– સોમવારે ભારતની અધ્યક્ષતામાં થયો મહત્વનો ઠરાવ
– અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા લોકો માટે સલામત માર્ગની સગવડ કરવી
– માનવતાવાદીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાન અંગે મહત્વનો ઠરાવ પસાર કર્યો
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના અધ્યક્ષ પદ હેઠળ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા લોકો માટે સલામત માર્ગ કરવા, મહિલા તથા બાળકો સહિતના નાગરિકોના માનવાધિકારોને જાળવી રાખવા તથા માનવાધિકારવાદીઓને અફઘાનિસ્તાનમાં આવવા દેવામાં આવે તેમ જણાવાયું છે.
રશિયા અને ચીન ગેરહાજર રહ્યા
સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્ય દેશ છે જેમાંથી 13 સભ્ય દેશોએ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું એકપણ વોટ ઠરાવની વિરુદ્ધમાં આવ્યો નહોતો જ્યારે વિટો પાવર ધરાવતા રશિયા અને ચીને મતદાનમાં ગેરહાજર રહેવાનુ પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઠરાવને અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસ દ્વારા પ્રયોજિત કરવામાં આવ્યો હતો. મતદાનમા ગેરહાજર રહેવા અંગે રશિયાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ખાતેના કાયમી પ્રતિનિધિ વાઝીલી નેબેંઝિયાએ જણાવ્યું હતું કે મોસ્કોને અફઘાનિસ્તાન અંગેના ઠરાવ પર મતદાન દરમિયાન ગેરહાજર રહેવાની ફરજ પડી છે ‘કારણકે ડ્રાફ્ટ તૈયાર કરવામાં અમારી મૂળભૂત ચિંતાઓને અવગણવામાં આવી છે.’ ચીનના સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ખાતેના પ્રતિનિધિ ગેંગ ઝુયાંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ‘સંબધિત રાષ્ટ્રો દ્વારા શુક્રવારે ડ્રાફ્ટનું રિજોલ્યુશન જણાવાયું હતું ‘ચીનને આ ઠરાવની જરૂરિયાત અને તેમાં રહેલી બાબતોને સ્વીકારાવા વિષે ઘણી શંકા છે. આમ છતાં ચીન હજુ પણ ચર્ચામાં સકારાત્મક રીતે ભાગ લઈ રહ્યું છે. ચીને રશિયા સાથે રહીને કેટલાક માહત્વપૂર્ણ સુધારાઓ રજૂ કર્યા છે દુર્ભાગ્યે તે સુધારાઓને ધ્યાન પર લેવામાં આવ્યા નથી.’
