Spread the love

ભારતના સામાજિક માળખામાં આવેલી અશાસ્ત્રીય, અમાનવીય અને દંભની પરાકાષ્ઠા જેવી રૂઢીઓ ભારતની પરતંત્રતાના મુખ્ય કારણોમાંથી એક તો હતુ જ. વિચાર કરતા જ માથું ભમી જાય એવો દંભ ચાલતો હતો, ચલાવવામાં આવતો હતો, એક તરફ સકળ વિશ્વ એક કુટુંબ જ છે એવા વિચારો કહેવાતા જે સાંભળવા પાછા અનેક લોકો આવતા પરંતુ જ્યાં આવા ઉચ્ચ વિચારો કહેવાતા હતા એવી જગ્યાએ ભારત ભૂમિના જ વંશજોને બેસવાનો તો દૂર એ વિચાર સાંભળવાનો અધિકાર નહોતો કેવી વિચિત્ર, દંભી અને કથની અને કરણીમાં ફરક દેખાડતી સામાજિક સ્થિતિ હતી એ.

અરે ! મંદીર, જેમાં ભગવાન સ્વયં વિરાજમાન હોય એવું કહેતાં લોકો એ જ ભગવાનની પૂજા માટે દિવેટના સર્જકો, મંદિરની આરતીમાં વાગતા નગારાનું ચામડુ તૈયાર કરતા ચર્મકારો, મંદિર બનાવતી વખતે મંદિરનાં પાયા ખોદીને તૈયાર કરનાર, મંદિર તૈયાર થઈ ગયા બાદ મંદિર પ્રવેશનો અધિકાર ધરાવતા નહોતા, અનેક વર્ગોને મંદિરમાં પ્રવેશ નિષેધ હતો. એક તરફ સપ્તાહો બેસતા જેમા એવુ કહેવાતુ કે પ્રાણી માત્રમાં ઈશ્વર બિરાજમાન છે પરંતુ બીજી બાજુ ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન જેવા માનવો સાથે પશુ કરતા પણ બદતર વ્યવહાર કરવામાં આવતો હતો. એવું લાગે કે સમગ્ર વિશ્વમાં અજવાળુ કરવાની સક્ષમતા ધરાવતી ભારત ભૂમિ પર ખરેખર આવો અંધકાર યુગ ચાલી જ કેવી રીતે શકે ? પરંતુ વાસ્તવિકતા એ જ હતી કે આવો ઘોર અંધકાર યુગ ચાલ્યો જ હતો, ચાલી જ રહ્યો છે.

મંદીર પ્રવેશ નિષેધ, જાહેર સ્થળોમાં પ્રવેશ પર નિષેધ, અહીં સુધી હદ તો આવી જ ગઈ હતી અમાનવીય વ્યવહાર, અપમાનજનક વર્તન, ભાષાની પરંતુ હદ પાર થઈ ગઈ હતી. ઈશ્વર સર્જિત પાણી લેવા પર પ્રતિબંધ, કલ્પના પણ ન કરી શકાય પરંતુ આ ભારત ભૂમિ પર બની રહ્યું છે. જાહેર તળાવમાંથી પશુઓ પાણી પી શકતા, ગોબરા ગંધાતા પશુઓ એ તળાવમાં એક પાળેથી બીજી પાળે બારોબાર, તળાવ વચ્ચોવચ્ચથી નીકળી જાય છતાં એનાથી એ તળાવ અપવિત્ર નહોતું થતું પરંતુ જેમને અસ્પૃશ્ય ગણી તરછોડી દીધા એવાં માનવોને માટે એ તળાવનું પાણી લેવાની મનાઈ હતી કારણ ? કારણકે જે પાણી પશુના અડવાથી અપવિત્ર નથી થઈ જતું એ પાણી એક માનવના અડવા માત્રથી અને ક્યારેક તો એના પડછાયા માત્રથી અપવિત્ર થઈ જાય છે એવો અમાનવીય વ્યવહાર એમની સાથે કરવામાં આવતો.

આ પરિસ્થિતિમાં એક અસ્પૃશ્ય પોતાનું જીવન કેટલી હાડમારીઓ વચ્ચે જીવતો હશે ? કલ્પના માત્ર થી ધ્રુજી જવાય છે.

આ દારૂણ, અપમાનજનક, અમાનવીય જીવનને દારૂણને બદલે સુચારુ, અપમાનજનકને બદલે સન્માનજનક તથા અમાનવીયને બદલે માનવ ગરિમાયુક્ત બનાવવાના પ્રયત્નો કોણે, કેટલા તથા કેવી રીતે કર્યા. ક્યાં ખાટલે ખોડ હતી અને ક્યાં મનમાં જ ખોટ હતી, ક્યાંક આયોજન અને હેતુઓ સુંદર હતા પરંતુ વ્યવહારમાં ખામી રહી ગઈ.

આ બધાની વચ્ચેથી પસાર થતા રહેલા તથા સતત નિરીક્ષણ, આકલન તથા વિશ્લેષણ કરતા રહેલા ડૉ. આંબેડકરના મન અને મસ્તિષ્કમાં ધમાસાણ ચાલી રહ્યું હતુ. કારણકે જાહેર સ્થળો પ્રત્યેક નાગરિક માટે, અસ્પૃશ્યો માટે ખુલ્લા મુકી દેવાના પ્રસ્તાવનો સ્વીકાર અને નિર્ણય બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલે 4થી ઑગસ્ટ 1923 ના રોજ લીધે ઘણાં મહિનાઓ વીતી ચુક્યા હતા, બોમ્બે પ્રાંતના બધા જ કલેક્ટર્સને ઓર્ડર પહોંચાડી દેવાયા હતા, એને પણ મહિનાઓ વીતી ચુક્યા હતા પરંતુ ખરેખર આ નિર્ણય, ઓર્ડર મુજબ કાર્યવાહી થઈ રહી છે કે નહીં એની ચિંતા કોઈ કરે છે કે નહીં તે બાબતે સૌ અજાણ હતા.

ક્રમશઃ


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *