઉપયોગ કરતાં પણ અચકાઈશ નહીં.’ (મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 143)

પરંતુ વાઈસરૉયની આવી મોટી મોટી વાતો અને આશ્વાસન નર્યું ગપ્પું સાબિત થયું. પશ્ચિમ પંજાબમાં મુસલમાનોએ હિન્દુઓનો ભયંકર સંહાર કર્યો અને પૂર્વ પંજાબમાં હિન્દુઓએ તેનો ભયંકર બદલો લીધો. માનવીય અત્યાચારના ઈતિહાસમાં આવાં ગણ્યાં – ગાંઠ્યાં ઉદાહરણ જોવા મળશે.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love