- ચુશુલના યુદ્ધ મેદાનમાં ચીનને ધુળ ચટાડી દેનારા વીર
- પેંગોંગ ત્સો સરોવરની શ્રીજપ-1 પોસ્ટથી ત્રણ ત્રણ વખત ચીની સેનાને પીછેહઠ કરાવી
- ચાઈનીઝ લશ્કરના અમાનવીય અત્યાચારો સહન કરીને જીવંત પરત ફરેલા જાંબાઝ
વર્ષ 1962 દરેક ભારતીયને આજે પણ યાદ છે
1962 આ વર્ષનું નામ પડે એટલે પ્રત્યેક ભારતીયના મગજમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના અતિઆદર્શવાદના પાયા ઉપર રચાયેલી ‘હિંદી ચીની ભાઈ ભાઈ’ ના નારા ઉપર ચણાયેલી પંચશીલ સિદ્ધાંતોની મનમોહક ઈમારત ઉપર ચાઈનીઝ લુચ્ચાઈ અને શઠતાનો વિશ્વાસઘાતી હુમલો અને ત્યારબાદ ભારત ચીન વચ્ચે હિમાલયના હાડકા થીજાવી દેતા અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ ધરાવતા વાતાવરણમાં ભારતીય સેનાએ ચીની સેનાના આધુનિક હથિયારોથી સજ્જ સૈનિકોને પોતાના જુનવાણી સાધનો સાથે આપેલો જડબાતોડ જવાબ યાદ ન આવે તો જ નવાઈ.
મેજર ધનસિંહ થાપા જે મોત અને વિરોધીઓને હરાવી પરત ફર્યા
1962ના વર્ષ ભારતીય ઈતિહાસમાં કયા નામથી ઓળખાય છે તે તો ઈતિહાસ જ જાણે પરંતુ ભારત ચીન સરહદ પર આવેલા પેંગોંગ ત્સો સરોવરની ઉત્તરીય તટ પર આવેલી શ્રીજપ-1 પોસ્ટ ઉપરની ભારતીય સેનાની ગોરખા રાઈફલ્સના જવાનો માટે અવિસ્મરણીય છે. આ પોસ્ટ ઉપર ચીની સૈનિકોના ત્રણ ત્રણ હુમલાને પીછેહઠ કરવા વિવશ કરી દેવાની વીરતાપૂર્ણ ગાથા છે. ભારતીય સેનાની વીરતાના આ અદભૂત પ્રકરણમાં એક વીર જવાનનું નામ અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યું છે અને એ નામ છે લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપા. લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપા અમાનવીય ચાઈનીઝ અત્યાચારો સહન કરીને મોત અને વિરોધીઓ બંનેને મ્હાત આપીને એમને વીરગતિ પામેલા માની લેવામાં આવ્યા એના મહિનાઓ બાદ પરત ફર્યા હતા.
પરમવીર ધનસિંહ થાપાનું બાળપણ અને સૈન્ય પ્રવેશ
ધનસિંહ થાપાનો જન્મ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશના વિશ્વ વિખ્યાત હિલ સ્ટેશન સિમલામાં 4 જૂન 1928 નાં દિવસે મુળ નેપાળી પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ પી. એસ. થાપા હતું. ધનસિંહ થાપા નાનપણથી જ સેનામાં જોડાવનુ સ્વપ્ન સેવતા હતા. બાળપણથી જ પોતાનું નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવા માટે અથક મહેનત કરીને હાંસલ કરવાના મનસૂબા ધરાવતા બાળક તરીકે સૌને ગમતા હતા. ધનસિંહનો નાનપણથી જ મોટા થઈને સેનામાં જોડાવાનો ઈરાદો ધરાવતા હતા. પોતાના સ્વભાવ મુજબ પોતાના સેનામાં જોડાવાના લક્ષ્યને પ્રાપ્ત કરતા 28મી ઑગસ્ટ 1949 ના દિવસે સેનામાં જોડાયા. ધનસિંહનુ સર્વપ્રથમ પોસ્ટીગ સેનામાં 8મી ગોરખા રાઈફલ્સ 1લી બટાલિયનમાં થયું. પોતાના મિલનસાર સ્વભાવ તથા સોંપવામાં આવેલા કાર્ય, જવાબદારી ખંત અને નિષ્ઠાપૂર્વક કરવાની આદતને કારણે ધનસિંહ થાપાથી સૌ પ્રભાવિત થયા. સિનિયર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહે બખુબી નિભાવી હતી. તેઓના શૌર્ય, પરાક્રમ અને સાહસને કારણે તેઓ તેમના સિનિયર અધિકારીઓમાં ખુબ પ્રસિદ્ધ હતા, આ જ કારણ હતું કે જ્યારે સરહદે હિમાલય ક્ષેત્રમાં ચીનની ઘુસણખોરી વધવાની શરૂઆત થઈ અને ભારતીય સેનાને ચાઈનીઝ ઘુસણખોરી રોકવાની સુચના આપવામાં આવી ત્યારે ધનસિંહ થાપા એ અભિયાનનો ભાગ બન્યા.
અપૂર્ણ. વધુ આવતા રવિવારે