Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ લેખમાળા આપ જરૂર વાંચો જેથી ઈતિહાસની સાચી હકીકતો જાણી શકશો….

વાંચો લેખમાળાનું પ્રકરણ – 56

• મુસ્લિમ લીગની ગુંડાગીરી અને બ્લેકમેઇલ આગળ કોંગ્રેસ ઝૂકતી ગઇ

  • ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ઝીણાએ ગુલાંટ ખાધી અને પાકિસ્તાન માટેનો બદનામ પ્રસ્તાવ પસાર કરીને મુસલમાનોને અલગ રાખવાની ખતરનાક અને વિનાશક નીતિ અખત્યાર કરી. …કમનસીબે આ નીતિ અપનાવીને ઝીણાએ મુસ્લિમોની કુસેવા કરી તે મુસલમાનો કેમ સમજતા નથી.
  • મહંમદ ઝીણાએ કૉંગ્રેસની મનોદશાને બરાબર સમજી લીધી હતી. એમને સમજાઈ ગયું હતું કે મુસ્લિમ લીગ જેટલી અક્કડ બનશે, એટલી જ કૉંગ્રેસ વધુ નમશે. મુસ્લિમ લીગની ભ્રાંતિઓ દૂર કરી શકાય તથા મુસ્લિમ લીગની બધી માગણીઓ પૂરી થાય એમ કૉંગ્રેસ ખરા અંતઃકરણથી ઈચ્છે છે એવો વિશ્વાસ કરાવવા માટે પોતાની પરંપરા ચાલુ રાખી ફરીથી એકવાર કૉંગ્રેસ મુસ્લિમ લીગના પગ પકડવા માટે એના બારણે જઈ પહોંચી. રાષ્ટ્રવાદી મનાતા ઝીણાએ કોમવાદની સવારી કરી.
    ઝીણાના નેતૃત્વમાં મુસ્લિમ લીગે ભયાનક કટ્ટરતાનાે માર્ગ પકડ્યો.
    ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ઝીણાએ ગુલાંટ ખાધી અને પાકિસ્તાન માટેનો બદનામ પ્રસ્તાવ પસાર કરીને મુસલમાનોને અલગ રાખવાની ખતરનાક અને વિનાશક નીતિ અખત્યાર કરી. …કમનસીબે આ નીતિ અપનાવીને ઝીણાએ મુસ્લિમોની કુસેવા કરી તે મુસલમાનો કેમ સમજતા નથી. …મુસ્લિમ લીગના મૂળ ધ્યેયમાં કેવી વિકૃતિ! ઉદ્દાત્તમાંથી વિચિત્રતામાં કેવું અધ:પતન!!’ (ડો. બી. આર આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 424-425)
    ઝીણા હવે મુસલમાનોને ઉશ્કેરવાની એક પણ તક જવા દેતા નહોતા. નાની નાની વાતે મુસલમાનોમાં જૂઠ ફેલાવતા. કોન્ગ્રેસનું જે પ્રાંતોમાં શાસન હતું ત્યાં મુસલમાનો પર અત્યાચાર થાય તેવો કકળાટ ઝીણાએ શરુ કર્યો. તે માટે મુસ્લિમ લીગે પીરપુરના નવાબની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની જાહેરાત કરી. સમિતિએ ફટાફટ એનો અહેવાલ રજૂ કરી દીધો. નવેમ્બર 1938માં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલ એક સફેદ જુઠ્ઠાણું હતું. તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદે આ અહેવાલને ફરી જોઈ જવા માટે સંઘીય ન્યાયાલયના અંગ્રેજ મુખ્ય ન્યાયાધીશ સર મૈરિસ ગ્વાયરને સોંપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો અને કહ્યું કે એનો ચુકાદો કૉંગ્રેસ સ્વીકારી લેશે. મુસ્લિમ લીગ આ ચેલેન્જ માટે તૈયાર ન થઈ. પંડિત ફજલુલહકે નહેરુને મુસલમાનોને જ્યાં સતાવવામાં આવે છે, જ્યાં એમના પર અત્યાચારો થાય છે એવા વિસ્તારોમાં જવા અને સાચી હકીકત શી છે એ જાણવા પડકાર્યા. પંડિત નહેરુએ આ પડકાર ઝીલી લીધો તો હક પોતે જ ઠંડા થઈ ચૂપ બેસી ગયા.
    જ્યાં કૉંગ્રેસી પ્રધાનમંડળો હતાં એ પ્રાંતોના રાજ્યપાલોએ કે સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ જેટલેન્ડે મુસલમાનો વિરુદ્ધ ‘કૉંગ્રેસ અત્યાચારો’ નો પ્રશ્ન ઊઠાવ્યો નહોતો. હકીકતમાં તો સંયુક્ત પ્રાંતના રાજ્યપાલ હૈરી હેગે, જેમના પર મુસ્લિમ લીગે ક્યારેય કૉંગ્રેસ માટે ઉદાર હોવાનો આક્ષેપ કર્યો ન હતો, તમણે કહ્યું હતું: ‘કૉંગ્રેસના મંત્રીઓએ સાંપ્રદાયિક સમસ્યાઓથી પેદા થયેલ પ્રશ્નોનો ઉકેલ લાવતી વખતે સામાન્ય રીતે નિષ્પક્ષતા અને ઔચિત્યથી કામ લીધું હતું.’ મુસ્લિમ લીગે એનો અહેવાલ વાઈસરૉય લિનલિથગોને રજૂ કર્યો, પણ વાઈસરૉય આ અંગે એક શબ્દ પણ બોલ્યા નહીં. વાઈસરૉયે સેક્રેટરી ઓફ સ્ટેટ એમરીને એક પત્ર લખી જણાવ્યું કે કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ મુસ્લિમ લીગની ફરિયાદો મનોવૈજ્ઞાનિક પ્રકારની છે અને એમણે એને ગંભીરતાથી લીધી નથી. આમ છતાંય મુસ્લિમ લીગ ‘પીરપુર અહેવાલ’ ને કૉંગ્રેસ વિરુદ્ધ પ્રચાર અભિયાનનો મુખ્ય આધાર બનાવતી રહી. પીરપુર અહેવાલમાં જે આરોપો મૂક્યા છે, એનું વિશ્લેષણ મુસ્લિમ અને સેક્યુલર પ્રકૃતિને અનુરુપ જ હતું. એમાંના મોટા ભાગના પ્રશ્નો હતા – વંદે માતરમ્, ત્રિરંગો ધ્વજ, કૉંગ્રેસનો મુસ્લિમ જનસંપર્ક કાર્યક્રમ, બુનિયાદી શિક્ષણની વર્ધા યોજના, હુલ્લડો અને હિંદી ભાષા…
    ‘વંદે માતરમ્’ ગાન તો ત્રીસ વર્ષ કરતાંય વધુ સમયથી પ્રચલિત હતું. વિધાનસભાઓ અને કૉંગ્રેસની સભાઓમાં વર્ષોથી એ ગવાતું હતું. મહંમદ ઝીણા પોતે જ પંદર વર્ષ સુધી કૉંગ્રેસના પ્રમુખ સભ્ય રહ્યા હતા એ દરમ્યાન આ ગીતમાં એમને કોઈ વાંધો-વચકો દેખાયો ન હતો. આમ છતાંય કૉંગ્રેસે મુસ્લિમ લીગની માંગણીને સંતોષવા માટે જ ‘વંદે માતરમ્’ ની માત્ર પહેલી બે કડીઓ રાખવાનો નિર્ણય કર્યો અને ગીતની બાકીની બધી જ કડીઓ કાઢી નાખવી, જેથી એ ગીતમાંથી મુસલમાનોને ‘હિન્દુત્વની ગંધ’ આવતી હતી, એ આવે નહીં. ‘વંદે માતરમ્’ ગીત માટે મુસ્લિમ લીગે સાવ વાહિયાત નવી દલીલ રજૂ કરી હતી. એણે દલિલ કરી કે ‘આનંદમઠ’ નવલકથામાં આ ગીત સૌ પહેલાં પ્રગટ થયું, જેની પૃષ્ઠભૂમિ મુસલમાનોના હૃદયને ઠેસ પહોંચાડનારી છે.
    ભારતીય રાજનીતિમાં કૉંગ્રેસ-લીગ સંદર્ભમાં ઘેટા અને વરૂની વાર્તા અક્ષ્રરશઃ ચરિતાર્થ થતી હતી.
    ત્રિરંગા ધ્વજ અંગેનો આક્ષેપ પણ એવો જ હતો. અત્યાર સુધી આ અંગે સામાન્ય રીતે મુસલમાનોએ અને ખાસ કરીને મુસ્લિમ લીગે કોઈ વાંધો ઊઠાવ્યો ન હતો. કૉંગ્રેસના મુસ્લિમ જનસંપર્ક અભિયાન અંગેની મુસ્લિમ લીગની ટીકા બેફામ હતી એ કહેવાની જરૂર નથી. આ મુસ્લિમ લીગ આ દ્વારા ઈચ્છતી હતી કે મુસલમાનો સિવાય કોઈ બીજા બિન સરકારી સંગઠનને મુસલમાનો સાથે સંપર્ક કરવાનો અધિકાર નથી. એવી જ રીતે એક વર્ધા યોજના શિક્ષણ (પ્રચલિત નામ ‘વિદ્યામંદિર યોજના’) પ્રકલ્પ ચાલતો હતો. પુસ્તકો કરતાં હસ્તકલા –કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે એવો એ પ્રકલ્પનો મૂળ આશય હતો.
    આ યોજના ડૉ. જાકિર હુસેનની અધ્યક્ષતામાં અલીગઢ યુનિવર્સિટીના ખ્વાજા જી. સૈયદની સહાયથી તૈયાર કરવામાં આવી હતી. બન્ને જાણીતા કેળવણીકારો હતા; પરંતુ મુસલમાનોને એની સાથે કોઈ લેવા-દેવા ન હતી. એમણે ‘વિદ્યામંદિર’ નામની કડક ટીકા કરી. એમણે આક્ષેપ કર્યો કે આ તો હિન્દુ સંસ્કૃતિ લાદવાનું, મુસ્લિમ બાળકોની આસ્થા ડગાવવાનું અને મુસ્લિમ સંસ્કૃતિ નષ્ટ કરનારી યોજના છે. એમણે સમગ્ર દેશમાં ઈસ્લામી શિક્ષણ લાગુ કરવાની માગણી કરી.
    કહેવાતા હિન્દુ – મુસ્લિમ હુલ્લડોનો પ્રશ્ન છે ત્યાં સુધી કોઈ પણ ન્યાયાધીશે કૉંગ્રેસી પ્રધાનમંડળો પર ક્યારેય કોઈ આક્ષેપ કર્યો નહોતા. કૉંગ્રેસ હિન્દી લાદી રહી છે એવો આક્ષેપ હાસ્યાસ્પદ હતો કારણ કે કૉંગ્રેસ તો પહેલેથી જ ‘હિન્દુસ્તાની’ ને વરી ચૂકી હતી.
    મુસ્લિમ લીગે ઝેર ઓકવામાં કોઈ કચાશ ન રાખી. કૉંગ્રેસ પોતાને નિર્દોષ ઠેરવવાનો પ્રયાસ કરતી, તર્કસંગત વિચાર દ્વારા સ્થિતિને સ્પષ્ટ કરતી, પોતે મુસ્લિમોની હિતેચ્છુ છે એવા ખુલાસા કરતી તો મુસ્લિમ લીગની દોષારોપણની ઝડીઓ વધુ તીવ્ર બની જતી. મહંમદ ઝીણાએ કૉંગ્રેસની મનોદશાને બરાબર સમજી લીધી હતી. એમને સમજાઈ ગયું હતું કે મુસ્લિમ લીગ જેટલી અક્કડ બનશે, એટલી જ કૉંગ્રેસ વધુ નમશે. મુસ્લિમ લીગની ભ્રાંતિઓ દૂર કરી શકાય તથા મુસ્લિમ લીગની બધી માગણીઓ પૂરી થાય એમ કૉંગ્રેસ ખરા અંતઃકરણથી ઈચ્છે છે એવો વિશ્વાસ કરાવવા માટે પોતાની પરંપરા ચાલુ રાખી ફરીથી એકવાર કૉંગ્રેસ મુસ્લિમ લીગના પગ પકડવા માટે એના બારણે જઈ પહોંચી.

:ક્રમશ:
© kishormakwana


Spread the love