ડૉ. આંબેડકરના પ્રયાસો થકી કચડાયેલા વર્ગોમાં સદીઓ પશ્ચાત આત્મવિશ્વાસની લહેર પ્રસરી હતી, પોતાની ગુલામી, ભેદભાવ અને અમાનવીય વર્તન જેવી અસ્પૃશ્યતાના કલંકથી સ્વતંત્ર થવા માટે પ્રયત્નશીલ બની રહ્યો હતો.
માર્ચ 1924 માં ડૉ. આંબેડકરે બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી એ વર્ષ મહત્વપૂર્ણ ગણી શકાય એવું હતું. 1924ના વર્ષમાં ભારતીય રાજકારણમાં નોંધપાત્ર અને મહત્વની ઘટનાઓ બની, જેમાં ત્રણ મહાન શક્તિશાળી મહાનુભાવોના પ્રકાશથી ભારતીય રાજકીય ક્ષિતિજ ઝળહળી ઉઠવાની હતી.
બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપનાથી ડૉ. આંબેડકર નો પ્રચંડ ઉદય થયો હતો ત્યારે જ જાન્યુઆરી 1924 માં પોતાના જીવનના બાર બાર વર્ષ કઠિનતમ યાતના પૂર્ણ રીતે આંદામાન નિકોબારની જેલમાં કાળાપાણીની સજા વિતાવીને પૂનાની યરવડા જેલમાંથી વીર સાવરકર મુક્ત થયા તથા ત્યારબાદ તેમને રત્નાગીરી જિલ્લામાં 6 જાન્યુઆરી 1924થી નજરકેદ કરવામાં આવ્યા. વીર સાવરકર નાં મુક્ત થયાં બાદ લગભગ એક મહિના પછી 11મી ફેબ્રુઆરી 1924ના દિવસે પોતાના અસફળ ખિલાફત આંદોલનથી લગભગ બે વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ નાદુરસ્ત તબિયતને કારણે ગાંધીજી પણ એ જ યરવડા જેલમાંથી મુક્ત થયા.
ગાંધીજી અને સાવરકરે વધારે ત્વરા, સ્ફૂર્તિ અને ઉત્સાહથી સામાજિક કાર્યોની શરૂઆત કરી. સાવરકરે જે કાર્ય તેઓ આંદામાન નિકોબાર કાળાપાણીની સજા પહેલા કરતા હતા તે જ કાર્ય પુનઃ એપ્રિલ 1924માં શરૂ કર્યું. સાવરકરના કાર્યનો પાયો હિંદુ સમાજનું એકત્રિકરણ હતો જેને હિંદુ સંગઠનના નામે લોકો ઓળખતાં હતા. સાવરકરના કાર્યમાં હંમેશા કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોના માનવીય અધિકારોનું પુન:સ્થાપન અગ્રતાક્રમમાં રહેતુ જેના માટે તેઓ લડત ચલાવતા હતા. ગાંધીજીએ પણ વધારે શક્તિ થી કચડાયેલા વર્ગોની ઉન્નતિ માટેના કાર્યોને વેગવંતા બનાવ્યા.
ડૉ. આંબેડકરના જીવનનું સૌથી ઉમદા લક્ષ્ય જ અસ્પૃશ્યોદ્ધારનું હતુ. સમાનતા અને બંધુત્વ માટેની તેમની લડત ચાલુ જ હતી. અસ્પૃશ્યોના ઉત્થાનનું કાર્ય વેગવાન બની રહ્યું હતુ.
1924 નાં વર્ષનું સમગ્રતયા અવલોકન કરતાં એવું જણાતું હતું કે ડૉ. આંબેડકર, વીર સાવરકર અને ગાંધીજી આ ત્રણેય મહાપુરુષ અસ્પૃશ્યોના ઉત્થાન માટે કાર્ય કરવાના હતા છતાં ત્રણેયની નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ તથા અભિગમ શું હતા, કેવા હતા એ જાણવુ ના માત્ર રસપ્રદ પરંતુ અગત્યનું પરિબળ છે.
ક્રમશ: