ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 2
વાંચો લેખમાળાનું પ્રકરણ બીજું
રાષ્ટ્રીય પુનર્જાગરણનો સૂર્યોદય
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સાથે જ રાષ્ટ્રીય જાગરણ અને પ્રતિકારના મોજા ઉછળવા લાગ્યા. ધીરે ધીરે દેશના એક ખૂણેથી બીજા ખૂણાને એ મોજાં સ્પર્શવા લાગ્યા. પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ અને આત્મગૌરવની ચિનગારીને પુન: પ્રકટાવી, તો શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, રમણ મહર્ષિ અને યોગી અરવિંદ જેવા આધ્યાત્મિક મહાપુરુષોએ જનતા-જનાર્દનમાં આપણી સાંસ્કૃતિક પરંપરાનો મહાન મંત્ર ફૂંક્યો. પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદના ઓજસ્વી ભાષણોએ ભારત પ્રત્યેનો જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો, એ પછી દેશમાં એમના ઝંઝાવાતી પ્રવાસે લોકોના સુપ્ત પૌરુષને જગાડ્યું. નવયુવકોના હ્રદયમાં રાષ્ટ્રીય ધ્યેય અને મા ભારતી પ્રત્યે ભક્તિ-શક્તિ, સ્વાભિમાન અને સમર્પણની પ્રેરણા જગાડી. એમણે યુવાનોને આહવાન કર્યું દેવી-દેવતાઓને ભૂલી જાઓ- કેવળ મા ભારતીની ભક્તિ કરો.
બંકિમચંદ્ર ચેટરજીનું ઓજસ્વી ‘વંદે માતરમ્’ ગીતે બંગાળના સીમાડા વટાવી સમગ્ર દેશના રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામનો જયઘોષ બની ગયું. સામાજિક અને રાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા માટે અનેક સુધારણાં આંદોલનો પેદા થયાં. રાજા રામમોહનરાય અને કેશવચંદ્ર સેન, મહાદેવ ગોવિંદ રાનડે અને મહાત્મા ફૂલે વગેરેએ બ્રહ્મ-સમાજ અને પ્રાર્થના-સમાજના માધ્યમથી લોકોમાં આત્મવિશ્વાસ જગાડવામાં ભરપૂર યોગદાન આપ્યું. ડો. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રના પતન માટે નિદાન કર્યું કે ભારતના પતનનું કારણ આપસી ફાટફૂટ, વિશ્વાસઘાત અને જાતિવાદ જેવા દૂષણો છે. એમણે સામાજિક દૂષણો નાબૂદ કરવા સામાજિક ક્રાંતિનો નૂતન મંત્ર ફૂંક્યો. રાષ્ટ્રના પતન અને અધોગતિના કારણોને સંપૂર્ણ નષ્ટ કરવા માટે બહુમુખી પ્રયાસ કરવામાં આવ્યા. આ આંદોલન રોજ-બરોજ જોર પકડવા માંડ્યું. સૌ કોઇ માનતા હતા કે એક સામૂહિક, સંગઠિત, સર્વમાન્ય અને નક્કર રાષ્ટ્રીય સંકલ્પનું જાગરણ થાય અને પ્રાંત, ભાષા, જાતિ – પંથ- સંપ્રદાય જેવા અનેક કૃત્રિમ ભેદભાવોની બેડીઓ તોડી શકાય.
એક તરફ આવા રાષ્ટ્રીયત્વથી ઓતપ્રોત મહાન નેતાઓઓ હતા તો બીજી બાજુ અંગ્રેજી રાજ્ય પ્રત્યે નિષ્ઠાના સોગંધથી બંધાયેલા કહેવાતા મવાળપંથીઓનો ફાળો પણ ઓછો ન હતો. એમની અંગ્રેજ ભક્તિ જગજાહેર હતી. સુરેન્દ્રનાથ બેનરજીની દેશવ્યાપી વ્યાખ્યાન યાત્રાના પ્રભાવ અંગે ૧૮૭૮માં બંગાળ સરકારના મુખ્ય સચિવ સર હેનરી કાટને લખ્યું હતું: ‘૨૫ વર્ષ પહેલાં પંજાબમાં કોઇ પણ પ્રકારના બંગાળી પ્રભાવની વાત પર કોઇ ભરોસો મૂકી શકે એમ હતા? તેમ છતાંય એમ બન્યું છે. ગયા વર્ષે ઉત્તર ભારતમાં અંગ્રેજી બોલનાર એક બંગાળી વક્તાનો પ્રવાસ સૌથી વધુ સફળ પુરવાર થયો છે. અત્યારે સુરેન્દ્રનાથ બેનરજી મુલ્તાનની ઉગતી પેઢીમાં એટલા જ લોકપ્રિય છે જેટલા ઢાકામાં“ અને, એ યાદ રહે કે તે સમયે તો કોંગ્રેસનો ક્યાંય પત્તો પણ નો’તો.
##સ્વાધીનતા સંગ્રામમાં ભરતી
દેશ તથા વિદેશમાં મૃત્યુ સાથે બાથ ભીડનારા અસંખ્ય ક્રાંતિકારી વીરોની સાહસપૂર્ણ દેશભક્તિના મહાન બલિદાની કાર્યોએ રાષ્ટ્રના અંતરાત્માને ઢંઢોળી મૂક્યો હતો. સ્વાધીનતા સંદેશનો તપ્ત લાવા યુવાનોની ધમનીઓમાં ઉકળવા લાગ્યો હતો. દેશવ્યાપી ક્રાંતિકારી સિંહગર્જના સામે વિદેશી શાસક થરથર કાંપવા લાગ્યા હતા. ક્રાંતિકારી આંદોલનના મહાન નેતા રામસિંગ કુકા, વાસુદેવ બળવંત ફડકે, ખુદીરામ બોઝ, વીર સાવરકર, ચંન્દ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, મદનલાલ ધીંગરા, રાસબિહારી બોઝ અને વી. વી. એસ. અય્યર જેવા અમર ક્રાંતિવીરોના વીરત્વથી માતૃભૂમિના ચરણોમાં ત્યાગ અને તપસ્યાનો અર્ધ્ય ચઢાવવાનો મહિમા યુવાનોના હ્રદયપટ પર અંકિત થતો ગયો. આ જ પ્રેરણાથી સિંચાયેલી એક પેઢીએ આગળ જતાં ટિળક અને ગાંધીજી દ્વારા ચાલતા વિરાટ સ્વતંત્રતા સંગ્રામનો મુખ્ય ભાર પોતાના મજબૂત ખભાઓ પર ઉઠાવી લીધો.
લોકમાન્ય ટિળક રાષ્ટ્રની નાડ બરાબર પારખતા હતા. એમણે સ્વાધીનતા સંગ્રામમાં સામાન્ય લોકોના સહયોગનું તત્વ ગણેશ મહોત્સવ વડે ઉમેરી એને એક નિર્ણાયક દિશા આપી. વેલેંટાઇન કિરોલ નામના એક અંગ્રેજે ટિળકને ‘ભારતીય અસંતોષના જનક’ કહ્યાં છે, એ સાચા અર્થમાં એક સાર્થક ઉપમા છે. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને વિપિનચંદ્ર પાલ અર્થાત લાલ, બાલ, અને પાલ ની ત્રિપુટી એ રાષ્ટ્ર સમક્ષ સ્વાધીનતાનું સત્ય અને દિવ્ય સ્વરૂપ રજૂ કર્યું. રાષ્ટ્રના આ સ્વરૂપને અરવિંદ ઘોષ અને એનીબેસંટે ઓર નિખાર્યું. અરવિંદ ઘોષ અને બંકીમચન્દ્ર ચેટરજીએ રાષ્ટ્રીયતાને આધ્યાત્મિક સાધનાના માધ્યમથી દૈવી સ્વરૂપમયી જગન્માતાની ઉપાસનાનું ઉદ્દાત રૂપે મઢ્યું, તો લોકમાન્ય ટિળકે સિંહગર્જના કરી ‘સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે અને હું એ મેળવીને જ જંપીશ’ અને તેની પ્રાપ્તિ માટે કર્મયોગનો પંથ પ્રશસ્ત કર્યો.
દેશ ભરમાં આવી રીતે સ્વતંત્રતા માટેની તડપ વધી રહી હતી. મહાત્માગાંધી માટે મંચ તૈયાર હતો. એક યોગ્ય નેતૃત્વની જાણે રાષ્ટ્ર રાહ જોઇ રહ્યું હતું. મહાત્મા ગાંધીના હાથમાં નેતૃત્વ આવતા જ એમણે ચરખા જેવા સાધારણ અસ્ત્ર વડે દેશના કોટિ કોટિ લોકોમાં સ્વતંત્રતા માટેની લલક જગાડી. રામ નામ ને સ્વરાજ્ય સાથે જોડ્યું. ખારા સમુદ્રનું મીઠું અને જંગલનું ઘાસ રાષ્ટ્રીય પ્રતિકારના પ્રતીક બન્યાં. માત્ર રાજકારણના માધ્યમથી જ નહિ, બલ્કે અન્ય અનેક માધ્યમોથી અનેક કાર્યક્રમોનું બીજારોપણ કરવામાં આવ્યું. બીજી તરફ દેશના નવયુવાનોએ સશસ્ત્ર ક્રાંતિની રણભેરી વગાડી. હિંસા અને અહિંસાના બે માર્ગે ભારત માતાની મુક્તિનું અભિયાન શરુ થયું.
ગાંધીજીએ પોતાની સીધી સાદી, સંયમી રહેણીકરણી, સત્ય- અપરિગ્રહના કારણે તેઓ લોકોના હ્ર્દયમાં બહુ જલદી પ્રતિષ્ઠિત થયા. સ્વતંત્રતા આંદોલનને એક ચોક્કસ દોરવણી આપવામાં એમનું સમર્પણ અને સફળતા બેજોડ હતી, છતાં એમણે ક્યાં ભૂલ કરી એ તો આપણે પાછળ જોઇશું પરંતુ ભારત જેવા અનેક રંગરૂપો વાળા વિશાળ દેશમાં કરોડો લોકોને એમણે સહિષ્ણુતા અને નિર્ભયતા, અનુશાસન અને નિષ્ઠાના પાઠ ભણાવ્યા. અંગ્રેજોની ગોળીઓ અને દંડાઓનો સામનો કરવા માટે ‘ભારત માતા કી જય‘, ’વંદે માતરમ’, અને ‘મહાત્મા ગાંધી કી જય’ ના ઉદઘોષો અભેદ્ય કવચ બન્યા હતા. એમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાની ‘જય હિન્દ’ ની સિંહ ગર્જના પણ આવીને ભળી. એણે અગ્નિનું કામ કર્યું, ક્રાંતિના આંદોલને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સુભાષબાબુના આ અંતિમ પ્રહારે ચેતવણી આપી કે સ્વાધીનતાનો સંગ્રામ એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે.
બીજી તરફ રણક્ષેત્રમાં બીજા વિશ્વયુધ્ધને કારણે અંગ્રેજોની સૈન્યશક્તિ સાવ ક્ષીણ થઇ ચૂકી હતી. ભારતીય ભૂમિ અને જળસેના, પોલીસ તથા વહિવટી સેવામાં પણ સ્વાતંત્ર્યની ભાવના ઝડપથી ફેલાવા માંડી હતી. અંગ્રેજો સમજી ગયા કે એમના દહાડા હવે ભરાઇ ચૂક્યા છે. એમણે ભારત છોડવાનો નિર્ણય કર્યો. એમણે ઘોષણા કરી દીધી કે અમુક દિવસે તેઓ ભારતીયોને સત્તા સોંપી દેશે અને ભારતમાં પોતાની સામ્રાજ્યવાદી સત્તા હંમેશ માટે છોડી ઇગ્લેન્ડ ભેગા થઇ જશે. સ્વાધીનતાના સ્વાગત માટે ઐતિહાસિક ક્ષણ પસંદ કરવામાં આવી તે હતી ૧૪-૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતની વેળા…