Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 54

• રાષ્ટ્રહિતને સર્વોપરિ માનતા ખોજા ઇસ્માઇલી ઝીણાને ગાંધીજી અને કોન્ગ્રેસે કટ્ટરતાના માર્ગે

  • મજા એ છે કે ઝીણા જન્મે ખોજા ઇસ્માઇલી મુસલમાન હતા. જેમને મુસલમાનો મુસ્લિમ જ નથી ગણતા. મૂળ લોહાણા પરિવારમાં જન્મેલા મોહમ્મદ ઝીણાના પૂર્વજોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. ઝીણાના દાદાએ માછીમારીનો ધંધો શરૂ કર્યો હતો, લોહાણા સમાજને આ પસંદ ન આવતાં ના છૂટકે ઝીણાના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.
  • મુસ્લિમ લીગમાં સામેલ થતી વખતે પણ ઝીણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એમની ‘પ્રથમ નિષ્ઠા’ રાષ્ટ્રહિત માટેની છે. સરોજની નાયડુએ લખ્યું છે, ‘ઝીણા વિધિવત્ મુસ્લિમ લીગના સભ્ય તો બની ગયા, પરંતુ એમના નામનો પ્રસ્તાવ મૂકનાર બે વ્યક્તિઓને શરૂઆતમાં જ એક પવિત્ર શપથ લેવા પડ્યા હતા કે એ વિશાળ રાષ્ટ્રીય હિત પ્રત્યે એમનું જીવન સમર્પિત છે અને એના પર મુસ્લિમ લીગ અને મુસ્લિમ હિત પ્રત્યે નિષ્ઠા રાખવાથી કોઈ પણ પ્રકારની અને કોઈ પણ સમયે અનિષ્ઠાની છાયા નહિ પડે.’

મહંમદઅલી ઝીણાએ હવે નિર્વિવાદરૂપે મુસ્લિમ લીગની નેતાગીરીની લગામ સંભાળી લીધી હતી. અંગ્રેજ સરકાર અને કૉંગ્રેસ બન્ને એમને વાસ્તવમાં મુસલમાનોના અખિલ ભારતીય પ્રતિનિધિ માનતા હતા. હવે એમને ધૂમધામથી રાજકીય મંચ પર આવવાનું હતું. આથી ઝીણાની રાજકીય જીવનના પ્રારંભકાળમાં કેવી માન્યતાઓ હતી અને પાછળથી એમાં કેમ અને કેવી રીતે પરિવર્તન આવ્યું એ ટૂંકમાં જાણી લેવું ખૂબ જરુરી છે.
ઝીણાને ઈસ્લામ સાથે કોઈ લાગણી સંબંધ નહોતો. એ જરાય ધાર્મિક નહોતા. ઇસ્લામના માપદંડ મુજબ જોઇએ તો મહંમદઅલી ઝીણાને ઇસ્લામ સાથે દૂર દૂર સુધી લેવા દેવા નહોતી. એમને કોઈ પણ પ્રકારે ધાર્મિક કહેવા એ પણ યોગ્ય નહીં ગણાય. 25 ડિસેમ્બર 1876ના રોજ જન્મેલા ઝીણાને યુવાનીમાં બધી ગુજરાતી શૈલીમાં ‘ઝીણાભાઈ’ કહેતા. તેમના પિતા ઝીણાભાઈ પુંજાભાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા. તેમના માતાનું નામ મીઠીબાઈ હતું. મજા એ છે કે ઝીણા જન્મે ખોજા ઇસ્માઇલી મુસલમાન હતા. જેમને મુસલમાનો મુસ્લિમ જ નથી ગણતા. મૂળ લોહાણા પરિવારમાં જન્મેલા મોહમ્મદ ઝીણાના પૂર્વજોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. ઝીણાના દાદાએ માછીમારીનો ધંધો શરૂ કર્યો હતો, લોહાણા સમાજને આ પસંદ ન આવતાં ના છૂટકે ઝીણાના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. આ પરિવાર ફરી પાછા હિન્દુ ધર્મમાં આવવા માંગતા હતા પણ પાછા આવવાના હિન્દુ ધર્મે એમના દરવાજા બંધ કરી દીધા. હિન્દુ ધર્મમાં પેદા થયેલી કેટલીક વિકૃતિમાં એક આ વિકૃતિ પણ હતી કે ઘર વાપસી માટે દરવાજા બંધ કરી દેવા.
ઝીણા મુંબઇમાં વકીલ તરીકે બહુ ખ્યાતનામ હતા.
‘હોમરૂલ લીગ’ ના તેઓ અધ્યક્ષ બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે ‘તેઓ હિન્દુઓના દશાવતારોમાં માને છે એવા ઈસ્લામ પંથના અનુયાયી છે.’ વળી એમના પંથમાં મોટા ભાગે હિન્દુ સમાજમાં પ્રચલિત છે એવી સામાજિક પરંપરાઓ અને સંપત્તિ સંબંધી અધિકારોના કાયદા છે. તેઓ ઇસ્લામી કટ્ટરતા અને મુલ્લાઓની ઘૃણા કરતા હતા. એકવાર એમણે સેક્યુલર પંડિત મોતીલાલ નહેરુને કહ્યું હતું, ‘હું મુલ્લાઓના કોઈ પણ પ્રકારના બકવાસમાં વિશ્વાસ રાખતો નથી.’ જો કે ગમે તેમ ‘આ મૂર્ખાઓને સાથે રાખવા પડે છે.’ (વી. વી. કુલકર્ણી : ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, પૃષ્ઠ: 275)
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઝીણાના આ ભાગ પર પ્રકાશ પાડતાં કહ્યું છે, ‘એમનું નિષ્ઠાવાન કે દીની મુસલમાનનું રૂપ તો ક્યારેય રહ્યું નહોતું. વિધાનસભામાં સભ્ય તરીકે સોગંદ લેતા માત્ર ત્યારે જ તેઓ કુરાનને ચુંબન કરતા હતા. આ સિવાય એમણે કુરાનના વિષયવસ્તુ કે સિદ્ધાંત વિશેષ અંગે ચિંતા કરી હોય એવું ક્યારેય જોવા મળ્યું નહિ. એમણે ક્યારેય ઉત્સુક્તાવશ કે શ્રદ્ધા ભાવે કોઈ મસ્જિદમાં પગ મૂક્યો હોય એ વાતમાં શંકા છે. ઝીણા ક્યારેય ધાર્મિક કે રાજકીય મેળાવડામાં જોવા મળતા નહિ.’ (ડો. બી. આર. આંબેડકર: થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 405)
અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાઓનો એમને કક્કોય આવડતો નહોતો.
ઝીણા અનેકવાર ગૌરવપૂર્વક કહ્યા કરતા હતા કે એમણે રાજનીતિના પાઠ સુરેન્દ્રનાથ બેનરજીના ચરણે બેસી શીખ્યા છે. એકવાર ગોખલેજીએ કહ્યું હતું કે ‘એમને ઝીણા પાસે ખૂબ મોટી આશાઓ હતી. ઝીણા દંભી નહોતા. જેવા છે તેવા વ્યક્ત થાય છે. એ બધા સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત છે. આથી હિન્દુ – મુસ્લિમ એક્તાના એ સર્વોત્તમ રાજદૂત સાબિત થશે.’ (વી. વી. કુલકર્ણી : ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, પૃષ્ઠ: 278-279)
1920 માં દિલ્હીના યુદ્ધ – સંમેલન પ્રસંગે સરકારે લોકમાન્ય ટિળક પ્રત્યે જે અસભ્ય અને અપમાનજનક વ્યવહાર કર્યો હતો, એના માટે ઝીણાએ સરકારની જાહેરમાં ટીકા કરી હતી. લોકમાન્ય ટિળક વિરુદ્ધ ઐતિહાસિક રાજદ્રોહ કેસમાં એમણે મુંબઈની વડી અદાલતમાં લોકમાન્ય ટિળકની વકીલાત કરી હતી.
મુસ્લિમ લીગમાં સામેલ થતી વખતે પણ ઝીણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એમની ‘પ્રથમ નિષ્ઠા’ રાષ્ટ્રહિત માટેની છે. સરોજની નાયડુએ લખ્યું છે, ‘ઝીણા વિધિવત્ મુસ્લિમ લીગના સભ્ય તો બની ગયા, પરંતુ એક નાની સરખી ઘટનાએ પણ સંસ્કારનું રૂપ પકડી લીધું. આ એમના વિલક્ષણ સંવેદનશીલ; પરંતુ કઠોરતા માટે કાંઈક વિનોદી સ્વભાવનું દર્શન કરાવે છે. એમના નામનો પ્રસ્તાવ મૂકનાર બે વ્યક્તિઓને શરૂઆતમાં જ એક પવિત્ર શપથ લેવા પડ્યા હતા કે એ વિશાળ રાષ્ટ્રીય હિત પ્રત્યે એમનું જીવન સમર્પિત છે અને એના પર મુસ્લિમ લીગ અને મુસ્લિમ હિત પ્રત્યે નિષ્ઠા રાખવાથી કોઈ પણ પ્રકારની અને કોઈ પણ સમયે અનિષ્ઠાની છાયા નહિ પડે.’ (વી. વી. કુલકર્ણી : ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, પૃષ્ઠ: 282-283) મતલબ ઝીણા માટે રાષ્ટ્રહિત સર્વોપરિ હતું.
રાષ્ટ્રવાદ પ્રત્યેના એમના સમર્પણને અનુરૂપ જ તેઓ લોકમાન્ય ટિળકના શિષ્ય બની ગયા. 1919માં ભારત – શાસન –સુધાર વિધેયક અંગે સંયુક્ત પ્રવર સમિતિ સમક્ષ જુબાની આપતાં એમણે આ નીતિનું પ્રતિપાદન કર્યુ હતું. એમણે કહ્યું કે તેઓ એક રાષ્ટ્રવાદી ભારતીય તરીકે જૂબાની આપી રહ્યા છે. એમનો દ્રઢ વિશ્વાસ છે કે મુસલમાનો માટેનું અલગ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ વહેલી તકે સમાપ્ત થવું જોઈએ. રાષ્ટ્રીય જીવનમાં હિન્દુઓ અને મુસલમાનોના મતભેદ જલદીમાં જલદી દૂર થશે તો એમને અત્યંત આનંદ થશે. એમણે એ પણ કહ્યું કે, ‘1913માં મુસ્લિમ લીગના આગરા અધિવેશનમાં 120 પ્રતિનિધિઓમાંથી 40 પ્રતિનિધિઓએ અલગ મતદારમંડળ રાખવા વિરુદ્ધ મતદાન કર્યું હતું. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગળની તપાસ વખતે મોટાભાગના મુસ્લિમ પ્રતિનિધિઓ સંયુક્ત મતદારમંડળ માટે આગ્રહ રાખશે.’ (એમ. એ. કરંદીકર : ઈસ્લામ, પૃષ્ઠ: 171)
રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને કારણે જ એમણે (ઝીણાએ) ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. સંસ્કારી અને ઇસ્લામ પ્રત્યે જરાય આસ્થા ન હોવાના કરારણે જ ઝીણા બંધારણીય ઉપાયો પ્રત્યે ઢળેલા હતા. આ માટે તેઓ 1920માં ગાંધીજીએ શરૂ કરેલા અસહયોગ આંદોલનના વિરોધી બન્યા. અસહયોગ – આંદોલનમાં સ્થાપિત સત્તાને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હતો.
પણ….. હવે ઝીણા ઉલઝનમાં ફસાઈ ગયા. એક બાજુ ગાંધીજી એ કોંગ્રેસની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો હતો; પરંતુ એમાં એમના માટે કોઈ જગ્યા ન હતી. કારણ કે એમનો વિશ્વાસ બંધારણીય ઉપાયોમાં હતો. કૉંગ્રેસે કટ્ટર મુસ્લિમવાદી અને અલગતાવાદી નીતિ અપનાવી હતી. આ સ્થિતિમાં ઝીણા જેવા પ્રમાણમાં સંપ્રદાય નિરપેક્ષ અને રાષ્ટ્રવાદી વ્યક્તિને કોન્ગ્રેસ બહુ ભાવ નહોતી આપતી. કોન્ગ્રેસ માટે ક્ટ્ટરપંથી નેતા અને મુલ્લાઓનું મહત્વ વધારે હતું. આ સ્થિતિમાં ઝીણાએ પોતાની જગ્યા બનાવવાની હતી.

। ક્રમશઃ।
©kishormakwana


Spread the love