Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 47

• પહેલી જ વાર ભાગલાનાં ‘બી વવાયાં’…

  • સી. આર. દાસના ગુણગાન ગાતા મૌલાના અબુલ આઝાદ વધુમાં કહ્યું, ‘બંગાળની સાંપ્રદાયિક સમસ્યાઓ ઉકેલવાની એમની રીત અનોખી છે અને આજે પણ અનુકરણીય છે.’ (પુસ્તક 1959માં પ્રગટ થયું હતું.) કેવી વિચિત્ર વાત છે ! આઝાદે ‘આજે પણ’ અર્થાત્ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી પણ એ જ નીતિના અનુકરણની ઈચ્છાના ગુણગાન ગાયાં હતાં. મતલબ આઝાદ મુસલમાનો માટે દરેક જગ્યાએ પચાસ ટકાથી વધુ અનામત અને ગૌહત્યા ઇચ્છતા હતા.

ગાંધીજી ખિલાફત આંદોલનને વિરાટ જન-આંદોલનમાં ફેરવવા ઇચ્છતા હતા. આથી એમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધ 1920ના અસહયોગ આંદોલનના ભાગ રૂપે વિધાનસભાઓ, વિદ્યાલયો અને યુનિવર્સિટી તથા કોર્ટનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું. પ્રાંતીય વિધાનસભાઓ અને કેન્દ્રીય ધારાસભાની પહેલી ચૂંટણી આ વર્ષના નવેમ્બરમાં થવાની હતી. કૉંગ્રેસ અને ખિલાફત સમિતિએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું. મુસ્લિમ લીગ તટસ્થ રહી. પંજાબમાં ‘યુનિયનિસ્ટ પાર્ટી’ અને મદ્રાસમાં ‘જસ્ટિસ પાર્ટી’ સત્તામાં આવી. બાકીના પ્રાંતોમાં પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કરનાર કોઈ પક્ષ ન હતો. ફેબ્રુઆરી 1922માં સંયુક્ત પ્રાંતના (હાલ ઉત્તરપ્રદેશ)ના ગોરખપુર પાસેના ચૌરી-ચૌરા ગામે ગુસ્સે ભરાયેલી ભીડે એક પોલીસ થાણાને આગ લગાડી દીધી. આ આગમાં પોલીસ ઈન્સ્પેક્ટર અને 21 કોન્સ્ટેબલ જીવતા સળગી મર્યા. આ ઘટનાથી દુ:ખી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લેવાનું એલાન કર્યું. સરકારે ગાંધીજી અને બીજા નેતાઓને જેલમાં પૂરી દીધા. કૉંગ્રેસમાં એ સમયે એકપણ જવાબદાર નેતા નહોતો.
બીજી તરફ લખનૌ કરાર તો થયા પણ તેની શરુઆત સારી ન રહી. મુસ્લિમોએ દર વખતની જેમ રમત શરુ કરી અને ફરિયાદ કરવા લાગ્યા કે હિન્દુ-બહુમતી ધરાવતા પ્રાંતોમાં મુસલમાનોને વધુ પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું, પણ વિધાન પરિષદોમાં જગ્યાની વહેંચણીમાં બંગાળ અને પંજાબ જેવા મુસ્લિમ-બહુમતી ધરાવતા પ્રાંતોને મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતો બનાવી દીધા. મુસલમાનો માટેના ‘ઇલહામ’ (ચમત્કાર) પાછળ અંગ્રેજોની બુદ્ધિ કામ કરી રહી હતી. એપ્રિલ 1919માં જ ભારત સરકારે ધ્યાન ખેંચ્યું હતું કે પંજાબમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. હવે એમની વસ્તીના 91% રહ્યું છે અને બંગાળમાં 76% જ રહી ગયું છે. આ બે પ્રાંતોના મુસ્લિમ નેતાઓ હવે લખનૌ કરારમાં આ પ્રાંતો સંબંધિત કલમને નકામી બનાવી દેવાનો આગ્રહ કરવા લાગ્યા. હિન્દુ મહાસભાના નેતાઓ અને ખાસ કરીને લાલા લજપતરાયે આનો જબરજસ્ત વિરોધ કર્યો. 1920માં મુસ્લિમ લીગે એક રૉયલ કમિશન નીમવાનો આગ્રહ કર્યો. આ આયોગે ‘સંપૂર્ણ જવાબદારીવાળી સરકાર અને અલગ મતદાર મંડળોની રચના કરવાની હતી, પણ સાથે સાથે એ પણ જોવાનું હતું કે ‘દરેક પ્રાંતમાં લઘુમતીઓને પૂરતું અને પ્રભાવી પ્રતિનિધિત્વ મળે તથા કોઈ પણ પ્રાંતમાં બહુમતીને ઘટાડીને લઘુમતીમાં કે એની બરાબરીમાં લાવી દેવામાં ન આવે’ એવી ભારતીયોની માગણી પર વિચાર કરવાનો હતો.
મુસ્લિ લીગના આ માંગણીનો અર્થ એટલો જ હતો કે હિન્દુ હિતોની સરખામણીમાં બંને હાથમાં લાડુ વાળી નીતિ અમલમાં લાવવી જોઇએ. એક બાજુએ હિન્દુ બહુમતીવાળા પ્રાંતોમાં પોતાનું વધુ પડતું પ્રતિનિધિત્વ ચાલુ રાખવા માગતી હતી, તો બીજી બાજુ મુસ્લિમ બહુમતી પ્રાંતાેમાં હિન્દુઓને લઘુમતીની આ સવલતો ન મળે એમ ઈચ્છતી હતી.
ખિલાફત આંદોલન પછી મુસ્લિમો કૉંગ્રેસથી અળગા થઈ દૂર જવા લાગ્યા. મુસલમાનો દેશહિત કે કાયદા કાનૂન મુજબ નહોતા વિચારતા એ વૈશ્વિક ઇસ્લામ મુજબ વિચારતા અને વર્તતા હતા. એટલે ખિલાફત આંદોલન પત્યા પછી દૂર જવું સ્વાભાવિક હતું.
કૉંગ્રેસ પર મુસ્લિમોની આ સમસ્યા ખરાબ રીતે છવાઈ ગઈ હતી. કોન્ગ્રેસ ઘાંઘી થઇ ગઇ હતી. હિન્દુ-મુસ્લિમ એકતાનું ભૂત ભયાનક હદે સવાર હતું. 1923માં ચૂંટણી થવાની હતી. સ્વરાજ્ય પક્ષના નેતા સી. આર. દાસની પ્રેરણાથી બંગાળ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિએ એક વિચિત્ર ‘સેક્યુલર હિન્દુ-મુસ્લિમ સમજૂતી’ ઘડી કાઢી. આ સમજૂતી અનુસાર હિન્દુઓ અને મુસલમાનોને પોતપોતાની વસતીના પ્રમાણમાં અલગ અલગ પ્રતિનિધિત્વ આપવાની ગોઠવણ હતી. બહુમતી સમુદાયને જિલ્લાવાર 60% પ્રતિનિધિત્વ. પોતાની વસતીના પ્રમાણમાં મુસલમાનોને સુયોગ્ય પ્રતિનિધિત્વ મળે નહિ ત્યાં સુધી તેમને માટે બધી નવી નિમણૂંકોના 60% અનામત અને કલકત્તા નગર નિગમમાં 80% અનામત. મજહબી હેતુ માટે મુસ્લિમો ગોહત્યા કરે તો ‘વિરોધ ન કરવાનું’ વચન તથા મસ્જિદો સામે વાજિંત્રો વગાડવા પર પ્રતિબંધ. અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ આ કરાર (સમજૂતીને) 458 વિરુદ્ધ 678 મતે ફગાવી દીધો. એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ પણ છે કે આ 678 વિરોધીઓમાંથી કેટલાયે આ પ્રસ્તાવના વિષયવસ્તુનો વિરોધ કર્યો ન હતો. એ લોકો તો આને લેખિત રૂપ ન અપાય એટલું જ ઈચ્છતા હતા. જે ચર્ચા થઈ અને જે રીતે મતદાન થયું હતું એ પરથી તો આ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે એના મોટા ભાગના નેતાઓ મુસ્લિમોને કેટલી હદ સુધી લાડ લડાવવા માટે માનસિક રીતે તલપાપડ હતા.
મૌલાના આઝાદે (મૌલા આઝાદ એટલે એક નંબરના દંભી. માત્ર દેખાવ ખાતર જ હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો કરતા બાકી હાડોહાડ કટ્ટરવાદી હતા. રાજકીય મંચ પર ચડીને સૂફીયાણી વાતો કરવા સિવાય આખી સ્વતંત્રતા આંદોલનમાં એમનું કોઇ જ યોગદાન નથી) સી. આર. દાસના ‘રાજકીય યથાર્થવાદ’ની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ‘…સ્વરાજ્ય પક્ષે કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાનસભાઓમાં ભારે ટેકો મેળવી લીધો. મુસ્લિમોની અનામત જગ્યાઓ જીતવામાં સ્વરાજ્ય પક્ષ સફળ થયો એ એની કદાચ સૌથી મોટી સિદ્ધિ હતી. દાસના રાજકીય યથાર્થવાદનો આ બધો પ્રતાપ છે… બંગાળ તથા બહારના મુસલમાનો પર એમના વ્યવહારનો ગાઢ પ્રભાવ પડ્યો છે. એમનું અકાળ અવસાન થયું ન હોત તો એમણે દેશમાં એક નવું વાતાવરણ તૈયાર કર્યું હોત. અત્યંત દુઃખની વાત તો એ છે કે એમના અવસાન પછી એમના કેટલાક અનુયાયીઓએ એમની નીતિની ટીકા કરી અને એમની જાહેરાતોનું ખંડન કર્યું. આના પરિણામે બંગાળના મુસલમાનો કૉંગ્રેસથી અલગ થઈ ગયા અને પહેલી જ વાર ભાગલાનાં ‘બી વવાયાં.’ (મૌલાના આઝાદ : ઈન્ડિયા વિન્સ ફ્રીડમ, પૃષ્ઠ: 20-21)
સી. આર. દાસના ગુણગાન ગાતા મૌલાના અબુલ આઝાદ વધુમાં કહ્યું, ‘બંગાળની સાંપ્રદાયિક સમસ્યાઓ ઉકેલવાની એમની રીત અનોખી છે અને આજે પણ અનુકરણીય છે.’ (પુસ્તક 1959માં પ્રગટ થયું હતું.) કેવી વિચિત્ર વાત છે ! આઝાદે ‘આજે પણ’ અર્થાત્ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી પણ એ જ નીતિના અનુકરણની ઈચ્છાના ગુણગાન ગાયાં હતાં. મતલબ આઝાદ મુસલમાનો માટે દરેક જગ્યાએ પચાસ ટકાથી વધુ અનામત અને ગૌહત્યા ઇચ્છતા હતા.
અંગ્રેજોએ ફરીથી એમની સ્વભાવગત ચાલ ચાલવા માંડી. 7 જુલાઈ 1925ના દિવસે ભારત-સચિવ બર્કનહૈડે કહ્યું, ‘ભારતને એક એકમ માનવું, એ યુરોપને એક એકમ માનવા જેવું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણી મુશ્કેલીઓને જન્મ આપનારી રાષ્ટ્રવાદી ભાવના એક રાષ્ટ્રવાદી ભારતની આકાંક્ષાઓ અને માગણીઓ પર ટકી છે, પણ આવું રાષ્ટ્ર તો ક્યારેય હતું જ નહિ. આવું કોઈ રાષ્ટ્ર થશે કે નહિ એ તો કેવળ ભવિષ્ય જ બતાવી શકશે.’
અને એક લાંબા-પહોળા ભાષણના અંતે પડકાર આપતા તેમણે કહ્યું, ‘ભારતમાંના અમારા ટીકાકારો એમ માને છે કે ભારતની પરિસ્થિતિની પોતાને વધુ જાણકારી હોવાથી તેઓ સફળ થઈ શકશે. એમના કહેવા પ્રમાણે અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ. જો આમ હોય તો તેઓ ભારતના વિશાળ જનસમૂહનો મોટો વર્ગ સહમત થાય એવું બંધારણ ઘડી કાઢે. આવા સહકારનો ક્યાંય વિરોધ નહીં થાય. ઊલટું ભારત સરકાર અત્યંત સાવધાનીપૂર્વક એનો અભ્યાસ કરશે.’ (વી. પી. મેનન : ધ ટ્રાન્સફર ઑફ પાવર ઈન ઇન્ડિયા, પૃષ્ઠ: 33)
આ નિવેદન પછી અંગ્રેજોએ નવેમ્બર 1927માં સર જૉન સાઈમાનના વડપણ હેઠળ એક કમિશનની રચના કરી, એને ભારત મોકલ્યું. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ સહિત ભારતના બધા જ પક્ષોએ આ કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે આમાં એક પણ ભારતીય સભ્ય નહતો; પરંતુ કૉંગ્રેસ એની ટેવ પ્રમાણે કામ કરતી રહી. 1926માં હિન્દુઓ અને મુસલમાનોના ‘કહેવાતા મતભેદો દૂર કરવાના ઉપાયો શોધવાનું કામ ‘કૉંગ્રેસ કાર્યકારી સમિતિ’ને સોંપવામાં આવ્યું.
પરંતુ મુસલમાનો શું વિચારતા હતા? ડો. આંબેડકર મુસ્લિમ માનસિકતાનું ચિત્રણ કરતા લખે છે:
1928માં હિંદુ-મુસ્લિમ સંબંધો અંગેના આવેદનપત્રમાં ખ્વાજા હસન નિઝામીએ જાહેર કર્યું: ‘મુસલમાનો હિંદુઓથી અલગ છે અને તેઓ હિંદુઓ સાથે જોડાઈ ન શકે. લોહિયાળ યુદ્ધો પછી મુસલમાનોએ ભારત જીત્યું અને અંગ્રેજો તેમની પાસેથી ભારત છીનવી ગયા. મુસલમાનો એક સંયુક્ત રાષ્ટ્ર છે અને તેઓ એકલા જ માત્ર ભારતના માલિકો બનશે. તેઓ પોતાની ઓળખ ક્યારેય છોડશે નહીં. સદીઓ સુધી તેમણે ભારત પર રાજ્ય કર્યું છે, એટલે આ દેશ પર તેમનો કાયદેસરનો હક છે. દુનિયામાં હિંદુઓ લઘુમતી કોમ છે. તેઓ ક્યારેય અંદરો અંદરના ઝઘડાથી મુક્ત નથી; તે ગાંધીમાં માને છે અને ગાયને પૂજે છે, બીજા લોકોનું પાણી લેતાં તેઓ અભડાય છે. હિંદુઓને સ્વરાજ્યની પરવા નથી. તેમની પાસે તેને માટે સમય નથી. તેમને અંદરોઅંદર ઝગડવા દો. લોકો પર રાજ્ય કરવાની તેમની પાસે કઈ શક્તિ છે ? મુસલમાનોએ ભારત પર રાજ્ય કર્યું હતું અને મુસલમાનો જ રાજ્ય કરશે. હિંદુઓની આજ્ઞાપાલન કરવાનું તો દૂર રહ્યું, મુસ્લિમો ફરીવાર હિંદુઓ સાથે ફેંસલો કરી લેવા માગે છે.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 354)

——— |: ક્રમશ:| ———© kishormakwana


Spread the love