Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 3


સ્વતંત્રતા આંદોલન અને ભારતના ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઈતિહાસ ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા હો.વે. શેશાદ્રી દ્વારા લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને પ્રસિદ્ધ પત્રકાર, લેખક શ્રી કિશોર મકવાણાની ધારદાર અને કસાયેલી કલમે આલેખાયેલ શ્રેણી devlipinews.com ઉપર દર સોમવાર, બુધવાર તથા શુક્રવારે પ્રસિદ્ધ થાય છે.


ભારતના ભાગલાની ભીતરમાં લેખમાળાનું પ્રકરણ ત્રણ


નિયતિ સાથે આ તે કેવું મિલન….?


૧૪-૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતની થોડીક મિનિટો પહેલાં સ્વાધીન ભારતના પ્રથમ વડાપ્રધાન બનનાર પંડિત જવાહરલાલ નહેરુએ ભાવવિભોર થઇ પોતાની કાવ્યમય ભાષામાં રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે, “વર્ષો પહેલાં આપણે નિયતિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. બરાબર અડધી રાતે જ્યારે સમગ્ર વિશ્વ નિંદ્રાધીન હશે, ત્યારે ભારત જીવન અને મુક્તિના નવોન્મેષની અનુભૂતિ કરશે. એક એવી ઐતિહાસિક પળ ક્યારેક ક્યારેક આવે છે જ્યારે એક યુગ સમાપ્ત થાય છે અને આપણે પુરાણા યુગને છોડીને નવા યુગમાં પ્રવેશીએ છીએ. જ્યારે કોઇ રાષ્ટ્રનો હંમેશા કચડાયેલો આત્મા મુખરિત થઇ ઊઠે છે…’ પંડિત નહેરુના પ્રવચનમાં સત્ય કરતા લાગણીઓ વધું હતી. થોડી જ પળોમાં અમાસની એ કાળી અડધી રાત વીતી ગઇ અને સ્વતંત્ર ભારતના સૂર્યોદયના સ્વાગતમાં ૩૧ તોપોની સલામી આપવામાં આવી. આઠસો વર્ષ પછી ભારત મુક્તિનો શ્વાસ લઇ રહ્યું હતું. જે ભારત પર ગર્વથી ઉન્નત ‘યુનિયન જેક‘ એકછત્ર ફરકી રહ્યો હતો, એણે આખરે ઘૂંટણ ટેકવવા પડ્યા. એનું સ્થાન લીધું સ્વતંત્ર ભારતના તિરંગાએ…દેશ આનંદ-ઉત્સવનો માહોલમાં મગ્ન હતો, પરંતુ આ ઐતિહાસિક વળાંકના થોડા જ કલાકો પહેલાં, ઇતિહાસ એક ઓર નિર્ણાયક વળાંક લઇ ચૂક્યો હતો. ભારતની ધરતી પર જ એક અન્ય સ્વતંત્ર રાજ્ય–પાકિસ્તાન–નો જન્મ થઇ ગયો હતો. વિરાટ ભારતને ચીરીને એના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા !કેટલાક પ્રશ્નો ઉદભવે છે :


વર્ષો પહેલા આપણા નેતાઓએ ‘નિયતિને પ્રાપ્ત કરવાનો‘ જે સંકલ્પ લીધો હતો, એમાં ઇતિહાસનો આ વિકટ-કરુણ – વેદનામય વળાંક પણ સામેલ હતો? શું ખંડિત ભારતના આ રક્તરંજિત ચિત્રને પંડિત નહેરુ કે અન્ય કોઇ સ્વતંત્રતા સેનાનીએ પોતાના મનમાં સેવ્યું હતું?


આ એક કરુણાંતક ઘટના હતી. એક સોનેરી સપનાની કડવી વાસ્તવિકતા. એક દ્રઢ પ્રતિજ્ઞા કોરીધાકોર પ્રતિજ્ઞા બનીને રહી ગઇ.આથી આ વેદનાથી ભરપૂર ઘટનાના અંતિમ દ્રશ્યને સંપૂર્ણપણે સમજવા માટે એ જાણવુ જરૂરી છે કે સ્વયં એના પ્રમુખ પાત્રો એ શું શું કહ્યું હતું?


‘ઇંડિયન નેશનલ કોંગ્રેસ‘નું ઐતિહાસિક અધિવેશન લાહોરમાં રાવી નદીના તટે (આ જગાએ હું ૧૯૯૯માં લાહોર ગયો હતો ત્યારે ગયેલો) ૌ૧૯૨૯-૩૦માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ ભરાયું હતું. ૩૧ ડિસેમ્બરની મધરાતે એમણે આપણા દેશવાસીઓ પાસે પૂર્ણ સ્વરાજ્ય પ્રતિજ્ઞા લેવડાવી હતી. રાવી નદીમાં વહેતું પવિત્ર જળ રાષ્ટ્રીય ધ્યેયની આ પ્રતિજ્ઞાનું સાક્ષી હતું. પરંતુ કેટલા દુ:ખની વાત છે કે એ રાવી નદી સ્વતંત્ર ભારતમાં કોઇ સ્થાન જ ન હતું કે જેના મુખ્ય કર્ણધાર પંડિત નહેરુ બનવાના હતા! જે લાહોર ધરતી પર આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞાના શબ્દો ગુંજ્યા હતા એ ધરતી પોતાના સંતાનો માટે પારકી બની ગઇ. જે લાહોરની ગલીઓમાં ગુરુ અર્જુનદેવ, મહારાજા રણજિતસિંહજી અને ભગતસિંહ જેવા અગણિત ભારતપુત્રોના પગલા પડ્યા હતા એ શહેર પરાયું બની ગયું.

સ્વતંત્રતા અધૂરી હતી. સ્વતંત્ર ભારતનું સ્વરૂપ વિકૃત થઇ ગયું હતું. શુભ પળે જ અપશુકન થયા!!


પહેલાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો નારો લગાવ્યો હતો ત્યારે નહેરુએ એને ‘વ્યર્થ બકવાસ‘ કહીને ઉડાવી દીધો હતો, પરંતુ એ જ ‘બકવાસ’ હવે એક નક્કર વાસ્તવિકતા બની હતી. અને, મહાત્મા ગાંધીએ પોતાના મનમાં કયું સ્વપ્ન સેવ્યું હતું? શું એમાં માતૃભૂમિના આ વેરવિખેર અને વિકૃત રૂપને કોઇ સ્થાન હતું?


૧૯૪૦માં મુસ્લિમ લીગે પાકિસ્તાન અંગેનો ઠરાવ પસાર કર્યો હતો, ત્યારે આ માંગણી અંગે ગાંધીજીએ પોતાની પ્રતિક્રિયા ‘હરિજન’ના અનેક અંકોમાં પોતાના લેખ દ્વારા આવી રીતે


વ્યક્ત કરી હતી :


“….. બે રાષ્ટ્રો’ નો સિધ્ધાંત કઢંગો છે……ઇશ્વરે જેને એક બનાવ્યો છે, શું માનવ એના ક્યારેય ભાગ પાડી શકશે?’’ (‘હરિજન’, ૬-૪-૧૯૪૦)


‘….. ભાગલાનો અર્થ છે સત્યથી મોં ફેરવી લેવું. મારો સંપૂર્ણ આત્મા આ વિચાર સામે બંડ પોકારી રહ્યો છે. મારા મત પ્રમાણે આવા સિધ્ધાંતને સ્વીકારવો એટલે ઇશ્વરને નકારવા જેવું છે. હું પ્રત્યેક અહિંસાત્મક ઉપાયથી એને અટકાવીશ, કારણકે એનો અર્થ છે એક રાષ્ટ્રના રૂપમાં સાથોસાથ રહેવા માટે અગણિત હિન્દુઓ અને મુસલમાનોએ સદીઓ સુધી જે પરિશ્રમ કર્યો છે, એના પર પાણી ફેરવી દેવું.” (‘હરિજન’, ૧૩-૪-૧૯૪૦)


“……ભારતના બે ભાગમાં ભાગલા તો અરાજકતાથી પણ ભયંકર છે. આ અંગ-ભંગને સહન કરી શકાય નહિ. ભારતના ટુકડા કરતા પહેલાં મારા ટુકડા કરી દો. આપ એ બધુ નહિ કરો જે ભારતમાં બે સદીઓથી પણ વધુ સમયના પોતાના અતિ મુશ્કેલ શાસનકાળમાં મોગલોએ પણ કર્યું ન હતું.’’ (‘હરિજન’, ૨૨-૯-૧૯૪૦)


‘’………….. મને તો આમાં વધુ ઝઘડાની શક્યતા દેખાઇ રહી છે.’’


ગાંધીજીના આ દઝાડતા શબ્દોથી વધુ સબળ કોઇ અન્ય દ્રઢ વાક્યો હોઇ શકે છે? વાસ્તવમાં ગાંધીજી એ દુર્ભાગ્યપૂર્ણ દિવસ સુધી ભારતના ભાગલાનો તીવ્ર વિરોધ કરતા રહ્યા. છતાંય એમની આંખો સામે ભારતના ભાગલાની આ મહા વિનાશક ઘટના બનીને જ રહી.


કોંગ્રેસના જ એક અન્ય મહારથી ડૉ. રાજેન્દ્રપ્રસાદે ૧૯૪૫માં પોતાના જેલવાસમાં ‘ઇંડિયા ડિવાઇડેડ’ નામના એક વિદ્વત્તાપૂર્ણ પુસ્તકની રચના કરી હતી. એમાં એમણે અત્યંત તટસ્થ અને તાર્કિક રીતે પાકિસ્તાનની માંગણીમું વિશ્લેષણ કરીને એ સિધ્ધ કર્યું હતું કે કેવી રીતે તે દરેક પ્રકારે એક બિલકુલ અવ્યવહારુ માંગણી હતી, પછી ભલે તે ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક કે સંરક્ષણની દ્રષ્ટિએ હોય, પરંતુ એમની કલમની શાહી હજી સુકાઇ પણ નહોતી ત્યાં તો એ ‘અવ્યવ્હારુ’અને અશક્ય પ્રસ્તાવે સાકાર રૂપ ધારણ કરી લીધું અને તે જીવનની એક નક્કર હકીકત બની ગયો. આ પુસ્તકના લેખક જેણે પાકિસ્તાનના ઠરાવને તદ્દન અવ્યવહારુ ગણાવ્યો હતો એમણે પોતે જ ખંડિત ભારતના લોકશાહી રાજ્યના પ્રથમ રાષ્ટ્રપ્રમુખના હોદ્દાને શોભાવ્યો.


ભારતના ભાગલા અને પાકિસ્તાન અંગે ‘ઇંડિયન નેશંલ કોંગ્રેસ’ના ઠરાવો પર પણ ધ્યાન આપવું વધુ જ્ઞાનવર્ધક બની રહેશે. મુસ્લિમલીગે પાકિસ્તાન અંગેનો ઠરાવ પસાર કર્યો એ પછી તો કોંગ્રેસ પાસે એ બાબતમાં બીજો કોઇ વિકલ્પ જ ન રહ્યો કે તેઓ એ માંગણીને ધ્યાનમાં રાખી પોતાની નીતિ સ્પષ્ટ કરે. પંડિત મદનમોહન માલવીય વિચારમાં પડી ગયા. એમને લાગ્યું કે લીગના પ્રસ્તાવને કારણે લોકોના મનમાં જે આશંકાઓ અને ભ્રમો પેદા થયા છે એનું તરત નિરાકરણ થવું જોઇએ. એમણે ગાંધીજીની મુલાકાત લઇને પોતાના મનની પીડા રજૂ કરી. ગાંધીજીએ એમને હૈયાધારણ આપી કે તેઓ કોઇ પણ સ્થિતિમાં ભાગલા થવા નહીં દે…પરંતુ પંડિત માલવીયા ઇચ્છતા હતા કે એક સત્તાવાર ઠરાવ દ્વારા કોંગ્રેસે જાહેરમાં પોતાની આ નીતિની ઘોષણા કરવી જોઇએ. આ પૃષ્ઠભૂમિને કારણે જ ૧૯૪૨માં અલ્હાબાદ કોંગ્રેસ અધિવેશનમાં પંડિત જગતનારાયણ દ્વારા રજૂ થયેલો ‘અખંડ હિન્દુસ્થાન’નો ઠરાવ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં દેશની અખંડતા અંગે પોતાની આસ્થાને વ્યક્ત કરી હતી અને દરેક પ્રકારના વિભાજનનો વિરોધ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.


ક્રમશ: ©kishormakwana


Spread the love