Spread the love

પીઢ તબલાવાદક ઝાકિર હુસૈન હવે આ દુનિયામાં નથી. તબલાંની જે થાપથી આપણને ડોલાવી જતા હતા તે થાપ હવે સંભળાશે નહીં. ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું, તેઓ 73 વર્ષના હતા. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસને કારણે થયું હતું. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા અને આ દરમિયાન તેમની તબિયત વધુ બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. હુસૈને કથક ડાન્સર અને શિક્ષિકા એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી છે. ઝાકિર હુસૈનને તેની કારકિર્દીમાં 4 ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66માં ગ્રેમી એવોર્ડ્સમાં મળ્યા હતા.

પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ગ્રેમી એવોર્ડ

ઉસ્તાદ ઝાકિર હુસૈન એક એવા કલાકાર હતા જેમણે આખી દુનિયાને ભારતીય તાલવાદ્ય વાદ્ય તબલાંનો પરિચય કરાવ્યો અને પોતાના સંગીતથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. ઝાકિર હુસૈનને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. હૃદયની સમસ્યાને કારણે તેઓ છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા. ઝાકિર હુસૈને પાંચ ગ્રેમી એવોર્ડ જીત્યા. મહાન તબલાવાદક અલ્લાહ રખાના મોટા પુત્ર ઝાકિર હુસૈનએ તેમના પિતાના પગલે ચાલીને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમણે પોતાની સંગીત કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ જીત્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડ્સમાં પ્રાપ્ત થયા હતા. ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

માત્ર 12 વર્ષની ઉંમરે પહેલીવાર અમેરિકામાં શો કર્યો હતો

ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ અલ્લાહ રખા જેવા મહાન તબલા વાદકના પુત્ર ઝાકિર હુસૈને બાળપણથી જ તબલા પર આંગળીઓ વડે સંગીતનો જાદુ બતાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઝાકિર હુસૈનનો પહેલો મ્યુઝિક કોન્સર્ટ થયો ત્યારે તે માત્ર 11 વર્ષના હતા. તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે અમેરિકામાં શો કર્યો હતો જેના તેમને 5 રૂપિયા મળ્યા હતા. ઝાકિર હુસૈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ મને મળેલા 5 રૂપિયા સૌથી કિંમતી હતા.” ઝાકિર હુસૈન માત્ર સંગીત સાથે જ જોડાયેલા ન હતા, તેમણે અભિનય પણ કર્યો હતા. તેમણે 1983માં આવેલી બ્રિટિશ ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’માં શશિ કપૂરની સાથે ભૂમિકા ભજવી હતી. આ સિવાય ઉસ્તાદ ઝાકિર હુસૈને જે ચાની જાહેરાતમાં મોડલિંગ કર્યું હતું તેનાથી ભારતની તે પ્રખ્યાત ચાને જુદી જ ઓળખ મળી હતી.

ઝાકિર હુસૈનનું પ્રથમ આલ્બમ 1973માં આવ્યું હતું

તેમનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ 1973માં રિલીઝ થયું હતું. 1979 થી 2007 સુધી, ઝાકિર હુસૈને વિશ્વભરના ઘણા સંગીત સમારોહમાં તેમની અદભૂત પ્રતિભા દર્શાવી. આખી દુનિયામાં ઝાકિર હુસૈનના તબલા વાદનનો ક્રેઝ હતો. 2016માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઉસ્તાદને ‘ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ’માં આમંત્રણ આપ્યું હતું. તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર હતા જેમને આ સંગીત ઉત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન ભલે સદેહે ન હોય પરંતુ તેમના દ્વારા રચિત સંગીતમય રચનાઓ અમર રહેશે.

બહેને અગાઉ નિધનના સમાચારને નકારી કાઢ્યા હતા, પરંતુ…

ગઈ કાલે રાત્રે જ્યારે ઝાકિર હુસૈનના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે સમગ્ર ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બોલિવૂડ સહિત ઘણા રાજનેતાઓએ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. પરંતુ તે દરમિયાન, હુસૈનની બહેન ખુર્શીદે ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ (PTI) ને જણાવ્યું કે તેના ભાઈની હાલત ‘ખૂબ જ ગંભીર’ છે, પરંતુ તેમની સારવાર ચાલી રહી છે.’ મારા ભાઈ અત્યારે બહુ બીમાર છે. અમે ભારતમાં અને વિશ્વભરમાં તેમના તમામ ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહીએ છીએ. હું મીડિયાને વિનંતી કરવા માંગુ છું કે ઝાકિર હુસૈનના નિધન અંગેની ખોટી માહિતી પર ધ્યાન ન આપે. તેમની સારવાર ચાલુ છે. તેમની હાલત ઘણી ગંભીર છે, પરંતુ તેઓ હજુ પણ આપણી વચ્ચે છે. તેથી, હું મીડિયાને વિનંતી કરીશ કે તેમનુ (હુસૈન)નું નિધન થઈ ગયું છે તેવું લખીને કે કહીને અફવાઓ ન ફેલાવો. ફેસબુક પર આ બધી માહિતી જોઈને મને બહુ દુખ થાય છે. આ બહુ ખોટું છે. પરંતુ સવાર સુધીમાં પુષ્ટિ થઈ ગઈ કે ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી રહ્યા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *